

પ્રિય મિત્રો, મારે કોરોનામાં હિંમતથી લડેલા, પોતાના અને બીજાના જીવન માટે ઝઝૂમેલા લોકોની સત્યઘટનાઓ ઉપર પુસ્તક બનાવવું છે.
જે પણ મિત્રોને પોતાની વાત પ્રેરણાત્મક લાગતી હોય એ બધા જ મિત્રો મારા ઇમેઇલ એડ્રેસ
sneha_het@yahoo.co.in
પર પોતાના અનુભવો મોકલી શકે છે.
માત્ર પોતાના અનુભવ જ લખવા, હા આપના મિત્રો સાથે આ પોસ્ટ શેર કરીને એમને જણાવો અને તેઓ પોતાના અનુભવ મોકલે એ આવકારદાયક.
અનુભવ લખતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા:
દરેક ઘટનાની તારીખ, સ્થળ, ટ્રીટમેન્ટની વિગતો જે પણ હોય એ જરૂર પૂરતી વિસ્તારથી લખવા વિનંતી જેથી મને બધી ઘટનાના અનુસંધાન મળી રહે અને હું પૂરતી છણાવટ સાથે લખાણને ન્યાય આપી શકું. આડું અવળું અને કોઈ પણ પ્રકારના કોઈને દોષરોપણ કે નેગેટિવ લખાણ હશે તો મને એના ઉપર લખવું નહિ જ ગમે માટે નેગેટિવિટીથી મહેરબાની કરીને દૂર રહેજો. તમારી હિંમત ને સકારાત્મકતા જ મારા માટે મહત્વની છે.
આપના અનુભવ પુસ્તકમાં લઈશ તો આપને જાણ કરીશ. આપનું નામ, એડ્રેસ,ફોન નંબર વગેરે આપવા જેથી પુસ્તક છપાય ત્યારે આપને એની નકલ મોકલી શકું.
ખાસ નોંધ: અહીં કે ફોન ઉપર મેસેજમાં કોઈ જ પ્રકારની વાતચીત ના કરવી. જે પણ જણાવવા યોગ્ય હશે એ માત્ર ને માત્ર ઇમેઇલથી જ વાત થશે. એક જ જગ્યાએ વાત થાય તો મારો સમય ને શક્તિ બચી જાય અને પુસ્તકનું મેનેજમેન્ટ વ્યવસ્થિત કરી શકું.
આભાર,
સ્નેહા પટેલ, 12nov, 21.
કવિતાનું પુસ્તક તો વેચાય જ ક્યાં…
આ એક વાક્ય મેં જ્યારથી કવિતાઓ લખવાનું ચાલુ કર્યું ત્યારથી માંડીને આજે કવિતાનું પુસ્તક ‘અક્ષિતારક’ મારા હાથમાં આવ્યું ત્યાં સુધી સાંભળતી આવી છું. જો કે સાંભળવાનું અને અનુભવવાનું બે અલગ વાત છે ને હું વર્ષોથી મને જે ગમે એવા પ્રયોગો કરીને સફળ થવાની એક કુટેવ પડી છે. વળી પ્રયોગોમાં સફળતા હાથ આવે છે એથી કુટેવને વધુ ખાતર મળી રહે છે. આ પુસ્તકમાં ધાર્યા કરતાં વધુ સફળતા મળી રહી છે.
કોઇ મિત્રને ફોન કરીને એડ્રેસ પૂછું છું તો એ હકથી એની કોપી માંગે છે અને ધીરે રહીને ઉમેરે છે,’સ્નેહા, બીજી પાંચ, પચીસ, બે કોપી પણ બિલ સાથે મોકલજે. મારે તારી બુક પરચેઝ કરવી છે.’ અને આ સાંભળીને મારી નવાઈનો પાર નથી રહેતો. આ ઓછું હોય એમ મને અહીં મેસેજીસ, ઇમેઇલમાં તો આ બુકની સાથે સાથે મારી આગળની ટૂંકી વાર્તાઓની છપાઈ ગયેલી ‘વાત સીરીઝ’ની બુકનો આખો સેટ પણ માંગે છે. ચાર બુક અને સાથે પોસ્ટેજ ખર્ચ પણ અમે જ ભોગવીશું નો આગ્રહ રાખે છે. (આ પોસ્ટેજ ખર્ચ સાથે પુસ્તક ખરીદવામાં ફકત ગુજરાત, ઇન્ડીઆ જ નહીં યુકે, યુ.એસ., કેનેડા, ઓસ્ટ્રેલિયા..જ્યાં જ્યાંથી મારો બ્લોગ વંચાય છે ત્યાંના મિત્રો સામેલ છે. ૧૬૦ રુપિયાના પુસ્તકના એ લોકો ૪૦૦ રુપિયા સુધી ખર્ચે છે.) !!!
હવે તમે જ કહો મિત્રો, આ બધાની પાછળ શું કારણ હોઇ શકે ?
વિચારવાની ટેવ હોવાથી મને એક જ કારણ દેખાય છે અને આખી ઘટનાનો સાર હું કંઈક આમ કાઢી શકી કે ,
‘હું કોઇ મોટી કવિ નથી બની ગઈ કે મારા નામથી કવિતાની બુક્સ વેચાઈ જાય. પણ આ એક નવા સર્જકને પ્રમોટ કરવાની વાત માત્ર છે. ઠાલા શબ્દોથી નહીં પણ નક્કર વર્તનથી લોકો પ્રોત્સાહન આપવાનો ઉત્સાહ બતાવે છે. કદાચ હવે સમય આવી ગયો છે કે આપણે પણ બીજા સર્જકોની બુક પૈસા આપીને એની પાસેથી સાદર ખરીદતા શીખીએ અને
‘ગુજરાતી બુક્સ,કવિતાની બુક્સ તો ખાસ ખરીદે છે જ કોણ? ‘નું ગ્રહણ દૂર કરીએ.
આ માટે આપણે મિત્રો સિવાય લોકોને આપણું પુસ્તક ફ્રીમાં આપવાની ટેવ પણ દૂર કરવા જેવી ખરી. સાવ ફ્રી હોય એની કિંમત બહુ ઓછા લોકો જ કરી જાણે છે. આપણે આપણા સર્જનને સાવ એવું સસ્તુ તો ના જ બનાવીએ દોસ્તો !
જોકે, આ મારો સાવ જ અંગત મત છે અને હું પહેલેથી છાપું હોય કે મેગેઝિન..ક્યારેય એક પણ શબ્દ પૈસા વગર નથી લખતી એ બધા મિત્રો બહુ જ સારી રીતે જાણે છે.
જે લોકો મને પ્રોત્સાહન આપે છે એ બધા મિત્રોની હું કાયમથી આભારી રહી છું અને આજે પણ એ જ …..આભાર મારા મિત્રો.
-સ્નેહા પટેલ.
મારા પ્રિય મિત્રો,
આટલા વર્ષોથી તમારી શુભેચ્છાઓથી હું મારી લેખનયાત્રામાં આટલી આગળ વધી શકી છુ. મારા દરેક સારા નરસા પ્રસંગોમાં આપને ભાગીદાર કરતી આવી છુ. લો આજે એક વધુ ખુશી આપની સાથે વહેંચુ છુ.
વર્ષોથી તમે લોકો મારા બ્લોગ ‘અક્ષિતારક’ નામથી પરિચીત જ છો. પેપરમાં કોલમ લખતાં પહેલાં તો હું આ બ્લોગ પર નાની નાની રચનાઓ અને લેખ લખતી હતી. તમે મારી એ નાની નાની રચનાઓમાં એમ જ મજા માટે લખતી ઉપનામ ‘અક્ષિતારક’ પર એટલો પ્રેમ વરસાવ્યો કે મને ‘સ્નેહા પટેલ’ના નામથી નહીં પણ ‘સ્નેહા – અક્ષિતારક’ નામથી જ ઓળખવા લાગ્યાં. એ પછી તો પેપર – મેગેઝિનમાં કોલમો લખતાં લખતાં મેં મારું ઓરીજીનલ નામ ‘સ્નેહા પટેલ’ જ લખવાનું રાખેલું. ધીમે ધીમે છંદ શીખતા શીખતા મારી પાસે ઘણી બધી ગઝલો ભેગી થઈ ગઈ અને મને એ રચનાઓને પુસ્તક સ્વરુપે મઢી લેવાનો મોહ થઈ ગયો ને એ વખતે મારા મનમાં આ પુસ્તક માટે એક ને માત્ર એક જ નામ આવ્યું ‘અક્ષિતારક’.
આ નામ આપ સૌને જ આભારી છે. આ બદલ હું દિલથી આપની આભારી છું.
મારી ટૂંકી વાર્તાઓના ત્રણ પુસ્તક પછી લગભગ સાત – આઠ વર્ષોથી લખાતી આવેલી રચનાઓમાંથી સ્ટ્રીકટ – કઠોર સિલેક્ટન કરેલી ગઝલ અને અછાંદસ કવિતાઓનું ચોથું પુસ્તક ‘અક્ષિતારક’ લઈને આવી રહી છું.આશા છે આપ એને પણ અગાઉ વરસાવેલ પ્રેમાળ – હૂંફાળું વાતાવરણ પૂરું પાડશો અને એને વધાવી લેશો.
પુસ્તકના પાના ૧૪૪ અને કિંમત રુપિયા ૧૬૦ છે. પુસ્તક મારી પાસેથી જ મળશે જે મિત્રોને ખરીદવાની ઇચ્છા હોય તેઓ મને મેસેજ કરશો. my email id is sneha_het@yahoo.co.in.u can email too.
આ પુસ્તકના આગમન વખતે મિત્ર હસમુખભાઈ અબોટી – ચંદન (જેમને હું ‘દરિયાના માણસ’ તરીકે ઓળખું છું . કારણ એમના પુસ્તકોમાં મને કાયમ દરિયો દેખાય, દેખાય ને દેખાય જ) એ એમની કેળવાયેલી કલમ દ્વારા ખૂબ જ સુંદર લેખ લખીને આવકાર આપ્યો છે એ બદલ એમની અને કચ્છમિત્ર પેપરની હું ખૂબ જ આભારી છું. હસમુખભાઈની કલમથી મારો પરિચય લખાય એટલે સર્વાંગ સુંદર જ હોય. હું એમની ‘અક્ષરદાત્રી’કોલમની ‘ફેન’ છું. મોટાભાગે હું એમના એ લેખ વાંચીને અનેક સર્જકોનો પરિચય જાણી શકી છું એ હસમુખભાઈની કલમ આમ જ અવિરતપણે વહેતી રહે અને બીજા અનેક સર્જકોને આમ જ ઓળખ આપતી રહે એવી શુભેચ્છાઓ.
-સ્નેહા પટેલ.
એક એક લેખને ધૈર્યપૂર્વક વાંચીને એના વિશે છણાવટપૂર્વક લખવાની મહેનત કરનારા મૌલિકાબેન દેરાસરીનો – વેબગુર્જરી બ્લોગનો આભાર.
http://webgurjari.in/2014/02/18/blog-bhraman-55-56/
“શબ્દ જ્યારે સમજણો થાય છે,
અર્થ ત્યારે કંકુવરણો થાય છે.”
ધૂની માંડલિયાની આ પંક્તિઓ છે. કોઈ પણ રીતે કહેવાયેલા કોઈના શબ્દોને આપણી સમજણનો અર્થ મળે, ત્યારે એક માણસની અનુભૂતિ જાણે બીજામાં સાકાર થાય છે.
શબ્દોનું આ જ તો કામ છે ને..!!
અહીં એક હૂંફાળું વિશ્વ ખૂલે છે, માનવ સંવેદનાઓનું.
લાગણીઓ એક જ એવી વાત છે કે જે ઈશ્વરે ફક્ત માણસને આપી છે !
લાગણી એક, પણ રંગો એના અનેક.
‘ઇચ્છાઓ પૂરી ના થાય ને દાનવ થઈએ, એવા આપણે માનવ શું કામના ?’
એક વાક્ય પણ કેટલું ગહરૂં !!
અહીં વાંચતાંવાંચતાં મનની કડવી યાદો ખરતી જાય છે અને ગમતીલી યાદોની મહેંકતી લીલાશ ફૂટતી જાય છે.
‘નિયમિત મારી જિંદગીમાં
એક
તારી યાદ
નિયમિત રીતે અનિયમિત !’
યાદોનું તો કામ જ એવું ને !! એને નિયમ હોય ?
ઊમટી પડે તો વણથંભી વણજારની જેમ.. નહીંતર રણનો વરસાદ જાણે !
ક્યારેક મનમાં ઊઠતા પ્રશ્નો શબ્દોમાં ઊમડી આવે.
સ્ત્રીઓએ જ શું કામ સાસરે જવાનું ?
સંબંધોને ઇસ્ત્રી મારી શકાય ?
ઓનલાઈન વાંચન પુસ્તકોનું સ્થાન લઈ શકશે ?
તુંડેતુંડે મતિર્ભિન્ના અને મતિમતિએ ભિન્નભિન્ન સવાલો ઊઠતા રહે છે પણ…
‘દરેક સવાલ ઉત્તર લઈને જ નથી જન્મતો.’
છતાં મનમાં ઊઠતા સંવાદોને રોકી શકાય ખરા !
જાત સાથે વાત થતી રહે એ શબ્દોમાં ઊતરતી રહે છે.
સોશિયલ સાઈટ્સમાં થતી ગ્રુપબાજી વિષે, સ્ત્રી-પુરુષના સંબંધ વિષે, દોસ્તોની દિલદારી કે સાહજિક પ્રેમ વિષે, સમજણનાં ફાંફાં કે પીડાના નશા વિષે… કે પછી ક્યારેક ખુદની આસપાસ જ એક કોચલું બનાવીને પોતાની જ હુંફમાં પૂરાઈ જઈને પારાવાર શાંતિ મેળવવાની પ્રબળ ઇચ્છાની વાત છે.
સંબંધો હવે ફક્ત પ્રેમ, લાગણી કે સમજ્દારીના જ નથી રહ્યા.
હવે મેસેજિયા સંબંધો છે, જ્યાં લાગણી, પ્રેમ, નફરત, ગુસ્સો બધુંય ૧૬૦ શબ્દોમાં વહે છે.
રેઇનકોટી સંબંધો છે, જ્યાં બહાર મીણનું કોટિંગ હોવાથી સંવેદનો બહારથી જ વહી જાય છે. અંદર સુધી એટલે કે અંતર સુધી ભિંજાવા દેવાનો મોકો જ નથી અપાવા દેવાતો. સંવેદન બધિર સમાજમાં સંબંધોની ભાંજગડ છે, હવે.
સંબંધોનો ખરખરો થાય છે. કોઈની જિંદગીમાં ચંચૂપાતો કરી ઝેરના રોપા રોપાય છે.
આ બધાની વચ્ચે રહીને અહીં વાત બે પળની કરી છે, વાત થોડી હૂંફની કરી છે. મમ્મી, સાસુ, સંતાન કે પતિના ચાહવાની વાત છે, મેઘધનુષના ગમવાની વાત છે. આપણી અંદરના આપણેની વાત છે.
સાથેસાથે ફિલ્મો, અભિપ્રાયો, ગરમી, વરસાદ, આસ્તિક, નાસ્તિક, ઘડપણ, લગ્ન, ચાહત, સુખડાં કે દુઃખડાંની વાત છે.
વાર્તાઓના જરિયે કહેવાયેલી – દિલ, દિમાગ, સમાજ કે સમજની આપણાં માંહ્યલાંને દસ્તક દેતી વાત છે.
ક્યારેક વાત અસહ્ય વેદનાની, અજંપ ખાલીપાની છે.
‘એક ખાલીપો ઊછેર્યો તે ને મેં બીજો અહીં
કુંપળો ફૂટે અહીં ને પાન ત્યાં લહેરાય છે.’
શબ્દે શબ્દે સહજ લહેરાતી અનુભૂતિનું આ શબ્દ-વિશ્વ એટલે સ્નેહા પટેલ ‘અક્ષિતારક’ ||૫૫||નો આ બ્લૉગ.
અમદાવાદમાં વસતાં એક પ્રોફેશનલ લેખિકા છે તેઓ. વિચારવું, અનુભવવું અને લખવું એને જ જિંદગી માનતા સ્નેહાજીને જાણે વરદાન છે હૃદયની તીવ્રતમ અનુભૂતિઓને શબ્દમાં ઢાળવાનું.
તેઓ કહે છે કે,
‘નદી જેવી બિન્દાસ વહું છું,
હાં પણ… વળાંકોને અનુરૂપ થઈ જઉં છું.
ખેર…
આ તો એક ઝલક માત્ર છે. ખરી મજા તો એ છે કે, તમારી જ આંખોથી જોઈ લો એ વિશ્વને, મહેસુસ કરો એને તમારી જ સંવેદનાઓથી.
-મૌલિકા દેસાઈ
સૌરાષ્ટના પ્રતિષ્ઠિત દૈનિક અખબાર ‘ફૂલછાબ’માં ‘નવરાશની પળ’ કોલમના લેખ ‘વાત થોડી હૂંફની’ અને ‘વાત બે પળની’ પુસ્તકોરુપે પ્રકાશિત થઈ રહ્યાં છે ત્યારે અનુભવાતી મારી ખુશી કાયમની જેમ જ એક વાર ફરીથી આપ સૌ મિત્રો સાથે વહેંચું છું.
જેમના સહયોગ વગર આ કામ મારા માટે કદાચ બહુ જ અઘરું થઈ પડત એવા
-ફૂલછાબના તંત્રીશ્રી કૌશિકભાઈ મહેતા
-બુકશેલ્ફ પ્રકાશનના હીરેનભાઈ શાહ
-બુકડિઝાઇનર રણમલભાઈ સિંધવ
– પ્ર્રૂફરીડર કેયુરભાઈ
આ સર્વેનો અને સદાથી મારું લખાણ વાંચીને મને પ્રોત્સાહન આપનારા મિત્રો -વાંચકો સર્વેનો દિલથી આભાર.
-સ્નેહા પટેલ