બચાવી લે !

images

વર્ષોના વર્ષોથી વટ સાથે કિનારે
ઉભેલા તરુના પર્ણ પરથી
એક પક્ષી ઉડે છે અને
શૂન્યમનસ્ક સમયના નીરમાં
વમળો સર્જાય છે.
અંદરની ધરીથી બહારની ધરી સુધી વિસ્તરતા વર્તુળાકાર વમળો,
ગોળ ગોળ ગોળ..
અને એમાં હું અસહાય બનીને ડૂબું છું.
ખેંચાતી જાઉં છું,
ગોળ પ્રવાહી વલયમાં અથડાઈને ફીણ ફીણ થઈ જાઉં છું.
આજુબાજુ કશું જ દેખાતું નથી,
જાણું છું કે દેખાવાનું પણ નથી !
અંદર અંદર- ઊંડે ઊંડે સુધી
અવિરત
ભીષણ વેગથી ખેંચાવાનું જ નસીબમાં છે.
ચોતરફ કંઈ જ નથી
ના દીવાલ
ના તળિયું
ના ધરતી ના આકાશ
દિશાહીન..!
સાંજનો સૂર્ય પાણીની ઉપલી સપાટી પર
એના અનેરા લાલઘૂમ રંગ સાથે સાથ આપવાનો યત્ન કરે છે
પણ બધું ય વિફળ !
એ પણ લાચાર થઈને મને જોયા કરે છે.
હવે મરણતોલ ડચકાં ખાઉં છું.
મારી જીવાદોરી  તારે હાથ
બચાવી લે,
હે વમળ
હે મારા કમળ !
-સ્નેહા પટેલ

2 comments on “બચાવી લે !

  1. આપણી રચના પર અમુક મિત્રોની અદભુત કોમેન્ટ્ આવે ત્યારે એને બહુ જતનથી સાચવી રાખવાનું મન થઈ જાય છે..એમાંની એક મિત્ર અને બહુ ઉંચા દરજ્જાના કવિ અને એનાથી પણ વધુ સારા માનવી એવા મહેશ સોનીની એક કોમેન્ટ. આભાર દોસ્ત.

    આ કવિતાનો આ અર્થ મારી સમક્ષ તરવરે છે. જીવનસંધ્યાએ કોઈ એક પ્રિય પાત્રની વિદાયરૂપી સ્મૃતિઓના સાગરમાં નાનકડી કાંકરી પડવાથી ઉભા થયેલ વમળોમાં મન ડૂબી જાય છે. વમળોમાં મન ખેંચાઇ જાય છે. ભૂતકાળના વિચારોમાં ડૂબી જાય છે. સ્મૃતિઓના સાગરમાં ડૂબી જાય છે અનંતના વિચારોમાં ખોવાઇ જાય છે. મન વિચારોના ચકરાવે ચડી શૂન્યમનસ્ક થઈ જાય છે. એવા સમયે સાંજનો સૂર્ય અર્થાત કોઈ એક વૃદ્ધ અથવા જીવનમૃત્યુના ચક્રને પચાવી શકેલ અનુભવી વ્યક્તિ સાંત્વના આપવાનો પ્રયાસ કરે છે પણ તે નિષ્ફળ નીવડે છે કારણ મન પર પડેલ ઘા કારમો છે. પ્રિયપાત્રની વિદાય પછી કશું જ ગમતું નથી મન ક્યાંય ટકતું નથી. નિરાશા હતાશામાં ગરકાવ થયું હોવા છતાં જીવવાની બચવાની જીજીવિષા છે. મન કમળને(અહીં કમળના ઘણા અર્થ કરી શકાય. સરસ્વતીના આસન તરીકે કમળને) અર્જ કરે છે મને બચાવી લે. મન એમ સમજીને અર્જ કરે છે કે કમળની કોમળતા જો જ્ઞાનના ભારને સાચવી શકતી હોય તો વૈચારિક વમળોને નિશ્ચિતપણે કિનારે પહોચાડવા સક્ષમ છે જ

    Liked by 1 person

Leave a comment