માઇક્રોફિક્શન વાર્તા


માઇક્રોફિક્શન:

જીમમાં કલાક મશીનો પાછળ પસીનો વહાવીને ઢગલો કેલરી બાળીને ‘શેઈપ’માં આવતા શરીરને જોઈને ખુશ થતા એ ઓગણીસિયા નવજવાને બહાર આવી પાનના ગલલેથી સિગારેટ લઈને અંદરથી શરીરને બાળવા સળગાવી.

-સ્નેહા પટેલ.

16-3-2018

માનવ શું કામના ?


ઇચ્છાઓ પૂરી ના થાય ને દાનવ થઈએ એવા આપણે માનવ શું કામના ?
-સ્નેહા પટૅલ.

stri – purush


ઘણી વખત મને મેસેજીસમાં ‘ તમે આ ફોટામાં બહુ સુંદર – અદભુત લાગો છો, શું આપણે ચેટ કરી શકીએ,,મારું ઇમેઈલ એડ્રેસ …, ફોન નંબર… છે ‘ આવું વાંચવા મળે ત્યારે વિચાર આવે છે કે ઃ

પોતાની સુંદરતાના વખાણ સાંભળીને અભિભૂત થઈને આવી રીતે ચેટ કરવા લલચાઈ જઈને પુરુષોનેઆવી ટેવ પાડતી સ્ત્રીઓની દયા ખાવી
કે
દરેક સ્ત્રીને વખાણ કરીને એની સાથે ચેટ કરીને ટાઈમપાસ કરી શકાય એવી નીચી કક્ષાની મેન્ટાલીટી ધરાવતા પુરુષવર્ગ ઉપર ગુસ્સે થવું…? સમજાતું નથી

આમ જોવા જઈએ તો બેય સરખાં જ કહેવાય.

-સ્નેહા પટેલ

વિદ્યાબાલન


વિદ્યા બાલન, ઇમરાન હાશમી..જ્યાં જોઇએ ત્યાં આજકાલ ટી.વી સીરિયલ કે નેટ,છાપા, મેગઝિન, ચાની કીટલી કે સીસીડી કાફે- બધીય ઓટલા પરિષદો પર ‘ડર્ટી પિક્ચર’ની જ ચર્ચા થઈ રહી છે.

સવાલ એ થાય છે કે જે વિદ્યા અત્યાર સુધી પોતાની એક્ટીંગ, ડાહી ડાહી,સિમ્પલ છોકરીની ઇમેજ દ્વારા લોકોના દિલમાં ઘર કરી ગઈ હતી, એનું આ અંગપ્રદર્શન,બંદરકૂદ જેવી ધમાલ અને જ્યાં ને ત્યાં આંખો મારી મારીને પોતાની બિન્દાસ ઇમેજ ઊભી કરતા રહેવાનો સતત પ્રયત્ન..આ બધું એને શું અપાવશે અને જે અપાવશે એનું આયુષ્ય કેટલું હશે?

વળી જો એ આ બધા માટે જ આ ઇન્ડસ્ટ્રીમાં હતી તો અત્યાર સુધી આવા બધા સીધાસાદા રોલ ભજવવા માટે આગ્રહ રાખવાનો ડોળ શું કામ કર્યો ?

 વાહ રે ફિલ્મ ઇન્ડસ્ટ્રી…રાતોરાત પરિવર્તન..!!

નરો વા કુંજરો વા…

* મારી પર્સનલ ચોઈસ ‘પરિણીતાવાળી વિદ્યાબાલન’ છે.

ફેસબુક,નેટ


ફેસબુક,નેટ આ બધું માણસની બે આંખની શરમ બહુ આસાનીથી છોડાવી દે છે. આ જેના ને તેના આલ્બમમાં છોકરીઓના ફોટાના છુટ્ટા મોઢે વખાણ કરનારાઓને એ છોકરી સામે આવી જાય તો બે શબ્દો બોલતા પણ ફાંફા પડી જાય છે.  સ્કુલમાં,કોલેજમાં છોકરીઓની સામે પણ ના જોઇ શકનારા છોકરાઓ અહીં સિંહ જેવા બનીને એ છોકરીને ગમે તેવા શબ્દોમાં ઉતારી પાડતા પણ અચકાતા નથી. ઉધારની સ્માર્ટ્નેસમાં વખાણના ટોપલાં ઠાલવે રાખનારા અને એ વખાણોને સાચા માનીને એના નશામાં ઝૂમનારીઓની દયા આવે છે.

લાઇક..લાઈક..કોમેન્ટ્સ..કોમેન્ટ્સ …
દુનિયા આટલા પૂરતી જ સીમિત ક્યારથી થઈ ગઈ..

સ્નેહા પટેલ – અક્ષિતારક


ખાલી જગ્યાઓ


જીવનમાં અમુક ખાલી જગ્યાઓ કેમ ક્યારેય પૂરાતી નથી..????

 સ્નેહા… ૧૭-૧૧-૨૦૦૧૦

પુરૂં જ્ઞાન-નકામું કે?


 આપણે ત્યાં કહેવાતું અવાયું છે કે અધુરૂં જ્ઞાન ખરાબ.ક્યાં તો પૂરૂ માહિતગાર હોવું સારું કાં તો સાવ જ કોરા..

અજ્ઞાન.હમણાં જ ‘રણ’પિકચર જોઈને એક સરસ મજાની ચર્ચા થઈ.આ મીડિયાવાળાઓ સમાજના કાળા કામો અને છુપાયેલા ચેહરા બહાર લાવે છે તે બહુ સારું કામ છે.તો સામે દલીલ એવી આવી કે આમ જોવા જાઓ તો એ ખોટું પણ છે.ધારોકે કોઇ આમ માનવીને ખબર જ નથી હોતી કે બોમ્બ કઈ રીતે બનાવાય પણ એ ચિત્રલેખા જેવા મેગેઝિનોમાં એનો આખો આર્ટીકલ વાંચીને અખતરા કરતા કરતા બોમ્બ બનાવતા શીખી જાય છે. એનો ક્યાં કયાં અને કેવો ખોટો વપરાશ કરાય એ ખોટી ખોટી વાતો પણ શીખી જાય છે. તો મેં કહ્યું કે,” ખોટું વિચારનારો વર્ગ તો ગમે ત્યાંથી માહિતી મેળવીને ખોટું જ કરવાનો છે. એના માટે બીજા સારા વિચારવાળા એ જાતની માહિતીથી અજાણ રાખવા એ ખોટું નહીં? આપણી શાહમૃગ-વૃતિ ના કહેવાય? એ તો આપણી સમજ-શક્તિ પર છે કે આપણે આપણા જ્ઞાનનો કેવો અને ક્યાં ઉપયોગ કરવો. હું મારા દીકરાને પણ એ જ શીખવું છું કે બેટા તું રમવા જાય છે,સ્કુલમાં જાય છે તો બધે તને ખોટી ટેવો વાળા મિત્રો પણ મળવાના જ. તારે તારી સમજ-શક્તિને એ પ્રમાણે કેળવવાની છે કે તારે એમાંથી શું સાચું અને શું ખોટું એ સમજીને સારી સારી ટેવો જ ગ્રહણ કરવાની અને ખોટી ટેવોથી દૂર રહેવાનું.” તો સામે દલીલ આવી કે એ ઉંમરના છોકરાઓને શું સમજ હોય? અને ટી.વી અને પિકચરો જેવા સબળ માધ્યમોના આકર્ષણ એવા પ્રબળ હોય છે કે જે જાહેરાતો આવે એ જ સાચું.શાહરુખખાન કે ઋત્વિક આમ કરે તો અમારાથી એ થાય જ..અરે ના ના..અમારે પણ એમ કરવું જ પડે તો અમે હીરો કહેવાઈએ.એ લોકો જ મોટાભાગે ભોગ બને છે આ બધી માહિતીઓનો. આપણને ખબર જ છે કે પતિ પત્ની કે પ્રેમી અને પ્રેમિકા વચ્ચે અમુક સંવાદો થતા જ હોય પણ એ આમ મીડિયા દ્વારા જાહેરમાં લાવવાની શું જરુર?” સામે મેં કહ્યું કે હું જ્યારે ૧૦ વર્ષની હતી તો મને જેટલી સમજ્ણ કે સામાન્ય જ્ઞાન હતું એના કરતાં તો મારા ૧૦ વર્ષના દીકરામાં ઘણું વધારે છે.ટી.વી, સીનેમા જેવા માધ્યમોનો એમાં સારો એવો ફાળો છે.હવે જો આપણે આમ્ જ વિચારીને એને લીમિટેડ બનાવી દઈએ તો આ બધું પણ ગુમાવવું ના પડે આપણા સંતાનોએ..? મીડિયાવાળા પણ બિઝનેસ જ કરે છે ને,એ થોડા મરી મસાલા ના નાખે તો એમની ચેનલો કોણ જોવે? હા, ખોટી ખોટી વાતોનો અતિરેક તો ના જ હોવો જોઈએ. મીડિયાવાળાઓ પણ એક સ્વયંશિસ્ત રાખીને સાચી માહિતી જ વાંચકોને પીરસે તો તો સોને પર સુહાગા,એ તો હું એક્દમ દ્રઢપણે માનું છું.સચ્ચાઈ હોય તો એ છાપવામાં કે સમાચારરૂપે પૂરેપૂરી બતાવવામાં શું વાંધો છે?

 .

”રણ” પિકચરમાં અમિતાભ અને રિતેશ દેશમુખ જેવા પાત્રો મને વધુ અપીલ કરી ગયા.હવે એ કદાચ મારો નજરીયો તમે કહી શકો કે મને પણ એમના જેવા પત્રકાર કે મીડિયાવાળા થવા માટે પ્રેરણા મળી.કેટલીયે વાતો જે ખબર નહતી એ પણ જણાઈ. અમિતાભ સચ્ચાઇના પક્ષે રહી એના પુત્ર વિરુધ્ધ જ્યારે ટી.વી.પર બોલે છે. એ સીન મને સૌથી વધુ અસર કરી ગયો. અમિતાભની કાર્યનિષ્ઠાને સલામ્..શું મિડિયામાં આવી પ્રામાણિકતાૢ કાર્યનિષ્ઠા રહી જ નથી હવે…હું તો માનું છું કે, ‘છે જ..’

હવે આ મારી નજર છે જે આવુ જ જોવું અને ગ્રહણ કરવું વધુ પસંદ કરે છે.
સારા માણસોને ગમે ત્યાં મૂકો એ પોતાની સારપ છોડી ના જ શકે. વૄક્ષ જોઈને એને એના મીઠા પાકેલા ફળ જ દેખાશે,એમાંથી કલમ બનાવવાનું પણ વિચારી શકે અને એનાથી પણ વધીને કોઇ કોઇ તો આ ગ્લોબલ વોર્મિંગના જમાનામાં એ વૃક્ષોને બચાવવાનું વિચારશે.

મને હજુ દુનિયામાં સારા માણસો છે એ વાત પર વિશ્વાસ છે.અને એ વિશ્વાસને લઈને જ કહીશ કે ખરાબ માણસોના ભોગે સારા માણસોને સજા ના જ કરો.એને પૂરે પૂરી પણ હા..સાચી માહિતી પીરસો.

વળી દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ જેવા પિકચરોમાંથી પણ આજ કાલના યુવાનો ‘ઓલ ઇસ વેલ’ જેવી પોઝીટીવ વાતો પણ શીખે જ છે ને. એમના મા બાપ પણ સમજ્યા કે છોકરાઓને એમની પસંદની લાઈન લેવા દો.તમારી મરજી ના થોપો. વળી ઘણાં પિકચરોથી તો અમુક બિમારીઓ પણ લોકોના ધ્યાનમાં આવતી થઈ. એ જોઇને એનુ સોલ્યુશન લાવવાને કે એના પરિણામો સ્વીકારવાને બદલે જો લોકો એ જોઈને એ બિમારીથી ડરતા ફરે તો એ એમનો પ્રોબ્લેમ છે.પણ મોટાભાગના લોકોમાં જાગૃતિ જ આવી છે એ પિકચરોથી.

આજે જ છાપામાં વાંચ્યું કે માસીયાઈ ભાઈની જ મેલી વૃતિનો ભોગ બનેલ બાળા..!!! હવે આ સમાચારથી આપણે આપણી મોટી થતી દીકરીને આ રીતે પણ સમજણ આપીએ કે બેટા તમે ભલે અત્યાર સુધી સાથે રમેલા હો પણ હવે એક અંતર રાખીને ભાઈ સાથે રહો..તો શું ખોટું?આવા સમાચારોથી તો સમાજના અસલી ચેહરા સામે આવે છેને..હવે એ આપણા પર નથી કે આપણે એને કેવી રીતે લેવું?તમે શું માનો છો મિત્રો?


સ્નેહા-અક્ષિતારક,
૨૪ માર્ચ,૨૦૧૦.
૪.૧૫ વાગ્યે બપોરનાં

માતૃભાષા માટે ગુજરાતીઓના પ્રેમની સીમાઓ.


     સૌથી પહેલાં એક વાત કહી દઉ કે મને મારી માતૃભાષા અનહદ વ્હાલી છે.એના વિરોધમાં આ લેખ નથી.મહેરબાની કરીને એની નોંધ દરેક મુલાકાતી લે.
        

     આજ કાલ મને ગુજરાતી સાહિત્ય સાથે જરા વધુ રહેવાનો લ્હાવો મળ્યો.ધબકારની સુગમ-સંગીત અને કાવ્ય-પઠનની સૂર-શબ્દોથી ગૂંથેલી યાદગાર બેઠક. એ પણ વળી ખ્યાતનામ કવિઓ શ્રી તુષાર શુકલ અને શ્રી કૃષ્ણ દવે સાથે.વળી બીજા જ દિવસે રજવાડું ખાતે “વિશ્વ માત્રુભાષા દિન”ની ઉજવણી નિમિત્તે શ્યામલ સૌમિલ,આરતી મુનશી અને બીજા બહુ બધા સરસ મજાના કલાકારો સાથે કરી.એ બધામાં બહુ મજા આવી.   

     ત્યાં એક સ્કુલના ટીચર મળી ગયા.બહુ ખુશ થયા મળીને.સાથે જ એક દુઃખદ સમાચાર આપતા કહ્યું કે,’આપણી શાળા ‘મોહિનાબા” ગુજરાતી માધ્યમ હવે બંધ કરી રહી છે.ફક્ત અંગ્રેજી માધ્યમ જ ચાલુ રાખશે.આંસુ આવી ગયા આંખમા સાચે આ સાંભળીને.   

૨ દિવસ રહીને એક ક્ડવી સચ્ચાઈ જે સામે આવે છે, જે નગમ્ય ભાવોથી દિલને બેચેન કરી જાય છે.બહુ બધા ગુણ ગાન સાથે માતૃભાષાની જાળવણી માટે આપણે ગુજરાતી સાહિત્યમાં પૂરી પ્રામાણીકતાથી પદાર્પણ કરવું જ જોઈએ.કારણ એ આપણી ‘મા’ છે.એની જગ્યા ‘માસી’ જેવી અંગ્રેજી ભાષા ના જ લઈ શકે.બહુ ગમ્યું આવું સાંભળીને.વળી દર બીજા દિવસે નેટ પર પણ ગુજરાતી ભાષાના અસ્તિત્વને લઈને જે કુશંકાઓ સેવાય છે એ પણ દિલ દુભાવી જાય છે.ચિત્રલેખા જેવા મેગેઝીને પણ આ વખતે આની પર જ એક આર્ટીક્લ આપ્યો છે.આ બધું વાંચીને મનમાં એક પ્રશ્નનો કીડો સળવળ્યો.   

-> આ ગુજરાતી ભાષા પર જે ખતરો તોળાય છે એની પાછળના કારણો શું?
 
->મને અતિપ્રીય હોવા છતાં મારા દિકરાને અંગ્રેજી ભાષામાં ભણાવવા પાછ્ળ મજબૂર કરી ગઈ, એ માટે જવાબદાર પરિબળો કયા?
->”ધબકાર” ગ્રુપ કોઈ જ નફા ના ઉદ્દેશ વગર આટલી સરસ પ્રવૃતિ કરે છે તો પણ દર વખતે એને ફંડની તકલીફ, પ્રોત્સાહનનો અભાવ,કે કોઈ જ જાતના મીડિયાનો સહકાર કેમ નહી?

   

     મારી સમજણ મુજબ આપણી ભાષા બીજી ભાષાના પ્રમાણમાં થોડી..ના ના..બહુ બધી અઘરી છે.એ શીખવા માટે,એને પૂરે પૂરી આત્મસાત કરવા માટે ખૂબ જ સમય અને ધીરજ અને આકરી ટીકાઓ સહન કરવાની સહનશક્તિ જોઈએ .એમ છતાં તમે પૂરે પૂરી વફાદારી અને લગનથી એ શીખી લો તો પણ એક કડવી સચ્ચાઈ એનું વિકરાળ મોઢું ફાડીને સામે જ ઉભી હોય છે કે,
  
->” આમાંથી આર્થિક ઊપાર્જન કેટલું”? 
  
         આજનો યુવા વર્ગ એનાથી જે રીતે વિમુખ થઈ રહ્યો છે એ ઉપરથી એ તો ફલિત થાય જ છે કે સહેજ પણ સંતોષકારક વળતર નહીં.પોતાનો અઢ્ળક સમય અને મહેનત જો એ બીજી ભાષામાં કોઈ નવો જ નીકળેલ કોર્સ શીખવામાં વાપરે તો એને આરામથી ઘર ચલાવી શકવામાં મદદ થાય એટલી આવક ઉભી તો કરી જ શકે એ. માતૃભાષા પ્રત્યે અનહદ પ્રેમ હોવા છતાં પણ આજનો યુવાન એનું ભવિષ્ય તો દાવ પર ના જ લગાવી શકે. એટ્લે નાછૂટકે એ બીજી ભાષાઓનું શરણ મને-કમને પણ સ્વીકારે છે.ભલેને કાલે જ એ ગુજરાતી ભાષાના કાર્યક્રમમાં દિલ ખોલીને તાળીઓ પાડીને ખુશ ખુશ થઈને ઘરે આવ્યો હોય.ઘરે આવીને ટી.વી.માં ચાલતા હિન્દી-અંગ્રેજી પ્રોગ્રામો એનો બધો નશો ઊતારી નાખે છે.આપણે માતૃભાષાને બચાવવા માટે આટલી ચિંતા કરીએ છીએ તો એમાંથી કમાણીનો માર્ગ ઉભો કરવાનો રસ્તો કેમ નથી વિચારતા?કદાચ જો હોય તો માફ કરજો, મારા ધ્યાનમાં તો નથી જ.   

 ->આકર્ષક સરસ મજાનો પગાર મળતો હોય તો મજાલ છે કોઈ ગુજરાતી બચ્ચાની કે એ બીજી ભાષાની શરણાગતી સ્વીકારે?ગુલામી કરે?      ગુજરાતી ભાષાના કવિઓ, લેખકો,સંગીતકારોને કે ગાયકોને સંતોષકારક મહેનતાણું મળતું થાય તો કેટલા આશાસ્પદ કલાકારો મળી શકે એમ છે.પણ પેલું કહેલ છે ને કે,  

“ભૂખ્યા પેટે ભગવાનની પૂજા ના થાય”,   

બસ એવું જ કંઈક.ગુજરાતી સાહિત્યના સમાચાર ગુજરાતમાં જ ગુજરાતી છાપા કે ટી.વી.માં આપવા માટે પણ કેટ-કેટલા પાપડ બેલવા પડે છે.કલાકારોને એક હદ સુધી તોડી કાઢે છે.અનેક ટીકાઓ,સંઘર્ષ સહન કરીને એણે પોતાની કલાને વિકસાવી હોય અને કોઈ જ પ્રતિસાદ ના મળતા છેલ્લે આ તો ખાલી શોખ છે અને બસ દિલ ખુશ થાય છે આવી પ્રવ્રુતિઓથી એમ કહીને મન મારીને ચૂપ ચાપ બેસવું પડે છે. અને આમ જ એક દિવસ એની અંદર-અંદરથી ગુજરાતીપણું ક્યારે મરતું જાય છે એ એને પોતાને જ નથી સમજાતું.    

     મને તો ગુજરાતી ભાષાના અસ્તિત્વ અંગે નહીં પણ  ગરવા ગુજરાતી ના ‘ગુજરાતીપણાના અસ્તિત્વની’ ચીંતા થાય છે.આજના સુપરફાસ્ટ જમાનામાં ભૂખ્યા પેટે એ માંદલો અને તૂટી ગયેલ ગુજરાતી પેટીયું  રળવાની ચીંતા પહેલા કરશે કે ગુજરાતી ભાષાને બચાવવાના પ્રયાસો કરશે? અને એ બધા સંજોગો જો એને તોડી કાઢશે તો એ કયાં સુધી પોતાની માતૃભાષા પર મને ગર્વ છે જેવી ખોખલી વાતો કરી શકશે? હકીકતની દુનિયામાં જીવતા અનેક લોકો મારી વાત સાથે સંમત થશે જ, હા અહીં ખુલ્લે આમ લખવાની હિંમત કેટલા કરશે એ મને નથી ખબર.!!
  
 

     મારે આ પ્રશ્ન કોઈ ગુજરાતી મેગેઝીન કે છાપામાં પણ આપવો છે.દીવા જેવી નજરે ચડતી સળગતી હકીકત તરફ લોકોનું ધ્યાન દોરવું છે.કોઈની ઓળખાણ હોય તો કહેજો.
ગુજરાતી સાહિત્યની માફી સાથે.

સ્નેહા-અક્ષિતારક.
૧૧.૧૦ રાતના
૨૩-૦૨-૨૦૧૦.
     

  

 

બીજી પોસ્ટ:- 

કાલે બહુ બધી કોમેન્ટ્સ મળી. જે પ્રમાણે આશા રાખેલ એવું જ થયુઁ એમાં.મેઈન વાત સમજ્યા વગર લોકો પોતાનો માતૃભાષા પ્રત્યેનો પ્રેમ દર્શાવતા જ રહી ગયા..૨-૩ જણ સિવાય કોઈ જ વાતની જડ સુધી પહોંચી ના શક્યું કે મારી વેદના ક્યાં છે…  

(1) “ત્યાં એક સ્કુલના ટીચર મળી ગયા.બહુ ખુશ થયા મળીને.સાથે જ એક દુઃખદ સમાચાર આપતા કહ્યું કે,’આપણી શાળા ‘મોહિનાબા” ગુજરાતી માધ્યમ હવે બંધ કરી રહી છે.ફક્ત અંગ્રેજી માધ્યમ જ ચાલુ રાખશે.આંસુ આવી ગયા આંખમા સાચે આ સાંભળીને.”  

આવું થાય ત્યારે દિલને તકલીફ થાય છે …….  

 (2)edit this on February 24, 2010 at 10:37 am tejas
so sneha you to write improper gujarati , y you didnt took care @it ! paapad belwaa pade chhe. y not paapad wanwaa pade chhe.
and don worry language never die.   

આવી સલાહ આપનારા ગુજરાતી લેખ ગુજરાતીમાં જ કેમ નથી એની કોમેન્ટ્સ અંગ્રેજીમાં લખીને આપે છે.આવી નાની નાની ક્ષુલ્લક વાતો ધ્યાનમાં આવે છે. પણ મેં જે ચિંતા વ્યક્ત કરી છે કે, “ગુજરાતી ભાષા નહી, પણ ‘ગુજરાતીઓની ગરવાઈ’ જોખમમાં મૂકાઈ છે .”એ વિષય પરથી વિષયાંતર કરીને ‘માતૃભાષા ક્યારેય નહી મરે’ની આજ કાલ રોજ થતી વાત જ સમજયા વગર લોકો ગાય છે.  

આવું થાય ત્યારે દિલને તકલીફ થાય છે……  

 (3)”આપણે અંગ્રેજી નો સ્વીકાર કરીએ છીએ માત્ર અને માત્ર એટલા માટે જ કે એના દ્વારા આપણે સારી નોકરી મેળવી શકીએ
પગભર થઇ શકીએ અને પરિવાર માટે પૈસા કમાઈ શકીએ. બસ..બાકી આપણું દિલ અંગ્રેજી નો સ્વીકાર કદી નહી કરે…”  

 આ સાહિલભાઈની કોમેન્ટ છે બ્લોગ પર.આપણે આપણી ‘ગરવાઈ’ ખોવી પડે છે કમાણી માટે,  

આવું થાય ત્યારે દિલને તકલીફ થાય છે …  

(4)કૃણાલભાઈની અમુક વાતો ઘણી હદ સુધી સા્ચી છે, પણ મેં ક્યાંય અંગ્રેજી ભાષાને દોષ નથી આપ્યો.એ તો રોજના જીવનમાં વણાઈ ગઈ ્છે..જુવોને આમાં જ મેં કોમેન્ટ્સ જેવા શબ્દો વાપર્યા જ છે ને..પણ મને એવી નાની નાની વાતોની ચીંતા નથી..
એમની આ વાત…   

[A]”2. ગુજરાતી ભાષાની ચિંતા કરવાવાળા ઘણાં છે પણ કોઇ કામ કરવાવાળા નથી. ગુજરાતી ભાષાની જેમને ખરેખર ચિંતા હોય એમણે રીડગુજરાતી સાઇટ ચલાવવાનું ભગીરથ કાર્ય કરનાર મૃગેશભાઇ પાસેથી પ્રેરણા લેવી રહી. કેટલા લોકો પોતાનો સ્વાર્થ મૂકીને ભાષાની સેવામાં મૃગેશભાઇની જેમ લાગી શકે છે? જેટલા લોકોએ એ આ લેખ પર પોતાનો પ્રતિભાવ આપીને ચિંતા વ્યક્ત કરી છે એમને મારે પૂછવું છે કે તેઓએ કદી રીડગુજરાતીને વધૂ મજબૂત બનાવવા માટે કોઇ પ્રવૃત્તિ કરી છે. રૂપિયા પૈસાથી નહીં તો કોઇ લેખોના ટાઇપિંગ કામ કરીને કે પછી કૃતિઓ લખીને પણ મૃગેશભાઇના આ અભિયાનમાં જોડાવવાનો પ્રયત્ન કર્યો છે ખરો?”  

ભાઈ,અમે “ધબકાર ગૃપ” જે કામ કરીએ છીએ એ આ સાઈટ પર જોજો.અમારી પ્રવ્રુતિમાં બધુ કામ ગુજરાતી ટાઈપીંગ થકી જ થાય છે..એના માટે મેં પણ ઘણી વાર ટાઈપ કરીને આપ્યું છે..કોઈ જ બદ્લાની અપેક્ષા વિના.
http://www.scribd.com/doc/12739672/Abhivyakti-October-2008  

આ રહી એની લિંક.  

http://www.dhabkar.com/
અને આ ધબકારની લિંક જયાંથી તમને વધુ માહિતી મળશે.  

ફક્ત હું જ નહી, પણ અમે બધા સદસ્યો બહુ બધી રીતે નિઃસ્વાર્થ ભાવે એમાં જોડાયેલ છીએ.ખીસાના ખર્ચે ઘણી વાર ગુજરાતી સુગમ સંગીત અને કવિતાની બેઠકો કરીએ છીએ.એ માટે જ્યારે કોઈ ગુજરાતી સ્કુલ કે ગુજરાતી જ પોતાનો હોલ આપવા પણ તૈયાર નથી થતું..વચનો આપીને છેલ્લે સમયે ફસકી જાય છે..અને અમારી દોડા-દોડ અને ટેન્શન વધારી દે છે.ગુજરાતમાં જ જયારે ગુજરાતી સાહિત્યને સહકાર આપવાને બદ્લે ઘણીવાર ભીખ માંગતા હો તેવી પરિસ્થિતિનો અનુભવ કરાવાય છે.મિડિયાવાળા પણ જાણે મહેરબાની કરતા હોય તેવું વર્તન કરે છે.”તમારો રિપોર્ટ અને ફોટા તો આપી જાઓ..જોઈ લઈશું જગ્યા થશે તો..નહી તો બીજી વાર ચોક્કસ સમાવી લઈશું અનો વાયદો …”!!!!!!!  

આવું થાય ત્યારે દિલને તકલીફ થાય છે…  

[B] ક્રુણાલભાઈની જ બીજી એક વાત  

–> નવોદિતો માટે રીડગુજરાતી જેવું પ્લેટફોર્મ છેૢ બ્લોગ જેવું સશક્ત માધ્યમ છે. પહેલા તમે આ માધ્યમો થકી પોતાની આગવી ઓળખાણ ઉભી કરો અને વાચકગણ બનાવો અને પછી પ્રકાશકનો સંપર્ક સાંધો તો મને નથી લાગતું કે જે તે નવોદિતને કોઇ તક નહીં મળે.
  

…..તમે કેટલા જણને જાણો છો એ જણાવશો? જેમને બ્લોગ પર લખી લખીને પોતાની આવડત બતાવીને આવી તક મળી હોય.?  

[C}નટવર મહેતા(http://natvermehta.wordpress.com) એ પોતાના વાર્તા બ્લોગ થકી ઉત્તતોત્તર પ્રગતિ કરી છે. જો હું ખોટો ના હોઉ તો એમણે એમચ્યોર લખવાની શરૂઆત કરી હતી અને આજે એમની વાર્તાઓ અખંડ આનંદમાં પણ છપાઇ.”  

…. આ માટે નટવરભાઈને પૂછ્જો કે એમને આ માટે સંતોષજનક મહેનતાણું મળ્યું કે ગાંઠ્ના ગોપી ચંદન..!!!  

આવું થાય  ત્યારે દિલને તકલીફ થાય છે.  

 (5)સૌથી મોટી વાત કે મને તો સપના આજની તારીખમાં પણ ગુજરાતીમાં જ આવે છે..પણ જ્યારે મારી બાજુમાં અંગ્રેજી માધ્યમમાં ફરજિયાતપણે ભણાવવો પડ્તો મારો દિકરો એના સપનામાં મોટે- મોટેથી અંગ્રેજી વાક્યોમાં બબડતો હોય…હું કશું જ નથી કરી શકતી ચૂપ ચાપ એ જોયા વગર..  

આવું થાય ને ત્યારે દિલને તકલીફ થાય છે દોસ્તો….  

ત્રીજી પોસ્ટઃ-

     ધાર્યો પણ નહોતો એટલો બધો પ્રતિસાદ મળ્યો મિત્રો તરફ્થી.કેટ-કેટલા ઈ-મેઈલ,ઓરકુટમાં સ્ક્રેપસ,કોમ્યુનીટીમાં પણ રીપ્લાય મળ્યાં,કેટલાંયે મિત્રો સાથે ફોન પર પણ ચર્ચા થઈ.ખૂબ ખૂબ આભાર એના માટે.ઘણી બધી વાતો જે મારા ધ્યાન બહાર હતી એ પણ જાણી શકી.સુરેશદાદા જેવા વડીલના બ્લોગ પર પણ આટલું બધું લખાઈ ગયું છે એ ધ્યાનમાં આવ્યું.દાદા…ખૂબ ખૂબ આભાર મારા લખાણની લિંક ત્યાં મૂકવા બદલ.

     આ બધા પરથી હું ઘણી વાસ્ત્વિકતાઓ સ્વીકારી શકી..જેમકે,
આર્થિક ઊપાર્જન કે કરીઅર કે ઉચ્ચ કક્ષાના શિક્ષણ માટે અંગ્રેજી અત્યંત અનિવાર્ય છે. અંગ્રેજી માધ્યમથી સંતાનોનુ સારૂ કરીઅર બનશે અને માતૃભાષાથી વેલ્યુ શીખશે.આપણે બધા જ ગુજરાતીઓએ તો એ ક્યારનું સ્વીકારી જ લીધું છે.એક કડવી સચ્ચાઈ સમજીને.જોકે મને કોઈ જ વાંધો નથી અંગ્રેજી ભાષા માટે..ગુજરાતમાં જ ગુજરાતી માધ્યમની સ્કુલો બંધ થાય કે બધી ગુજરાત બોર્ડની સ્કુલો બંધ થઈ એ હવે એ સી.બી.એસ.સી લેવલની થઈ રહી છે.ભલે થાય ,

     પણ હું એટલું તો દ્રઢપણે જ માનું છું કે ગુજરાતમાં ગુજરાતી ભાષા ફરજીયાત વિષય તરીકે દરેક સ્કુલોમાં ભણાવાવી જ જોઈએ.

     બધા કહે છે કે તમારા સંતાનોને તમે ગુજરાતી ઘરે ભણાવી જ શકો છોને.ઓકે..ફાઈન..આમાં કેટલી પોકળતા સમાયેલ છે એવું નથી લાગતું.અરે ભાઈ..સ્કુલનું શિક્ષણ એ અલગ જ છે.ત્યાં ફરજીયાત ભણવું જ પડે. જયારે ઘરે તમારો દીકરો તમારી પાસે બેસવાની ને ભણવાની જ ના પાડીને રમવા ભાગી જશે.વળી એના સ્કુલના હોમવર્ક,એના જાતજાતના કોર્સના ટ્યુશનસ એ બધામાથી માંડ માંડ રમવાનો મળતો સમય એ મારી સાથે ભણવા કેટલો તૈયાર થશે? આજના જમાનામાં જયારે ઘરના બે છેડા ભેગા કરવા માટે જ્યારે બેય વાલીને નોકરી કરવી પડતી હોય તો એ આના માટે કેટ્લો સમય ફાળવી શકે એ પણ મોટો પ્રશ્ન છે.હા તમે પ્રયત્ન ચોકકસ કરી શકો..પણ એ કેટલા લેવલનો?એને જે લેવલે સ્કુલમાં એક વિષય તરીકે ફરજીયાત ભણાવી શકો એ લેવલનું શિક્ષણ તમે આપી શકશો…નાજી..સહેજ પણ નહી..ખાલી દાવાઓ જ છે આ.હું પણ ભણાવું જ છું મારા દીકરાને ગુજરાતી.પણ એ એક અન્ય ભાષાની જેમ ખાલી લખી અને વાંચી શક્શે આપણી માતભાષા, એ મને નહી ગમે.વળી મારે ગુજરાતી એના પર થોપવી નથી.એને મારી માતૃભાષા નું મહત્વ સમજાવીને એના પર એને પોતાને ગર્વ થાય કે ,”આ મારી ગૌરવવંતી માતૃ-ભાષા છે.”એ એનામાં લાવી શકુ તો જ બધુ કામનું..બાકી એ મારા માટેની લાગણીને લીધે ગુજરાતીને પ્રેમ કરે એ મને ના જ ગમે.


     હવે બધા મિત્રો ને એક પ્રશ્ન કે..આ માટે આપણે શું નક્કર પગલાં લઈ શકીએ? કયા લેવલે શું કામ કરી શકાય અને એ માટે કોણ કોણ મિત્રો કેટલી રીતે પોતાનો અમૂલ્ય સમય આપવા [કોઈજ બદલાની અપેક્ષા વગર]તૈયાર છે?પ્લીઝ…ગુજરાતીભાષાને બહુ પ્રેમ કરું છુ એ ટોપિક નથી.પણ એનું ગૌરવ વધારવા અને કમ સે કમ ગુજરાતમાં ગુજરાતી શિક્ષણ ફરજીયાત બનાવવા શું કરી શકીએ એ માટેના નક્કર પગલાં જ લખશો.જે હકીકતે લેવા શક્ય હોય.ફકત વિચારો નહી.આપણા ફાજલ સમયનો સદ-ઉપયોગ આપણે એમાં કરીશું.કોઈ પ્રસિદ્ધિ કે પૈસો નહી જ મળે આમાંથી પણ હા…એક આત્મ-સંતોષ જરૂર મળશે.એ વિશ્વાસ રાખજો દોસ્તો.

આપની આભારી,
સ્નેહા-અક્ષિતારક.
૧-૦૩-૨૦૧૦.

 

    

    

     

  

   

 
 

  

  

  

 

સ્ત્રીઓએ જ શું કામ સાસરે જવાનું??


વર્ષોથી એક પ્રશ્ન મારા મનમાં ઘુમતો , ફરતો, અથડાતો આવ્યો છે , “લગ્ન પછી આપણાં સમાજ માં સ્ત્રીઓએ જ શું કામ સાસરે જવાનું?” આવો કાયદો કોણે ઘડ્યો હશે અને ક્યારે ઘડાયો હશે? ઘડ્યો તો ઘડ્યો પણ એને સર્વાનુમતે કે યેન કેન પ્રકારેણ આ સમાજ પર કોણે ઠોકી બેસાડ્યો હશે??

એક બાજુ જ્યારે સમાજ એકદમ મજબુતાઈથી કહે છે કે સ્ત્રી એક અબળા નારી છે અને બીજી બાજુ એ જ સમાજ કહે છે કે દરેક સ્ત્રીમાં એક ગજબની કોઠાસૂઝ હોય છે.એ દરેક પરિસ્થિતિમાં પોતાની જાતને આસાનીથી ઢાળીને સંજોગો અનુસાર જીવી શકે છે.મને આ સમાજ ના બેવડા ધોરણો બહુ જ ગુંચવે છે.સમજાતા જ નથી.જ્યારે મન થયું ત્યારે સબળા ને જ્યારે સમય આવે અબળા..!!

ચાર આંગળીને પ્રકૃતિ (નારી)કહે છે અને અંગુઠાની પુરુષ ની સાથે સરખામણી..! એક અંગુઠા વગર ચારે ય આંગળી નકામી.!બસ..મારી મચડીને લોકો મન ફાવે તેમ ઉદાહરણો આપી આપીને સ્ત્રીઓને સમજાવે રાખે છે કે તમે ગમે તેટલી ટોચ પર જાઓ પણ રહેશો તો હંમેશા પુરુષોના પગની જૂતી જ…!!!નારીને રૂડા-રૂપાળા નામ ના આંચલ હેઠળ ડાહી ડાહી કહીને સમાજના અમુક બંધનોમાં બાંધી રાખવાની.શું ડાહી એટલે ખોટી વાતો ચલાવીને બધે કોમ્પ્રોમાઈઝ કરતા રહેવું એજ ડાહી આદર્શ ભારતીય નારીની જીંદગી..???એણે પરણીને પતિદેવ માટે બે-બે દાયકાના માવતરના સંબંધો પળવારમાં છોડીને એક ઝાટકે જાતને મૂળ સમેત ઉખેડીને સાસરાના ક્યારામાં રોપી દેવાની.ભલે ને ક્યારો ગમે તેવો હોય,હવામાન અનુકુળ આવે કે ના આવે.,કાળજીરુપી ખાતર એણે નંખાય કે ના નંખાય,એણે તો સદાય હાસ્ય સમેત મઘમઘતા જ રહેવાનું અને કાંટા વગરના ગુલાબના ફૂલો આપતા જ રહેવાનું.!!!કેમ….?

સમાજ હંમેશા સ્વીકારતો આવ્યો છે કે નારીઓની માનસિક મજબુતાઈ પુરુષોથી ક્યાંય વધુ હોય છે.તો પછી શારીરિક મજબુતાઈને મહત્વ આપીને કાયમ પ્રાધાન્ય કેમ અપાય છે?અમુક વાર તો સ્ત્રીઓ નાજુક ઘડામણ છતા શારીરિક રીતે પણ પુરુષોને પાછા પાડતી આવી છે.!!ચાલો માન્યું કે પુરુષો વધુ મજબુત તો એ કેમ લગ્ન કરીને સાસરે ના જાય? કેમ પોતાની જાતને સાસરીના વાતાવરણને અનુરૂપ ઢાળી ના શકે?આ ભેદ-ભાવ કેમ…?

ભગવાને ઉપરથી તો કઈ રિવાજોનું સૂચી-પત્ર બનાવી ને મોકલ્યું નથી ને? આ બધાનું ઉદ્ભવસ્થાન તો નીચે રહેલા મનુષ્યોનાં મગજ ની જ દેન છે ને? જો કે સમાજમાં એકાદ-બે રડ્યા ખડયા કિસ્સા અપવાદરૂપે નીકળી આવે છે , જેમાં સંતાનો પોતાની માની અટક પોતાના નામ સાથે સગર્વ જોડે છે.બાકી તો દીકરી પોતે જ પોતાની પિયરની મૂળ અટક ભૂલી ગઈ હોય છે. વળી પરણ્યા પછી પોતાના માબાપ વિષે એ સાસરીમાં વધુ પડતી ચર્ચા પણ ના કરી શકે કે લાયક હોવા છતા વખાણ પણ ના કરી શકે. કોણ જાણે કેમ પિયર હંમેશા સાસરીથી નીચું હોય તો જ સાસરીનું ગર્વ વધે.કેમ એમ..??? મા-બાપ વખાણવા યોગ્ય હોય તો તમે ગર્વથી કેમ એમના વિષે બોલી ના શકો? મા-બાપ પર ગર્વ કરવો  એ તો દરેક સંતાન નો હક છે તો એ હક દીકરીઓ પાસેથી ઝુંટવી લેવાય છે..!!કેમ…?

વળી મા-બાપ જો આર્થિક સંકડામણમાં હોય તો દીકરી પોતાની મરજીથી પોતાની કમાણીમાંથી એમને મદદરૂપ પણ ના થઇ શકે.એના માટે પણ એણે પતિ -સાસરી વાળાની મરજી અને રજામંદીને આધીન રહેવાનું.પતિદેવ કેટલું પૂછી પૂછી ને માબાપ ને પૈસા આપે છે? એ તો દીકરાના મા – બાપ નો હક કહેવાય…વાહ રે સમાજ…આવા ભેદ-ભાવ કેમ…?
સમાજમા થોડા ઘણા કેસ આનાથી વિરદ્ધ હશે ..પણ મોટાભાગે આપણા ભારતીય સમાજમાં સ્થિતિ તો આ જ રીતે જોવામાં આવી છે.વર્ષોથી શ્રી રામ ના સમય થી કે અત્યારના રેમ્બો કલ્ચર સુધી….કેમ…??


અહી પુરુષોને દુખ પહોંચાડવાનો કોઈ જ આશય નથી.આ તો સમાજમા જે ચીલો પડેલો છે એ રીવાજ પર ગુસ્સો છે. એ બાજુ ખાસ ધ્યાન દોરું છું…

સ્નેહા-અક્ષિતારક,
૨૨-૧૧-૦૯,બપોરના ૫.૦૦વાગ્યાનાં.

u can see more discussion at orkut community..

http://www.orkut.co.in/Main#CommMsgs?cmm=40756757&tid=5416338963148496045&start=1

ક્ષમા યાચના અને સંવત્સરી.


“સંબંધ” આ એક એવું નામ છે કે મને જિંદગીમાં કદી સમજાય જ નથી.જાત જાત ના એના અનોખા સમીકરણો હંમેશા મારી ધારણાઓ સાથે સંતાકૂકડી જ રમતા રહ્યા છે.પછી એ લોહીના સંબંધો હોય કે મનના માનેલા, અપેક્ષા વાળા કે અપેક્ષાવિહિન. હંમેશા આડોડાઈ પર ઊતરીને સમય મુજબ એની ચાલ ચાલી જાય છે અને મને હંમેશા ચેક એન્ડ મૅટ ની પરિસ્થિતિમાં મૂકી જાય છે.જ્યાં અમુક સંબંધો તો એ કક્ષાએ પહોંચી જાય છે કે એનું તૂટવું લગભગ નક્કી જ હોય છે. એકબીજાનો અહમ્, અપેક્ષા, માન-અપમાન બધું યે મન ને આળું બનાવી ચૂક્યું હોય છે. અંતરેચ્છા પ્રબળ હોવા છતાં એ મુજબ આપણે વર્તન આચરણમાં મૂકી નથી શકતા. ભાલા જેવાં વાક્પ્રહારો હૈયું ચીરી જાય એવા ઘસરકા કરી ગયા હોય છે. જે ટાઈમ-કટાઈમ જોયા વગર સતત અપમાનની પીડાથી લોહી નીંગળતી હાલતમાં રીસતા જ રહે છે.

આજે જ્યારે જૈન ધર્મ નો મહાન “સંવત્સરી પર્વ” છે, એક બીજાને આ દિવસે બધા વેર -ઝેર ભૂલીને આખા વર્ષ દરમ્યાનના ઝગડા ભૂલીને અંતઃકરણપૂર્વક ક્ષમા યાચના કરી અને બે હાથ જોડીને “મિચ્છામી દુક્કડમ” કહેવાનું અને આ સંબંધ જેવા અકડું શબ્દને સાચવી લેવાનો.!!’ ચાલો એક બાર ફિર સે અજનબી બન જાયેં હમ…” અને નવેસરથી જીવનની પાટીમાં નવો કક્કો બારાખડી શીખવાની. ત્યારે એક યક્ષ પ્રશ્ન મારા મન પર કબજો જમાવીને બેસી જાય છે કે..”આખા વર્ષ દરમ્યાન તમે જે પણ ભૂલો કરી હોય તેનું સમાધાન ફક્ત આ ૫ મિનિટમાં કઈ રીતે થઈ જાય? તમે સામેવાળાનું દિલ ગમે ત્યારે દુખાવ્યું હોય એ પછી તો કેટ-કેટલા પ્રસંગાનુસાર એના પર દરેક જીવ પોત પોતાની સમયાનુસાર નકારાત્મક પડના થપ્પે-થપ્પા ચડાવીને બેઠું હોય, દિલ વારે તહેવારે એ ખાલી જગ્યાના સંબંધો ને જોઈને ઊંડાણથી અવાજ ના આવે એમ રાતો ની રાતો ઉજાગરા કરી ને રડ્યું હોય,એમની કમી અનુભવીને પારાવાર વેદનાઓ પણ વેઠી હોય..એ બધાં જ દુઃખોની ફક્ત ૫ મિનિટમાં પૂર્ણાહુતિ શક્ય છે?” તમે જે ટાઈમે કોઈનું દિલ દુખાવ્યું હોય અને તમારી ભૂલની સમજ પણ હોય તો એ મંદિર જેવા દિલનું સમારકામ એ જ ટાઈમે માફી માંગીને કેમ ના કરી શકો????”

સંબંધ તૂટવાનો રોગ જો શરુમાં જ દબાવી દેવાય તો પછી એ લાંબા ગાળાનો ફાયદો લઈને દિલ દિમાગમાં ઘર તો ના કરી જાય એક અસાધ્ય રોગની જેમ. આમે, આપણે માનવી નામના પ્રાણીઓ એટલા સરળ, સહજ અને flexible તો નથી જ હોતા કે આટલું જલદી એ માફી માંગી ને આપી એ પ્રક્રિયા પૂરી થઈ જાય.
તો પછી આ બધું શું એક દેખાડો કે, ”ચાલો ભાઈ, ગળે મળ્યા બધું જ ભૂલીને અને એક બીજાને અંતઃકરણપૂર્વક માફ કર્યા.” ગળે મળ્યા અને કહેવાતા પ્રેમ મુજબ બધું પતી ગયું.!! સાચ્ચે.!! ના, એ શક્ય જ નથી. દરેક માણસનું એક કોચલું હોય છે જેમાં એ પુરાઈને જ જીવતો હોય છે. સમય અને સંજોગોનુસાર જ એની વાસ્તવિકતા આપણને ખ્યાલ આવે છે. અરે, અમુક સમયે તો એ પોતે પણ પોતાની અમુક નબળાઈ થી અણજાણ હોય છે. અમુક સ્થિતિમાં એની અસલી હકીકત ઉજાગર થતી હોય છે. ખાલી બોલવા માટે કે સંબંધોને દેખીતી રીતે ફરીથી નવપલ્લવિત કરવા માટે ભલે બોલી કાઢે કે અમે બધું ય ભૂલી ગયા. ખરેખર તો એ એક સમાધાન જ હોય છે. જાત છેતરામણી કરીને કરાતું દર્દીલુ સમાધાન. આપણે સૌ એક સામાન્ય માનવી જ છીએ કંઈ ભગવાન નહીં.

હા, જે સમયે મનદુઃખ થયું હોય તે જ સમયે સમય વર્તીને બંને પક્ષે માફી અને સમાધાન જેવી વર્તણૂક અપનાવી હોય તો બરાબર છે. બાકી તો કોઈ પણ સંબંધ જે બગડે તો એને એક ચોક્કસ સમય આપવો જ રહ્યો. જેથી માનવીની સમજશક્તિથી દુઝતા ઘાવ ભરાતા જાય અને નવા નવા ઘાવ સહન કરવાની સહનશક્તિ ફરીથી એકઠી થાય અને એ યથાવત્ સ્થિતિમાં આવી શકે. સહનશક્તિ એટલે જરૂરી હોય કે દરેક સંબંધ નો મૂળભૂત પાયો કોઈ ને કોઈ અપેક્ષા કે જરૂરિયાત પર જ હોય છે. અપેક્ષાઓ તૂટે, જરુરિયાતો ના સંતોષાય એટલે ઘા તો ફરીથી પડવાના જ.

એક સચ્ચાઈ જો માનવી સમજી લે કે,
“આમ તો આ સંબંધો હોય છે ખૂબ જ સહજ,
જરૂર એટલી જ કે,
એની લક્ષ્મણરેખા જેવી મર્યાદાને તું સમજ…”
તો તો સંબંધોની ઘણી બધી મુશ્કેલીઓ હળવી થઈ જાય.


મને એમ લાગે છે કે આપણે સામાજિક પ્રાણી, સંબંધો વિના તો જીવી જ ના શકીએ, મૂરઝાઈ જ જઈએ. એટલે જ કદાચ આ પર્યુષણ જેવો પર્વ ઉજવાતો હશે.જે થી કોઈ પણ પહેલ કરવાની મથામણ અનુભવ્યા વગર “સંવત્સરી” દિનની ઢાલ હેઠળ અહમના બખ્તર ઉતારીને પણ મનને મનાવીને એકબીજાની હૃદયપૂર્વક માફી માંગી શકે અને એક સંબંધ ફરી નવેસરથી માણી શકે. હા, ચોક્કસ… એમ જ હશે .

શું ઓનલાઈન વાંચન પુસ્તકોનું સ્થાન લઈ શકશે?


પ્રિય સમજુ અને વિચારશીલ નેટમિત્રો,

ગઈકાલે એક મિટિંગમાં મને એક વિચારવા લાયક મુદ્દો મળ્યો ..અને આપણું મગજ તો તમને ખબર જ ને લખતા હોઈએ એટલે વિચારોની હારમાળા ચાલુ જ રહે. હા, તો વાત એમ છે કે એ ગુજરાતીભાષાના ચાહકોની મીટીંગ હતી.એમાં એક મુદ્દો એવો આવ્યો જેના ઉપરથી એ વાત ફલિત થઈ કે આજ કાલ નેટ પર એટલે કે ઓનલાઈન વાંચનનો ક્રેઝ વધી ગયો છે.આજકાલ લોકો હાથમાં ચોપડી પકડવા કરતાં આરામદાયક ખુરશીમાં બેસીને પોતાના લેપટોપ પર માઉસથી કલીક કરીને નેટની પી.ડી.એફ. ફાઈલ વાંચવાનું વધુ પસંદ કરે છે.વળી એનાથી પણ વધુ કે આવતી પેઢી તો લાઈબ્રેરી એટલે શું એ વાતથી જ અનજાણ હશે..!!!

હવે હું પણ એક આધુનિક નારી છું.નેટ, ચેટીંગ કમ ચીંટીગ,બ્લોગ,વેબ પેજ,પી.ડી.એફ ફાઈલો, ઓન્લાઈન મિત્રોનું ગ્રુપ,નવી નવી આસાનીથી મળતી તકો…આ બધું મને પણ ખબર છે.મોબાઈલ હોય કે એક્સ બોક્સ્..બધું યે આસાનીથી વાપરી શકું છું. તો પણ મારામાં વાંચન માટે હાથમાં ચોપડી હોય અને હે ય ને નિરાંતે મારી પસંદીદા ખુરશી પર બેસીને વાંચ્તી હોઉ અને પાના ફેરવતી હોઉ..[ઘણીવાર તો રસોડે રજા પડી જાય એવા પુસ્તકો પણ હાથમાં આવી જાય છે]તો  એ પ્રક્રિયામાં જે મજા આવે છે તે કોમ્પ્યુટર ખોલી એના ભૂરા રંગના પ્રકાશમાં ઓનલાઈન  વાંચનની મજા નથી આવતી.હજુ પણ હું મારી પસંદના લેખકો કે કવિઓનાં વર્ષો પહેલાંના પુસ્તકો મારી બચતમાંથી ભેગા થયેલાં પૈસાથી ઘરમાં વસાવું છું.

 પહેલાં જ્યારે મોબાઈલ નહતો ત્યારે હું એય ને પેલાં કાળા ડબલાંનાં ચકરડાં ફેરવતી હતી ત્યારે ભલભલાં અટપટાં ફોન નં. યાદ રહી જતાં હતાં.જ્યારે આજે તો જેની સાથે રોજ વાત કરું છું એ લોકોનાં નંબર પણ યાદ નથી રહેતાં.એ જ રીતે કોમ્પ્યુટર પર વાંચેલ ફાઈલો પણ એટલી જલ્દી યાદ નથી રહેતી.મગજનાં વિચારોની ગતિ વધારી દે છે આ જાતનું વાંચન.મન વાંચનથી શાંત થવાના બદલે ઉતેજિત જ રહે છે…કેમ એમ્??????કોઈ જવાબ ખરો?

to be continued..

મિત્રો, આજે વળી મને એક નવો અનુભવ થયો.મેં સીધે સીધું કી-બોર્ડ પર ટાઈપ કરવાનો ટ્રાય કર્યો તો મજા જ ના આવી.કંઈક ઊણપ – અસંતોષ જેવી લાગણી જ દિલમાં ફૂટી..એ પછી મેં કમસે કમ ૧૦ મિત્રો કે જે લખતા હોય તેમને પૂછ્યું તો એ બધા મારી આ વાત સાથે સહમત થયા કે, કાગળ પેન થી લખવાની મજા છે એ ઓન લાઈન ટાઈપીંગમાં નથી.અહીંની રજે રજ માહિતી જાતે અનુભવાયેલીછે..કોઈ જ કલ્પના કે કપોળકથિત વાત નથી.

update:

એક મિત્ર સાથે વાત થઈને એમણે કહ્યું,” સ્નેહાબેન, તમે તમારી રચનાઓની બુક બહાર પાડો ને. મેં કહ્યું કે,”અહી નેટ પર બહુ બધા વાચનારા મિત્રો છે જ ને,” તો એમને કહ્યું કે,’દીદી, તમારી ભૂલ થાય છે આ તો સોફ્ટ કોપી થાય.આની કોઈ જ કીમત નહિ. હાર્ડ કોપી હોય તો તમારી રચનાઓની તમારા નામે કોપી રાઇટ થઇ  જાય ને.ત્યારે મને થયું કે હા આ એક વાત પણ મારા આ ટોપિક માં ઉમેરી શકાય જ ને.ઓનલાઈન વાંચન સાથે રોજબરોજ આપણે આ વિનયભાઈ જેવા નેટ ના ખૂણે ખાચરે થી કચરો શોધનારા લોકોની કેટલી બધી પોસ્ટ અને ટોપિક વાંચીએ જ છીએ ને..કોણ કોનું લખાણ કોપી પેસ્ટ કરે અને કોના લખાણની ક્રેડીટ કોણ લઇ જાય..!!આમાં ને આમાં તો કેટલા લોકો સાચે સાચ પોતે લખે છે અને કેટલા ઉઠાંતરી કરે છે કઈ ખ્યાલ જ ના આવે.વળી આપણી રચના આપણી  છે એના માટે આપને કેટલી બધી માથા પચ્ચી કરવી પડે..!! હવે તો કોઈના બ્લોગ પર કોમેન્ટ આપતા પહેલા પણ વિચારવું પડે કે આ સાચે સાચ એમની જ રચના છે ને? 
સાથે બીજી એક વાત પણ એટલી  જ ખરી  કે નેટનાં માધ્યમથી જ તો મને આટલા નેટ મિત્રો ઓળખતા થયાને..બાકી તો કોણ મને જાણવાનું હતું અને મારું લખેલું કોણ વાંચવાનું હતું.?પહેલાના જમાનામાં તો તમે કવિતા લખો, છાપા ની ઓફિસો માં ધક્કા ખાઓ ત્યારે તમારી રચના માંડ માંડ છપાય અને એ પણ નક્કી નહી કે તમારા નામે જ છપાય ..તો એ રીતે આ એક ઓન લાઈન લખવાનો ફાયદો પણ ખરો.
 
જેમ દરેક સારી વસ્તુ ની બે બાજુ હોય છે , એમ આ નેટ પર વાંચન અને લખાણ ની પણ બે બાજુ..બરાબર ને?
-સ્નેહા-અક્ષિતારક
18-11-09.
u can see discussion abt this topic  in my orkut community also.

સંબંધોને ઈસ્ત્રી..


કેટ-કેટલી જાતનાં સંબંધો આ દુનિયામાં આપણે નિહાળીએ છીએ.રેશમી સુંવાળા, સુતરાઉ મજ્બુત અને આકર્ષક, ખાદીનાં થોડાંક આકર્ષણવિહિન પણ મજબૂત.એ બધાંને ખૂબ જતન અન કાળજીપુર્વક સાચવવા પડે છે. જીવન માટે એની અગત્યતા નિર્વિવાદપણે છે.
    
     કેટલીકવાર સંબંધો પ્રેમની વર્ષામાં પલળીને ના વિચાર્યુ હોય તેવાં ફળ આપે છે તો જીવનની ભાગ દોડમાં ક્યારેક એ સંબંધોમાં ઉબડ્-ખાબડ એવી આવે છે કે એ સંબંધોમાં અમુક સંજોગોમાં ના ઈરછવા છતાં કરચલી પડી જાય છે,અમુક મેલનાં થર એમને રસવિહિન કરી કાઢે છે.કોઈ જ ડિટર્જન્ટ કામ નથી લાગતો એ મેલ કાઢી એને પહેલાં જેવી ચમક આપે. એ કરચલીઓ ભાંગવા માટે કોઈ જ ઈસ્ત્રી કામ નથી લાગતી.તેવાં વખતે એ સંબંધોને પ્રેમથી ગડી વાળીને તિજોરીમાં સાચવીને ગોઠ્વી દેવાં પડે છે.અમુક પ્રસંગો એમનાં થકી જ ઉજળાં બને છે,દીપી ઉઠે છે એવાં ટાઈમે સાચવીને શણગારીને પહેરવાં પડે છે.
    
     એક પ્રયત્ન કરતાં રહીએ છીએ કે એ જીવનભરની ગેરંટી સાથે આપણો સાથ નિભાવે.એક પ્રબળ જિજિવિષા હૈયે રહ્યાં કરે કે આમની ચમક યથાવત સદાકાળ સચવાઈ રહે. કાશ..સંબંધોને ઈસ્ત્રી કરીને ફરીથી પહેલાં જેવાં નવાં અને કરચલીમુક્ત કરી શકાતાં હોય તો કેવી મજા આવે.જ્યારે મનફાવે તેમ કોઈ પણ મોસમમાં એનાં ગુણધર્મૉ વિચાર્યા વગર પ્રેમથી ઓઢી શકાતાં હોય તો કેટલું સરસ!એની હુંફ ખૂબ જરુરી છે આ જીવનનાં બરડ ને થીજવાઈ ગયેલાં રસ્તાઓ પર ચાલવાં માટે.

 
     કેમ,સંબંધો એટલાં ખેંચાઈ જતાં હોય છે કે ફાટી જાય છે. તુણાઈ જાય છે.પછી આપણે બસ થાગડ-થીંગડ કરી રફું કરાવીને બસ મન વગર એને શરીર ઢાંકવાની ગરજે વારે-તહેવારે લોક લાજનાં ડરે પહેરતાં રહીએ છીએ.
 
     તમારાં  અનુભવોથી સમ્રુદ્ધ અભિપ્રાય આપશો એવી આશાસહ…
 
સ્નેહા-અક્ષિતારક.
૧૫-૧૨-૦૮
૧૨.૩૬ સવારનાં