phulchhab newspaper > navrash ni pal column > 25-5-2016
જોઈ શકાતું હોય જો ધુમ્મસની આરપાર
તો દ્રશ્ય પણ વહી શકે નસનસની આરપાર.
-કુલદીપ કારિયા.
ગ્લોબલ વોર્મિંગનો ખતરનાક પરચો આખી દુનિયાને બહુ સારી રીતે સબક શીખવાડી રહેલો. મોબાઈલ એપમાં ગરમીનો પારો રોજ ૪૪ – ૪૫ ડિગ્રીનું ટેમ્પરેચર બતાવતો હતો પણ સરસ્વતીને ચોક્કસપણે ખબર હતી કે દિવસના અમુક સમયે એ પારો ૪૬-૪૭ સુધી પહોંચતો જ હશે. સવારના ૧૦ વાગ્યાથી શરુ થઈને રાતના ૧૦ સુધી નકરો ગરમ ગરમ પવન ફુંકાવાનો ચાલુ ને ચાલુ રહેતો. એરકન્ડીશન, ફ્રીજ, કુલર, ફ્રુટજ્યુસ એ બધું મોજશોખ કરતાં જરુરિયાતની વસ્તુમાં ગણાવા લાગ્યું હતું. રોડ પર વ્રુક્ષો છાતી કાઢીને રુઆબ સાચવી રાખવાના પ્રયાસોમાં પ્રખર ગરમી સામે ઝઝૂમતા હતાં પણ થોડા સમયમાં એ ય થાકી હારીને માણસો પાસે વધારે પાણી પાય એવી આશામાં નમી પડતાં હતાં. એમાં પાણીની તંગી. અમુક વ્રુક્ષના પર્ણ બળીને ખાખ થઈ જતાં. જોકે એના મૂળથી છુટાં નહતાં પડી જતાં એટલે માણસોને એમને જોઇને આશા બંધાતી કે આ ઇશ્વરના પ્રકોપ સમો સમય થોડાં ઘણા બળી જઈને પણ કાઢી લેવાનો છે, મૂળસોતા સાવ જ અકાળે તો નહીં જ ખરી જઈએ.
આવા સમયમાં રમ્યાના ઘરે દીકરી સરસ્વતીના લગ્નનો પ્રસંગ આવીને ઉભો હતો.સરસ્વતી – ૨૪ વર્ષની કોડભરી નાજુક નમણી યુવતી. જોઇને આંખ ઠરે, જે ઘરમાં જશે એનું નામ ઉજાળશે એવું એના મુખારવિંદ અને બોલચાલ પરથી તરત જ પરખાઈ જતું. રમ્યા અને રમેશ પોતાની એકની એક દીકરીના પ્રસંગને શક્ય એટલી ધામધૂમથી ઉજવવા માંગતા હતાં. ઠંડા પીણા, કુલર, એસી, વિશાળ લોનવાળો એસી હોલ અને શહેરની નામી હોટલમાં લગભગ ૨૫ એક જેટલાં રુમનું બુકિંગ થઈ ચૂકયું હતું. રમ્યાના બધા સગા વ્હાલા વર્ષોથી પરદેશમાં જ રહેતાં હતાં. ભારતીય રીતિરિવાજોની ઝાઝી ગતાગમ નહીં એટલે જે પણ હોય એ બધું રમ્યાના પરિવારના માથે જ આવીને ઉભું રહેતું. દુનિયામાં પૈસા ખર્ચતા જ બધું બરાબર થઈ જાય એવી માન્યતા અહીં સદંતર ખોટી પડતી હતી. પૈસા ઉપરાંત પર્સનલ અટેન્શન અને સમય પણ ખૂબ જ જરુરી હતાં. ૧,૦૦૦ જેટલાં તો ફક્ત વેવાઈપક્ષના જ માણસો હતાં.
લગ્નનો દિવસ માથે આવીને ઉભો. રમ્યા સવારની ગ્રહશાંતિની ને બીજી અનેક વિધીઓમાં પરોવાયેલી. એની બે બહેનપણી અને એક પડોશીને કામની બધી વિગત સમજાવી દીધી હતી પણ તો ય વેવાઈપક્ષના એક ભાઈને ગરમીમાં નાચીને થાકી ગયા પછી સાદા પાણીનો ય ભાવ ના પૂછાયાની ફરિયાદ થઈને જ ઉભી રહી.
હવે ?
રમ્યા અને રમેશના હોશકોશ ઉડી ગયાં. જમાનો ભલે ગમે એટલો મોર્ડન થઈ જાય પણ કન્યાપક્ષના મા બાપે કાયમ વરપક્ષ આગળ નમતું જોખવું જ પડે છે. તેઓ એ ભાઈ પાસે ગયા અને ‘સોરી’ કહ્યું. પણ પેલા ભાઈ ના માન્યાં.
‘તમે લોકો તો લગ્ન કરવા બેઠાં છો કે રમત કરો છો ? જાનૈયાઓને બોલાવીને એમનું ધ્યાન પણ નથી રાખી શકતાં તો શું કામ બોલાવ્યાં? આટલી ગરમીમાં અમે લોકો કંઇ નવરા નથી કે આવા પ્રસંગોમાં હાજરી પૂરાવીએ. શું જોઇને નીકળી પડતાં હશે આવા લોકો લગ્ન કરાવવા?’
‘ભાઈ એવું નથી. અમે જાનૈયાઓના આગમન વેળાએ શરબતની વ્યવસ્થા કરી જ હતી પણ્ કદાચ કોઇ વેઈટરથી ભૂલચૂક થઈ ગઈ હશે. આપ શાંતિથી અહીં બેસો હું જાતે જઈને આપના માટે શરબત લઈને આવું છું, પ્લીઝ.’ રમ્યાએ ભાઈનું મગજ શાંત પાડવાનો પ્રયાસ કર્યો.
‘અરે શું હું જાતે વ્યવસ્થા કરું છું ? વર પક્ષના લોકો છીએ…આમ માંગી માંગીને થોડું શરબત પીવાનું હોય ? અમારી પણ કોઇ ઇજ્જત હોય કે નહીં ? અમે તો આ ચાલ્યાં ઘરે – ચાલ સીમા.’ ભાઈએ એમની પત્નીને આદેશ કર્યો.
‘જુઓ શંકરભાઈ, આપને કોઇ તકલીફ પડી હોય તો અમારા વેવાણ તમારી સામે ક્ષમા માંગે જ છે પછી વાતને શું કામ આટલી બધી ઉછાળો છો? એ શરબત ના મળ્યું એમાં આમ આકરા થઈ જઇએ એ આપણાં સંસ્કાર ન કહેવાય.’
રમ્યા અને રમેશની નવાઈ વચ્ચે એમના વેવાઈ કનુભાઈ એમના પક્ષે આવીને એમનું ઉપરાણું લઈને મહેમાનને સમજાવવા લાગ્યાં. આ જોઇને રમ્યાંનો બધો તણાવ દૂર થઈ ગયો.
‘વેવાઈ, અમારી કોઇ ભૂલચૂક હોય તો અમે માફી માંગીએ છીએ. અમારા કારણે તમે કોઇ સંબંધમાં ખટરાગ ઉભો ના કરતાં પ્લીઝ. લગ્ન પ્રસંગ લઈને બેઠા હૉઇએ એટલે આમ નાનું મોટું તો ચાલ્યાં જ કરે.’
‘વેવાણ, હું પણ એમ જ કહું છું કે આવડા મોટા પ્રસંગમાં ને આવા વાતાવરણમાં થોડું ઘણું આઘુ પાછું થાય જ એને આમ આબરુનો સવાલ ના બનાવી દેવાય. આ તમારી ઉજાગરાથી ભરેલી આંખો, ચિંતાતુર થઈને ચીમળાઇ ગયેલ વદન…એ બધું તો જુઓ…દીકરીના લગ્ન નહીં પણ જાણે એક મોટી જવાબદારી થઈ ગઈ. એવું ના હોય વેવાઈ- વેવાણજી. એમને આ પ્રસંગમાંથી જવું હોય તો જઈ શકે છે પણ તમારી ઇજ્જત સામે આમ કારણ વગર કાદવ ઉછાળવાનો હક એમને કોઇએ નથી આપ્યો. તમારા સ્વમાનને કોઇ જ કારણ વગર આમ ઠેસ પહોંચે એ હું ના ચલાવી શકું.’
‘હું પણ શંકરભાઈઅની વાતમાં હામી ભરાવું છું. માર પતિદેવે એક અતિથિને છાજે એવું વર્તન નથી કર્યું. એમને જવું હોય તો એ એકલા ઘરે જઈ શકે છે. હું તો લગ્નપ્રસંગ પૂરો મહાલીને જ ઘરે આવીશ.’ પેલા ભાઈની પત્નીએ પોતાનો હાથ એમના હાથમાંથી છોડાવીને કહ્યું. વીલા મોઢે પેલાભાઈ ચૂપચાપ ખુરશીમાં બેસીને લગ્નવિધી જોવા લાગ્યાં.
અને રમ્યા – રમેશભાઈના ચહેરા પર અનેરા સંતોષ સાથે સરસ્વતીના ઉજજ્વળ ભાવિના જોયેલા સપના સાચા પડ્યાંનો અહેસાસ તરવરી ઉઠ્યો.
અનબીટેબલઃ માનવીમાં શ્રધ્ધા કાયમ રહે તો બહુ બધી અંધશ્રધ્ધાઓના વિષચક્રથી બચી જવાય છે.
-sneha patel.