સ્મિતના મેઘધનુ


phoolchhab newspaper > janmabhoomi group > 26-12-2014 > navrash ni pal column
પછી એવું થયું એક સ્મિત ઊગ્યું સાત રંગોનું,

પછી એવું થયું કે આભ અમને ઓળખાયું પણ !

– ડૉ.નીરજ મહેતા

 

‘સંજના, કાલે તો રવિવાર છે, જમાઈરાજને રજા કેમ ? એક કામ કર ને બેટા, તું અને પાવનકુમાર સવારે જમવાનું કરીને આવો.’

‘ના મમ્મી, અમે કાલે અમે બધા મિત્રકપલ વહેલી સવારે થોર જવાના છીએ તો નહી ફાવે. રહેવા દ્યો ને.’

પરણીને સાસરે ગયે જેને બે મહિના પૂરા નથી થયા એવી પોતાની લાડકીનો આ લગભગ સત્તરમો નકાર હતો પિયર આવવામાં બહાના બતાવવાનો. રીના બેનનું મોઢું પડી ગયું અને થોડા ઢીલા અવાજે બોલ્યા,

‘થોર…એ તો મહેસાણા બાજુ છે એ જ અભ્યારણ ને ? બાજુવાળા પારુબેન કહેતા હતા કે ત્યાં બધા સૂર્યોદય જોવા વહેલાસર પહોંચી જાય અને ભાતભાતના પક્ષીઓને જોવાનો અનેરો આનંદ માણે. એ સિવાય ત્યાં બીજુ ખાસ કંઈ નથી.તો મારી ગણત્રી પ્રમાણે તો તમે આઠ – નવ વાગ્યે તો ફ્રી થઈ જશો બેટા બરાબર… તો પાછા વળતા આવજો ને આપણું ઘર તો રસ્તામાં જ પડે છે ને.’

મા ના મજબૂર ગળામાંથી લગભગ આજીજી કરતા હોય એવો આર્દ અવાજ રેલાયો.

‘મમ્મી, તમે ય પાક્કા છો હોં કે…આમ તો તમારી વાત સાચી છે પણ એ પછી અમે અહીં બાજુમાં જ એક ફ્રેન્ડનું ફાર્મહાઉસ છે ત્યાં જ આખો દિવસ ગાળવાના છીએ. વન ડે પીકનીક યુ નો. ચાલ, મારે પાર્લરમાં જવાનો સમય થઈ ગયો. માંડ માંડ અપોઇન્ટમેન્ટ મળી છે તો હું ફોન મૂકું. બાય – જય શ્રી ક્રિષ્ના.’

‘આવજે બેટા.’ અને રીનાબેને ભારે હ્રદયે ફોન મૂકી દીધો.

સંજનાની બાજુમાં બેઠેલો એનો પતિ પાવન એનું વર્તન બહુ ધ્યાનથી જોઇ રહ્યો હતો.

‘સંજના, તને નથી લાગતું કે તું મમ્મી સાથે થોડી રુડ થઈ રહી છું. બિચારા કેટલા વખતથી તને ઘરે બોલાવ્યા કરે છે અને તું છે કે એને ટાળ્યાં કરે છે. પરણીને આવેલી સ્ત્રીઓ પિયર જવાના નામથી રાજીના રેડ થઈ જાય જ્યારે તું તો…અને હા, આપણે કાલે ક્યાં કોઇના ય ફાર્મહાઉસ પર જવાનું છે.ખોટું કેમ બોલી ?’

‘પાવુ ડીઅર, વાત એમ છે ને કે મમ્મીના બે રુમ રસોડાન ગંદા ગોબરા ઘરમાં પગ મૂકવાનું મન નથી થતું. કામવાળા પોસાતા નથી અને જાતે સફાઈ થતી નથી. અઠવાડિયે એક વાર આખા ઘરમાં પોતા મારે છે. વળી એમને આંખ ઓછું દેખાય છે એથી રાંધવાનું ય કાચું પાકું. છેલ્લે જમ્યાં ત્યારે મેંદાની કણકમાં નકરી ઇયળો હતી.કોણ જાણે કેમ લોટ ચાળ્યા વગર કેમ વાપરતા હશે ?’

‘સંજુ, તું પણ એ જ ઘરમાં અને એ જ માહોલમાં મોટી થઈ છે ને ? આપણે ઘરે રસોઇઓ, નોકર ચાકર અને ડ્રાઇવર સાથે ગાડી છે. પણ તારા ઘરે તો તું સાઈકલ પર જ ફરતી હતી ને ? લગ્નના બે જ મહિનામાં પોતાના માવતર પ્રત્યે આવો અણગમો ? ફેસીલીટીના કેફમાં માવતરની મીઠાશ, માવજત બધું ભૂલી ગઈ કે ? સાવ આવી છેલ્લી કક્ષાની સંવેદનહીન ? સંજુ…મને તારી માંદી માનસિકતા પર શરમ આવે છે. તારા મમ્મીની આંખો સારી ના હોય તો તું એમને ત્યાં જઈને થોડી સાફ સફાઈ કરવાનું રાખ. ના હોય તો આપણા કામવાળાને ત્યાં લઈને અઠવાડિયામાં બે વાર ઘર સાફ કરાવ, ગાડી લઈને જા અને એમને મંદિર લઈ જા, શોપિંગ કરાવ. એમના ઘરે જઈને જાતે રાંધીને એમને તારા હાથે જમાડ. આ બધું તો દૂર રહ્યું પણ તું તો એમના ઘરે જવાની જ ના પાડે છે. પૈસાની, સગવડોની ચમક દમક આટલી ચકાચોંધમાં દિલ – નજર આટલું અંજાઈ જાય કે એમાં સગા મા બાપ પણ ના જોઇ શકો તો આવા પૈસાને જ થૂ ..ઉ..ઉ છે. કાલે ઉઠીને આપણી પાસે પૈસો નહી હોય કે મારું શરીર કામ નહી કરે ત્યારે તું મારી સાથે પણ આવું જ સ્વાર્થી વર્તન કરીશ કે ? સંજુ….સંજુ….મને તારી પર શરમ આવે છે…’ અને અકળાઈને પાવન ત્યાંથી જતો રહ્યો.

બીજા દિવસે સવારે પાંચ વાગ્યે ઉઠીને તૈયાર થઈને પાવન અને સંજના થોર જવા નીકળ્યા. રસ્તામાં સંજના બોલી,

‘પાવન, આગળથી બીજા ટર્ન પર ગાડી ઉભી રાખજે તો…મેં કાલે મમ્મીને ફોન કરીને આપણી સાથે આવવા કહેલું તો એ તૈયાર થઈને ત્યાં ‘રીપલ પાર્ટીપ્લોટ’ પાસે ઉભા હશે અને હા…ત્યાંથી પછી આપણે મમ્મીને ત્યાં જ જવાના છીએ..આખો દિવસ એમની સાથે…રામજી વહેલો પહોંચીને ઘરની સાફસફાઈ કરી રાખશે અને પછી આપણે મમ્મીના હાથના ગરમાગરમ બટેટા પૌંઆ ખાઈશું.’

આનંદથી ઝૂમી ઉઠીને પાવને કાચની બહાર જોયું તો દોડપકડ રમતા સફેદ રુ ના ઢગલા જેવા વાદળો પાછળથી એક કિરણ ઝગમગવા તૈયાર હતું . પોતાના સંસારમાં થયેલા સૂર્યોદય ખુશીમાં પાવનના હોઠ પર સ્મિતના મેઘધનુ ખીલી ઉઠ્યાં અને ગોળ થઈને એની મનપસંદ વ્હીસલ વગાડવા લાગ્યાં.

અનબીટેબલ ઃ ઇશ્વર તો પરમ કૃપાળુ છે બસ આપણે એના આશીર્વાદ સમજવાની ક્ષમતા કેળવવી પડે છે.

સ્નેહા પટેલ

આપણું સંતાન :


સ્મ્રુતિ ખોડલધામ – ઓગસ્ટમાસનો લેખ.

 

‘ભગવાનના આશીર્વાદ હોય તો જ તમારા ઘરે દીકરીનો જન્મ થાય – દીકરી એટલે વ્હાલનો દરિયો વગેરે વગેરે…જેવી વાતો આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ. જે આપણી પાસે કાયમ ના રહેવાનું હોય એની પર વધારે જ મમત્વ હોય એ વાત સાચી પણ એ મમત્વમાં આપણે જે કાયમ આપણી પાસે રહેવાનું હોય એને ‘ ઘર કી મુર્ગી દાલ બરાબર ગણીએ’ એ વાત કેટલી ન્યાયપૂર્ણ ?

મને ખબર છે કે આટલો પેરા વાંચીને જ અનેકો લોકોના નાકના ટીચકાં ચડી જશે, સ્ત્રી –પુરુષોના ભેદભાવમાં બંધાયેલો આપણો સમાજ એક લિમીટથી આગળ જોઈ શકવાની વિચારવાની તસ્દી લેવા જ નથી માંગતો એ બાબતે મને બહુ નવાઈ લાગે છે. હમણાં જો મેઁ અહીં દીકરી ઉપર લેખ લખ્યો હોત તો પ્રસંશાના ઢગલે ઢગલા થઈ જાત,

પણ ના…મારે દીકરા કે દીકરી કોઇ એકની તરફ્દારીમાં લેખ નથી લખવો.

આખો લેખ શાંતિથી ઉદારતાથી વંચાતો જશે એમ એમ ખ્યાલ આવતો જશે કે મેં આ લેખ આપણાં સંતાન ઉપર લખ્યો છે. એક નવા દ્રષ્ટીકોણ સાથે. આજે કદાચ આનો વિરોધ કરનારા લોકો પણ મનોમન આની પર વિચારશે તો જરુર એવો વિશ્વાસ છે.

સંતાનો તો આખરે સંતાનો જ છે. એ પછી છોકરો હોય કે છોકરી, એમના ઉછેરમાં ભેદભાવ રાખીને ઉછેરવાની આપણી સામાજિક કુપ્રથા કયારે બંધ થશે ? છોકરો અને છોકરી બે ય પોતપોતાનામાં અતુલ્ય છે. કોઇ એક માનવીની બીજા માનવી સાથે તુલના કરવી એ જ ધ્રુણાજનક વાત છે. દરેક માનવીના ગુણ –અવગુણ અલગ અલગ હોય છે. એમાં છોકરો ને છોકરી જેવી જાતિ નજરમાં રાખીને નિર્ણય કેમ લેવાય છે એ જ મને સૌથી તકલીફ પહોંચાડે છે ! ‘તમારું સંતાન એટલે તમારું લોહી’ બસ એટલું જ કાફી નથી ?

હવે ,આ લેખની પહેલી લાઈન વાંચો. વારંવાર આ વાત દોહરાવાય છે. આજના જમાનામાં જ્યારે ‘એક દંપતિ અને એક સંતાનનું સૂત્ર’ અપનાવીને ચાલતું હોય ત્યારે એક માત્ર સંતાન છોકરો હોઈ શકે છે. (અહીંઆ સ્ત્રીભ્રૂણ હત્યા જેવી બહુચર્ચિત વાતોથી મહેરબાની કરીનેદૂર રહેવું ) હવે એ દંપતિએ એમની આર્થિક, સામાજીક સ્થિતીને અનુરુપ એક જ સંતાનને જન્મ આપવાનું પસંદ કર્યુ હોય અને એને કોઇ આવીને કહે કે ‘જેણે બહુ પુણ્ય કર્યા હોય એવા નસીબદારને જ ભગવાન છોકરી આપે – કન્યાદાન તો સદભાગીના નસીબમાં જ હોય ‘ ત્યારે પેલા દંપતિના દિલમાં શું ભાવ આવશે એ વિચારો તો..શું અમારે સંતાનમાં છોકરો એટલે અમે કમનસીબ ? અમે પ્રભુને પ્યારા નહીં હોઇએ ? અમારે બીજા સંતાન માટે પ્રયત્ન કરવો જોઇએ કે ? આ બધાથી ય ઉપર પેલું સંતાન –છોકરો  ( છોકરો અને છોકરીની જાતિ છોડીને એક વિશાળ અર્થમાં એમને‘ સંતાન’ની જેમ લેતા આપણે કયારે શીખીશું?) સમજણો થયો હશે તો શું વિચારશે? નાનપણથી એ કાયમ એવી વાતો સાંભળતો હશેકે, ‘ મોટા થઈને એણે મા –બાપનો સહારો બનવાનો છે, એમને સાચવવાના છે, આવનારી પણ એનું માન સન્માન સાચવે એનું ધ્યાન રાખવાનું છે.  જો ભગવાને પોતાને આ ઘરમાં જન્મ આપીને   એના પાલનહારને દીકરીના વરદાનથી દૂર રાખ્યા છે તો પોતે પોતાના પાલનહાર માટે શ્રાપ છે કે ? જવાબદારીઓ પૂરી કરવા સાથે અપજશના ટોપલા પણ માથે લઈને ફરવાના !’

અહીં મુખ્ય ધ્યાન આપણે દીકરા કે દીકરી ના રાખતા  એમના સંસ્કારો પ્રતિ કેમ નથી રાખતા ? દીકરીઓને પારકાનું ઘર પોતાનું કરવાની ટ્રેનિંગ અપાય છે એમ દીકરાઓને પારકીજણી પોતાનાઘરે આવે ત્યારે એને પોતીકી કરીને પોતાના કુંટુંબમાં દૂધમાં સાકરની જેમ કેમ ભેળવી દેવી એવી સમજણ કેમ ના અપાય? ઘણાં ઘરડાં મા બાપ પોતાની દીકરીને પ્રેમથી સાસરે વળાવી દે છે અને પોતાની વહુઓની સાથે દુશ્મનો કે ન્નોકર જેવો વ્યવહાર કરે છે, વળી એ ગમે એટલી સેવા કરે તો પણ રહેવાની તો પારકી જણી જ ! જો દીકરી જાતિ માટે એટલો જ અહોભાવ હોય તો તમારે વહુ પણ કોઈની દીકરી છે એના માટે .’પોતાની જણી’ જેવી લાગણી  કેમ ના ઉદભવી શકે ? દરેક વાતોના હક મારી મચડીને પોતાની બાજુ લેવાની વડીલોની આ રીત ક્યારે બદલાશે ?

થોડા સમય પહેલાં જ મારે સંબંધીની દીકરીના લગ્નપ્રસંગમાં જવાનું થયું હતું. ત્યાં કન્યાવિદાય વખતે આ ની આ જ વાતો…જેમને દીકરી હોય એમને જ આ પ્રસંગની કરુણતાનો ખ્યાલ આવે., દુ:ખના ખારા અને સુખના મીઠા આંસુડાના કોમ્બીનેશનનો સ્વાદ એમને જ ચાખવા મળે પણ જેમને છોકરો હોય એમને શું સમજાય આ બધું? એ સમયે મને પ્રશ્ન થયો કે દીકરાને જન્મ આપનારી જનેતા જનેતા ના કહેવાય ? શું એ  વહુ બનતા પહેલાં કોઇની દીકરી નહી રહી ચૂકી હોય ? એણે પોતાના લગ્નપ્રસંગે આવી તીવ્ર વેદના અને સુખીની લહેરોનો અનુભવ એકસાથે નહી કર્યો હોય ? અને જો એનો જવાબ હા હોય તો પછી એને કેમ એવું કહેવાય કે તમને આ વાત નહી સમજાય – રહેવા દો !

હકીકતે આપણે દીકરીઓની સલામતીને લઈને એટલા બધા લાગણીશીલ થઈ જઈએ છીએ કે એની પ્રસંશામાં, અછો અછો વાના કરવામાં એને વધારે પાંગળી બનાવી દઈએ છીએ. નાનપણથી જ એને આવનારા સુપરસોનિક જમાનામાં એના ભાગે આવનારી સહિયારી જવાબદારીના પાઠો ભણાવીને એને મજબૂત બનાવવાની છે નહીં કે નાની નાની વાતોમાં એની આંગળી પકડીને, સહારો આપી આપીને માયકાંગલી. બાપડી, બિચારી, પુરુષોની સાથે બરોબરી કરીને પોતાની જાતને પુરુષ સમોવડી બનાવવા જેવા શબ્દો – વાતોથી એને દૂર જ રાખો તો વધારે સારું. એ જ વસ્તુ છોકરાઓના ઉછેરમાં પણ ધ્યાન રખાવી જોઇએ. સહિયારી જવાબદારીરુપે એના માથેઘરના કામકાજ રસોઇ, કચરા ,પોતા સાફસફાઈ જેવા કામ આવી શકે છે તો નાનપણથી જ એને સ્વનિર્ભર થવા સાથેસાથે આ બધા કામની નાનપમાંથી દૂર હટાવવાનો છે. દીકરી એટલે સાપનો ભારો જેવી બુધ્ધિના બીજા છેડાને પણ ના અડકતી હોય એવી વાહિયાત વાતો –માન્યતાઓની બને એટલી ત્વરાથી સમાજમાંથી નાબૂદી જરુરી છે.

દીકરો હોય કે દીકરી એ તમારું પોતીકું સંતાન છે. તમે એમાં તમારા વર્તનથી તમારા સંસ્કારો, વિચારો એનામાં આરોપવાના સંનિષ્ઠ પ્રયાસો કરો અને એને પોતાના વિચારો મુજબ જીવવા દેવાની છૂટ પણ આપો. જમાનો ગમે એટલો બદલાય પણ મા બાપની બે આંખની શરમ, પ્રેમ અને લાગણી હશે તો તમારું સંતાન તમારી સાથે અદ્રશ્ય રેશમી તાંતણે બંધાયેલુ જ રહેશે.એ એની જાતે બંધાય એ વધુ મહત્વનું.બાકી એને જવાબદારીઓ –ફરજો સમજાવીને જબરદસ્તી બાંધવાનો પ્રયાસ કરશો હંમેશા નિષ્ફળ જશો. પારકાની દીકરીને પોતાની દીકરી સમજી એના મા બાપની તકલીફોમાં એને સાથ આપવા માટે પ્રેરણા આપતા રહો અને બની શકે તો તમે પોતેપણ તમારા વેવાઈ વેવાણના સંબંધોની વાડમાંથી વિસ્તરીને હમઉમ્ર મિત્રો બનીને રહો. પછી શું દીકરી ને શું દીકરો – શું પારકી જણી ને શું પારકી થાપણ ગણાતી પોતાની જણી..!

આ લેખ પર હજુ તો બહુ બધુ લખી શકાય એમ છે..ફરી ક્યારેક આમ જ મળી જઈશ મારી તટ્સ્થતાભરી લેખની સાથે આવો જ કોઇ વિષય લઈને !

-સ્નેહા પટેલ.