શ્રી ખોડલધામ સ્મૃતિ’ મેગેઝિનમાં આ મહિનાનો લેખ..
આચમન-૩ :
થોડા સમય પહેલાં મને એક મેસેજ મળેલો, મેં જે લખ્યું છે એના માટે જ હું જવાબદાર છું,નહીં કે તમે જે સમજ્યાં’ આ વાત મને બહુ જ ગમી. હા, તો મેઈન મુદ્દા પર આવું કે,
વાંચવું એટલે શું? બહુ જ સરળ પ્રશ્ન પણ જવાબો..આના તો જેટલા મુખ એટલા અલગ જવાબો મળે. તમે કહેશો કે એમાં શું વળી વાતને આટલી ગોળ ગોળ ફેરવવાની ! વાંચવું એટલે આંખોની સામે વાંચનસામગ્રી હોય અને એના શબ્દો ઉપર નજર દોડાવવાની એટલે વાંચવાનું. પણ ખરેખર એમ જ હોય છે કે..!!!!
નાના છોકરાઓને પૂછશો તો કહેશે કે :
‘અમને શબ્દો કરતા રંગીન ચિત્રકથાઓ વધુ સરળ અને સ્પષ્ટ લાગે છે એટલે એ વધુ ગમે. આમ અમે તો ચિત્રો વાંચીએ છીએ !!’
થોડા મોટા છોકરાંઓને પૂ્છશો તો જવાબ આવશે,
‘વાંચવું એટલે..હ્મ્મ્મ.. રાયમિંગવાળી કવિતાઓ, નાની નાની બોધકથાઓ, રામાયણ-મહાભારતના યુદ્ધવાળી શૌર્યગાથાઓ, અમારા ફેવરીટ કાર્ટુનના મેગેઝિન અને છેલ્લ્લે…વાંચીને દસ દસવાર લખીને ફરજિયાત મોઢે કરવા પડતા ભેજાખાઉ શબ્દોથી છલકતા અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકોના પાઠ !!’
ટીનેજરોની તો દુનિયા જ નિરાળી..રંગબેરંગી સ્વપ્નોની દુનિયામાં વિહરતા વિદ્રોહી પંખીડા. જેમની ચકળવકળ આંખોમાં કાયમ આખી દુનિયાના રહસ્યો જાણી લેવાની ઉત્સુકતા તરવરતી હોય, આ વાંચી લઉં ને પેલું પણ વાંચી લઉં પણ સૌથી વધુ આકર્ષણ તો લેટેસ્ટ ફેશન, પ્રેમ, સેક્સ કે વિરુદ્ધ જાતિ વિશે જરુરી જાણકારી પૂરી પાડતી વાંચન-સામગ્રીઓનું હોય. બાકીનું બધું અભ્યાસક્રમમાં હોય એ વાંચવા ખાતર વાંચી જવાનું. જરૂર પૂરતું યાદ રાખીને, ગોખીને પરીક્ષાઓ આપી દેવાની અને પછી એ બધાંયને એક પોટલું વાળીને પસ્તીમાં ધકેલી દેવાનું. પસ્તીના જે પૈસા આવે એ દોસ્તો સાથે કેવી રીતે વાપરવા એમાં ભણી ગયેલા ગણિતના લેસનમાંથી જે લાગુ પડે એ સમીકરણોના સૂત્રો વાપરી લેવાના. જો કે એ સમીકરણો તાકડે યાદ આવવા પણ પાછા એટલા જ જરૂરી હોંકે, કારણ એ તો કેટલા ધ્યાનથી એ સમીકરણો શીખેલા એના ઉપર આધાર. કદાચ એટલે જ ભગવાને એ ઉંમરે યાદશક્તિ ધારદાર આપી હશે !!
એ પછી માણસ થોડો કામ ધંધામાં પરોવાય એટલે એની નજર હવે ચેકબુકોના આંકડા, પગારધોરણો, રાજકારણ, સ્પોર્ટસ, રસોઈ-શો વગેરે જેવા વિષયો તરફ ફંટાય. આ બધામાં આજ કાલ નેટની દુનિયામાંથી ફેસબુક, વેબસાઈટ, બ્લોગ, ઇમેલ જેવી જગ્યાએથી પણ વાંચન સરળતાથી અને થોકબંધના હિસાબે ઉપલબ્ધ થાય છે. લગભગ દરેક વિષયની માહિતી ‘ગુગલ દેવ’ની મહેરબાનીથી આંગળીના ટેરવે રમતી થઈ ગઈ છે. જેમાં દરેક ભાષામાં જાત જાતના વિષયો પરના લેખો, વાર્તાઓ, કોઈ પણ વિષય પર ખુલ્લેઆમ થતી ચર્ચાઓ તેમ જ જે-તે પોસ્ટ પર બીજા વાચક મિત્રોના વિચારો કોમેન્ટ્સરૂપે વાંચી શકાય છે. વળી એની પર કોમેન્ટ કરીને આપણા વિચારો પણ વાંચવા માટે નેટના દરિયામાં તરતા મૂકી શકાય છે.
આ તો થઈ અલગ અલગ ઉંમરે રસ પડતા વાચનના વિષયોની વાતો.
હવે ગમે તે ઉંમરે માણસમાં છુપાયેલ કલાકાર જીવડા જેવા લેખકો, કવિઓ, પત્રકારો, સાહિત્યકારો, છાપા-મેગેઝિનના એડીટરો કે કોઈ ખાસ વિષય તરફ અદમ્ય આકર્ષણ ધરાવતા લોકોની વાંચન સામગ્રી એકદમ જ અનોખી અને સિલેક્ટેડ જ હોય છે. જે-તે ક્ષેત્રના કલાકારોને તો એમના રસ સિવાયની માહિતીના પુસ્તકો તરફ નજર ભાગ્યે જ પડે.
આ જુવો એક સાહિત્યપ્રેમી અને શબ્દોના પ્રેમમાં પડેલી એક નારી ‘બિંદુ દાણી’ના શબ્દો એની જ ભાષામાં,
‘વાંચન …..
ઘરમાં આવતા અગણિત મેગેઝીનો વાંચવાની ઈચ્છાને કે પછી રોજ સવારનાં ઉઠીને ઢગલાબંધ છાપાઓમાં રહેલી નકારાત્મકતાને વાંચવાને વાંચન ના કહેવાય.’મારા માટે વાંચન એટલે એક હકારાત્મકતાની અનુભૂતિ’. મારી સાથે ઘણીવાર એવું પણ બન્યું છે કે એક જ વાક્ય વાંચ્યા પછી મને એવું લાગ્યું છે કે મેં આખું પુસ્તક વાંચી લીધું.
વાંચન એટલે સાગરની ગહેરાઈમાં ડૂબવાની મઝા,
વાંચન એટલે દુકાળગ્રસ્ત ધરતી પર પહેલો વરસાદ,
વાંચન એટલે એજ ધરતી પર વરસાદનો પ્રેમ પથરાયા પછી ઉગેલી એક નાનકડી લીલીછમ કુંપળ,
વાંચન એટલે માના સંસ્કાર,
વાંચન એટલે પિતાનું વાત્સલ્ય…..’ !!!
વાંચન સાથે આટલો સંવેદનશીલ નાતો..!!
અમદાવાદના એક અતિ સંવેદનશીલ શિક્ષક એવા ‘સાકેત દવે’ના મત મુજબ,
‘મારા વિચાર મુજબ વાંચન એટલે હળવાશથી લઈને તીવ્ર લાગણીઓના અનુભવની ઝંખના હોય એવી વ્યક્તિઓનું શ્રેષ્ઠ માનસિક ભોજન.
હું મોટાભાગે જે હાથમાં આવે એ વાંચું છું અને વાંચનથી દરેક વખતે ઘણી લાગણીઓ અનુભવું.કોઈવાર આંખ ઉભરાઈ જાય, કોઈવાર સખત ગુસ્સો આવે તો કોઈવાર ખૂબ દયા.ઓતપ્રોત થવામાં કંઈ જ બાકી ના રહે. મોબાઈલ અને ઇન્ટરનેટના કોપી-પેસ્ટના જમાનામાં મૌલિક લેખનની જેમ મૌલિક વાંચનનો ક્યાંક ક્યાંક અભાવ અનુભવાય, તો ક્યાંક બે-ચાર લીટીમાં હૃદયસ્પર્શી શબ્દો વાંચવા મળી જાય તો લેખ વાંચ્યા જેવી તૃપ્તિ અનુભવાય!!’
બોલો..વાંચનની આટલી બધી અસર !! શબ્દો જાણે સામે ચોપડી કે કોમ્પ્યુટરની સ્ક્રીનમાંથી નીકળીને તમારો હાથ પકડીને તમારી જોડે બેઠા બેઠા કોફીના ઘૂંટ ગળે ઉતારતા ઉતારતા રોજબરોજની વાતો કરતા હોય એમ લાગે છે ને. આ શબ્દોની તાકાત નહીં તો શું કહેવાય !!!
બીજા એક એનીમેશન પિકચરો બનાવનાર કલાકારજીવ ‘જયેન્દ્ર આશરા’ના કહેવા મુજબ,
‘વાંચન એ આપણી ઇન્દ્રિયોના અનુભવનો અર્થ છે. બાળક ત્રણ વર્ષની ઉમરથી જ તેના માતા-પિતાના હાવભાવ અને અવાજ નું વાંચન કરે છે.તેમાંથી શીખે છે અને ક્યારેકતો તે પોતાના માતા-પિતા નો મિજાજ જોઈ ને વર્તન બદલે છે. જેમકે ખબર પડે કે માતા ગુસ્સે છે તો તે વધારે પડતા વ્હાલથી વર્તન કરે છે. ઘણીવાર મને લોકો પૂછે છે કે, ‘ તમે આ બીજી ના સમજાતી દક્ષીણ ભારતીય ભાષા કે વિદેશી ભાષા ની ફિલ્મ કેમ માણી શકો છો?’ તો મારો જવાબ હોય છે કે,’ હું તો એ એકટરો ના હાવભાવ અને કથાવસ્તુ તેમાં ના દ્રશ્યો થી વાંચી લઉં છું.’
બોલો આવા ઇન્દ્રીય વાંચનનો અનોખો લહાવો માણ્યો છે તમે કદી ..?
ધોરણ ૮ થી ૧૨ ના GSEB, CBSE. ICSE, IGCSEના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા શીખવતા ‘રાજેશ શેઠ’ના મત મુજબ,
‘To read means to share the views of a writer and try to accept if favorable and try to reject if do not suits to the reader ‘
તો વળી એક ખૂબ જ ક્રીએટીવ દોસ્ત છે જે કોપી રાઈટીંગ અને અનુવાદનું કામ કરે છે, જેમણે હોલીવુડના પિક્ચરો અને ડીસ્કવરી પ્રોગ્રામ્સની ડોક્યુમેન્ટરી, કાર્ટુન સિરીયલોના અનુવાદ કરેલા છે એમને પુછ્યું કે,
‘વાંચન એટલે શું? તો તરત જવાબ આવ્યો કે,
‘I’m college drop out. પણ લોકો માનતા નથી. પણ હકીકત તો એ છે કે ‘વાંચન એટલે હું પોતે’ મતલબ કે હું આજે જે કંઇ છું એ વાંચન થકી જ છું. મારું અસ્તિત્વ એટલે જ વાંચન’
વાંચન સાથેનો આવો દૈવી પ્રેમ, તાદાત્મય અનુભવ્યું છે કદી તમે !!
અમેરિકાની ‘ડ્રેક્ષલ યુનિવર્સિટી’ના પ્રોફેસર અને ગુજરાતી સાહિત્યના જબરદસ્ત ચાહક એવા જય ભટ્ટ્ના મત મુજબ,
‘વાંચન..એટલે માત્ર શબ્દો, વાક્યો અને પાના વાચી જવા એટલું જ નહી, પણ એ શબ્દો દ્વારા અભિપ્રેત થતી વિવિધ લાગણીઓ, આત્મસાત કરવી એ’
વાંચનનું રસપાન..!!
જોકે વાંચવું એ તો બરાબર. તમને જે વિષય પર મન થયું એ વાંચી કાઢ્યું તો ખરું પણ એમાંથી ભેજામાં કેટલું ઉતરે એ વિચાર્યુ છે કદી..? આ વાત પર એક વાત યાદ આવી ગઈ.
નાનપણમાં સ્કુલની લાઇબ્રેરીમાંથી અને બીજી આજુ-બાજુની ઢગલો લાયબ્રેરીના કાર્ડ કઢાવી કઢાવીને હું એક દિવસમાં એક નવલકથા કે પુસ્તક એકી બેઠકે વાંચી કાઢતી. ઘરમાં વાંચનારા સભ્યો વધારે અને આપણને પહેલા નંબરે રહેવું ગમે એટલે આપણા ભાગે આમે આવી ફટાફટી થોડી વધારે આવે. પુસ્તક વાંચી લીધા પછી મોઢા પર એક છૂપો ગર્વીલો ભાવ તરવરે..અહાહા..મારી વાંચનની સ્પીડ જોઈને..કેટલી ફાસ્ટ છું. હવે આજે જ્યારે યાદ આવે કે આ પુસ્તક તો નાની હતી ત્યારે વાંચેલુ છે પણ એમાંની ડીટેઇલ્સ ખાસ કંઇ યાદ નથી આવતી..લાવ ફરીથી એ જોઇ જવા દે તો. પછી તો પુસ્તક ખરીદાય, શાંતિથી એ પુસ્તકના પાના પર હાથના ટેરવાંનો સ્પર્શ થાય. પણ અત્યારે એ ટેરવા ધીરજ અને વીતેલા વર્ષોની સમજણથી ભરેલા છે એટલે એક પાનું ખોલું..શાંતિથી વાંચુ…બીજું..ત્રીજું…અને આ શું..આમાંનું કશું જ મેં પહેલાં વાંચ્યાનું યાદ નથી !! તો વાત એમ છે મિત્રો કે નાનપણમાં અડધા પડધા પાનાંઓ ગુપચાવીને ઉપરછલ્લા વાંચેલા શબ્દો તો મારા દિલ-દિમાગમાં પૂરેપૂરા ઊતર્યા જ નહોતા. સામે પક્ષે હવે મારો દીકરો મારી સામે હોડ લગાવતો હોય કે , ‘મમ્મી, મેં આજે એક આખી બુક પતાવી કાઢી અને તમે છેલ્લા અઠવાડીયાથી એક જ બુક વાંચો છો?’ ત્યારે મનોમન એના એ ‘પતાવી કાઢવાના વાંચન’ પર હસી પડાય છે.
લેખકે કયા સંદર્ભમાં લખ્યું હોય અને વાંચીને આપણે વાત કયા સંદર્ભમાં સમજીએ એ પણ વિચારવાનો મુદ્દો છે. કોઇ પણ વાંચન વિચાર, મનન અને અધ્યયન વગર અધુરું કે ઉપરછલ્લું જ છે. એક જ વાક્ય આઠ વર્ષનો બાળક વાંચશે કે અઢાર વર્ષનો નવજુવાનિયો વાંચે કે પછી ૪૦ વર્ષની આસપાસની વ્યક્તિ વાંચે કે ૬૦-૭૦ વર્ષના ઘરડાં બધા પર એ લખાણની અસર એમની સમજશક્તિ અનુસાર અલગ અલગ જોવા મળે છે.
આજ કાલ નેટના કારણે લોકો પર વાંચન સમગ્રીનો ઓવરડોઝ ખડકાય છે. લોકોને વાંચવા માટે ઢગલો સાહિત્ય આરામથી ઘરબેઠા લેપટોપના ટચુકડા સ્ક્રીનમાં જોઇએ ત્યારે હાજર થઈ જાય છે. વિદ્યાર્થીઓને જે પણ મટીરીઅલ જોઇએ એ શબ્દ ‘ગુગલ સર્ચ’માં ટાઈપ કરીને એના વિશેની જરૂરી માહિતી મેળવી કોપી-પેસ્ટ કરો અને પ્રોજેક્ટ પતાવો..આ ‘ઇઝીલી અવેલેબલ’ ઢગલો ઓપ્શન એમની ધીરજ અને આંતરિક સમજશક્તિના ગુણોને ખીલવાની તક જ નથી આપતી. એ વિદ્યાર્થી એના જીવનમાં આમ ને આમ જ ઝડપથી આગળ વધતો રહ્યો તો એની જિન્દગીમાં સમજપૂર્વક, ધીરજ્થી આખે આખા પુસ્તકો વંચાયાની સંખ્યા કેટલી હશે એ પ્રશ્ન ખરેખર વિચારવાને લાયક છે. આ બધાથી એ લોકો લાઇબ્રેરીમાં જતા ઓછા થઇ ગયા છે. હાથના આંગળાને ચોપડીઓના પાનાનો સ્પર્શ થતો હોય, સાથે એક પેન કે પેન્સિલ લઇને ચીવટપૂર્વક મનગમતા વાકયો નીચે અન્ડરલાઈન કરાતી હોય, સાથે એક મોટો ચા કે કોફીના મગમાંથી ચુસ્કી લેતા જવાતી હોય અને એ ય ને આરામથી ઝુલણખુરશીને હળ્વી ઠેસે ઝુલાવતા ઝુલાવતા વાંચવાનું હોય આ બધી મજા એમના નસીબમાં ક્યાં? અરે…નવીનક્ક્કોર ચોપડી ખરીદી હોય અને એનું ઉપરનું પ્લાસ્ટીક રેપર ખોલીને જતનપૂર્વક પહેલું પેજ ખોલી આંખો બંધ કરીને નાકમાં પ્રવેશતી પહેલ-વહેલા ખુલતા પાનાની ‘વર્જીન સુગંધ’ ની અનુભૂતિ પણ એ લોકો ક્યાં માણી શકવાના !
વળી નેટ પર તો કોપી પેસ્ટ કરનારાનો રાફડો ફૂટયો છે. કોઇ પણ મનગમતું વાંચન શોધો અને પોતાના નામે એ લખાણ ચડાવીને પોતાના ફ્રેન્ડસર્કલમાં કે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડને એની કોપી કરીને મેઈલ કરો કે ફેસબુકની વોલ પર ચીપકાવીને એના પર લાઇક કે કોમેન્ટ્સના ઢગલા મેળવો. ઘણીવાર તો ઓરીજીનલ લેખકના પોતાના મોબાઈલમાં પોતાનું લખાણ બીજાના નામે ચડીને આવે ક્યાં તો નેટ પર સક્રિય હોય તો બીજાની ફેસબુક વોલ કે બ્લોગ પર પોતાનું લખાણ બીજાના નામે ચઢેલું નજરે ચઢે. વાચકવર્ગની પોતાની પણ એક નૈતિક જવાબદારી હોય છે કે જે-તે કોપી કરાતી રચના કે લખાણનું શ્રેય તમે રચનાની નીચે એના મૂળ રચનાકારનું નામ લખીને જરૂરથી આપો. આના પર તો ‘ગુજરાતી બ્લોગજગત’માં કેટલીયે ચર્ચાઓ થઈ છે. અજાણતા ભુલ કરનારા આસાનીથી એ વાત પર ‘સોરી’ કહીને વાત સમજીને સ્વીકારી લે છે, પણ હજુ અમુક નિર્લજ્જ લોકો પડ્યા છે જે આનો તીવ્ર વિરોધ કરીને એ જ વર્તન કરવાનું ચાલુ રાખે છે.
ઘણીવાર અમુક લેખકો, વિચારકો એમના લખાણમાં એટલા ઊંચા ગજાની વાતોના ગાડા હાંકી કાઢે, ડહાપણનાં પોટલે પોટલાં ખુલ્લાં મૂકી દે છે. હવે દરેક વાત દરેક પરિસ્થિતિમાં સાચી ના જ હોય. એ લેખકે પોતાના માનસિક સ્તર મુજબ એ લખાણ લખ્યું હોય પણ સામે સામાન્ય વાચક્ની માનસિક કક્ષા એટલી બધી મજબૂત ના હોય તો ? વાચક જો ઇમાનદાર અને લાગણીશીલ હોય તો એ આદર્શ વાંચન અનુસાર પોતાની જાતને ઢાળતા રહેવાના પ્રયત્નોમાં સતત લાગેલો રહેશે અને વાંચ્યા મુજબની આદર્શ સ્થિતિમાં ના પહોંચી શકાતા એક તાણનો અનુભવ પણ કરે. તો એવા વાચકોએ એટલું સમજવું જોઇએ કે જેમ ‘ના બોલ્યામાં નવ ગુણ’ જેવી કહેવત અસ્તિત્વમાં છે એમ’ બોલે એના બોર વેચાય’ જેવી કહેવત પણ પ્રસિદ્ધ છે. સમય અને સંજોગોને અનુસાર આપણી શારીરિક અને માનસિક સ્થિતિને ધ્યાનમાં લઈને, આપણી સમજ અનુસાર પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરીને પછી જ વાંચેલું જીવનમાં આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરવો જોઈએ. બધાયને એક લાઠીએ ના હંકાય હોં કે..!!


-સ્નેહા પટેલ – અક્ષિતારક
Like this:
Like Loading...