Pink diary


વર્ષો પહેલાં
ડાયરીમાં એક ગુલાબ મૂકેલું
પછી બન્યું એવું કે કશું જ ના બન્યું
અને એ ગુલાબી
ડાયરી કોઈ દિવસ ખૂલી જ નહિ!

  • સ્નેહા પટેલ

Home


‘એના હૃદયમાંથી નીકળી ગઈ છું ‘
આવું અનુભવતા જ
એની નજર આખી દુનિયામાં ફરવા લાગી
બે બેડરૂમ..ના ના..ત્રણ…આમ તો એકલા માણસને એક રૂમ હોય તો પણ શું ફરક પડે?

બાવીસમો માળ …એના દિલ કરતાં તો ક્યાંય નીચું આસન 😦

સ્વિમિંગ પૂલ..એના દરિયા જેવા દિલ સામે આ ખાબોચિયું..

ટેરેસગાર્ડન…એ સાથે જ નથી તો ફૂલ- પાનની સુંદરતા કેવી રીતે માણવાની?

ખુલ્લી હવાવાળી, હીંચકાવાળી વિશાળ બાલ્કની
વિશાળ પાર્કિંગ, વોક વે..ગાર્ડન..

હાથ પરોવીને ચાલનારું સાથે ના હોય ત્યારે આ
બધી મોકળાશ પણ કેવી સાંકડી લાગે !
..

આમ તો એને આવું બધું ખૂબ ગમતું
કેટલાયે વખતથી આવી ચાહ દિલમાં ઉછરતી હતી
પણ
આજે ખબર નહિ કેમ
નવા રહેઠાણના રૂપ રંગ કે આકાર વિશે
એ કોઈ નિર્ણય જ નહોતી લઈ શકતી !

  • સ્નેહા પટેલ

અક્ષિતારક

Ghuntvu


નાનપણમાં સ્કૂલમાં
મારા વ્હાલા કુસુમબેને
સૌપ્રથમ એકડો ઘૂંટતા શીખવાડેલું,
પ્રેક્ટિસ પછી બરાબર આવડી ગયું .
સમજાઈ ગયું કે જે ઘૂંટીશ એ પાક્કું થશે.
હવે હું ‘નફરત’થી દૂર રહીને
માત્ર ‘પ્રેમ’ જ ઘૂંટુ છું !

-સ્નેહા પટેલ

like #short #subscribe #subscribe #youtuber #love #youtubeshorts #ytshorts #gujaratistatus #poetry

If u like plz share, Like and subscribe. Thnx

like #short #subscribe #subscribe #youtuber #love #youtubeshorts #ytshorts #gujaratistatus #poetry

Gazal in Shabdsar


પ્રતિષ્ઠિત ગુજરાતી સાહિત્ય મેગેઝીન શબ્દસરમાં સમાવેશ કરાયેલી મારી ગઝલ

Chhaalk ma mari gazal


સાહિત્યના પ્રતિષ્ઠિત સામાયિક ‘છાલક, જાન્યુઆરી-2022’માં મારી બે ગઝલ.

Global poet


Global poet – Proud moment !

Rotary club of salem દ્વારા સંપાદિત એંથોલોજીમાં 104 ગ્લોબલ કવિઓમાં મારી ગુજરાતી કવિતા અને એનો અંગ્રેજીમાં અનુવાદ પણ છપાયો છે એ ગૌરવભરી ક્ષણો આપની સાથે વહેંચતા મને ખૂબ આનંદ થાય છે.

શુકનવંતુ:

મારા શ્વાસની માળામાં
તારા નામનું ફૂલ પૂરોવતી હતી
ત્યાં
બારીમાંથી દાદાગીરી કરીને ઘુસી જતી હવા,
એક કાળિયો ભમરો
મારા એ ગૂંથણ ઉપર નજર રાખીને જ બેઠા હતા.
તરાપ મારી જ સમજો
અને
હું ગભરાઈ ગઈ,
શ્વાસને બે હથેળીની આડશ કરી દીધી.
મારી હથેળીમાં તારી ચાહતનો દરિયો છલકતો હતો
એના મોજાં દિલના દરવાજે પછડાવા લાગ્યાં
ધક..ધક…ધક..ધડામ..
મહેંક મહેંક થતાં મારા શ્વાસ
બે ઘડી અસ્થિર –
બેસૂરા થઈ ગયા
હૃદય એની નિયમિત ગતિ ચૂકવા લાગ્યું
ગભરામણ થઈ ગઈ
શ્વાસ ચૂંથાવા લાગ્યો
હોઠ થરથર…
નજર ભેજવાળી થઈ
અને
બંધ થઈ ગઈ
હોઠમાંથી આપોઆપ મારી અતિપ્રિય પ્રાર્થના સરી પડી.
અચાનક ચમત્કાર થઈ ગયો..
ભમરો એનું ગણગણ બંધ કરીને
મારી સામે ધ્યાનસ્થ થઈને બેસી ગયો,
વાવાઝોડાં જેવી હવા
મા ની લોરી જેવી નાજુક ફરફરમાં ફેરવાઈ ગઈ
અને
આખું વાતાવરણ મઘમઘ થઈ ગયું.
હવે તને ખાત્રી થઈને કે
આ દુનિયા તો ઠીક
પણ
પેલી દુનિયા પણ આપણું મિલન
શુકનવંતુ ગણે છે.

-સ્નેહા પટેલ.

I was sewing an exquisite splendour of daffodils
Made of thy name, in my garland of breath,
Just then,
A gust of wind entered through the window tenaciously,
A black bumblebee
Fluttered about gazing fixatedly at my embroidery,
It was almost about to attack,
I was scared stiff!!
I shielded my breath with my palms,
The same palms on which the ocean of your love overflowed,
And its waves began to pound on the door of my heart,
Bang……Bang…..Bang…..Boom!!!!
My breath, which spread fragrance and perfume, started to tremble,
and turned dissonant for a while,
My heart skipped a beat,
My breath started to feel constricted, I was shaken,
My lips quivered, eyes moist,
Began to shut!!!
My heart’s treasured prayer started to spill from my lips,
And suddenly there was a miracle!!!
The bee’s buzzing stopped as it sat before me in a trance,
The monstrous wind turned into
The delicate tune of a mother’s lullaby,
And fragrance filled the atmosphere with its sweetness,
Now did you accept? Not only this world,
But heaven too, believes our rendezvous is a good omen!!!!

  • Sneha Patel.

Translation credit: Mahesh Bhrahmbhatt, Puja Maheta, Kamlesh Maheta.

Watch “II જાતને એપ્રિલફૂલ બનાવવી નથી ગમતી II સ્નેહા પટેલ II” on YouTube


હું સ્વાભિમાનથી છલોછલ છું
પરંતુ
હું જાણું છું કે એને લોકો અભિમાન પણ ગણે છે.
હું એક લાગણીશીલ સ્ત્રી છું
પરંતુ
મને સ્ત્રીઓમાં ઓછું
અને
પુરુષોમાં વધુ જોવા મળતો દિમાગનું આધિપત્ય ધરાવતો ગુણ આકર્ષે છે એ નકારીશ નહિ.
મને જાતે નિર્ણયો લેવાનું ખૂબ ગમે છે
પરંતુ
એમાં અમુક વખત હું ખોટી પણ હોઉં છું.
મને રસોઈ કરવી ખૂબ ગમે છે
પરંતુ
કોઈ પ્રેમથી રસોઈ કરીને જમાડવાનું કહે
તો એ વધુ ગમે છે.
મારા કામ મારે જ પતાવવાના હોય છે, જાણું છું,
પરંતુ
કોઈ આવીને જાદુની છડી ફેરવીને એ બધા કામ
મારી જેટલી જ ચપળતાથી
પતાવી આપે એવી ઈચ્છા પણ થાય છે.
આમ તો હું ખૂબ મજબૂત છું
પરંતુ
એ છબી સાબૂત રાખવા
રડવું હોય ત્યારે હસીને,’હું મજામાં છું’ એવું
નથી કરી શકતી.
હું ખૂબ જ સારી વ્યક્તિ છું
પરંતુ
અમુક અનિચ્છનીય અવગુણો મારામાં પણ છે.
મને બધો સ્વીકાર ‘જેવો છે એવો’ જ મને મંજૂર છે
પરંતુ
જાતને છેતરવા ‘એપ્રિલ ફૂલ’ કહી
જાત સાથે અંચઇ કરવી સહેજ પણ પસંદ નથી.
-સ્નેહા પટેલ.
1એપ્રિલ,2021.

ख्वाबो का बँटवारा


कल रात मैंने ख्वाबो का बँटवारा कीया था!
एक लम्हा इसको तो दूसरा  उसको दिया।
फीर मैं आरामसे अपने ख्वाब देखनेमें जूट गई।
पर आराममें आराम कहाँ ?
कोई तीसरा ही मुँह उठाये मेरे सपनों के देशमें घूसपैठ कर गया!
कितना बेअदब उफ्फ़… इंतहाई निर्लज्ज था वो!
मैंने उसके कान पकड़कर बाहर ढकेलने की बहोत कोशिश की,
पर वो हरामखोर टस से मस न हुआ।
दूर कोनेमें जाकर दुबक गया
और वहीं से मंद मंद मुस्काने लगा।
मुझे उसकी वो हँसी बहोत प्यारी लगी और उसीमें खो गई।
फिर सुना है की,
कल रातको मेरे कमरें में भूचाल सा आ गया था।
वो दो- तीन लोग
सपनेमें जगह ना मिल पाने की वज़ह से
बड़े मायूस थे और
एक दूसरे का हाथ पकड़कर, सर झुकाये चूप चाप कही दूर जा रहे थे।
-स्नेहा पटेल
12-12-2019

મરશિયાં


શબ્દસર-ઓગસ્ટ, ૨૦૧૯
“””””””””””””””””””””””””””””””””
મરશિયાં, કરુણપ્રશસ્તિ અને મૃત્યુ વિષયક કાવ્યો  /અરવિંદ બારોટ
~~~~~~~~~~~~~~~~~
કોઈ પણ બહાને લોકસમાજે જીવનને રસમય બનાવવાની  મથામણ કરી છે.સામાજિક કે ધાર્મિક અવસરને શણગારવા માટે ગીત અને નૃત્ય તો કંઠવગાં અને અંગવગાં જ હોય છે.જન્મથી મરણ સુધી, હાલરડાંથી મરશિયાં સુધી,ગળથૂથીથી ગંગજળ સુધી સૂર અને શબ્દના આધારે આનંદ અને આઘાતને ઝીરવ્યા છે.
જીવનમાં ભલે અવનવા રંગો ઊઘડતા હોય; પણ, લોકસમાજે મૃત્યુના કાળા રંગને પણ સ્વીકાર્યો છે..એમાંથી જ સ્વજનના મૃત્યુ વખતના રુદન સાથે વિલાપના સૂર પ્રગટ્યા. પ્રિયજનના વિરહના તીવ્ર સંવેદનો વ્યક્ત કરવા સહજ શબ્દો કંઠે ચડ્યા, અને કલ્પાંતના ઘેરા પ્રલંબ સૂર સાથે ઘૂંટાયાં, એ મરશિયાં…
અચાનક કોઇ ઘરમાંથી પ્રાણપોક મૂકાય… 
ધડાપીટ બોલે અને આખી શેરીને ધ્રાસકો પડે. કોઇના કંધોતરની અણધારી વિદાયથી આખા ગામમાં સૂનકાર ફરી વળે. કોઇનો પતિ, કોઇનો દીકરો, કોઇનો ભાઇ,કોઇનો પિતા….ખોળિયું છોડીને, પત્ની, બાળકો, મા-બાપ,ભાઇ-બહેન, ઘર-બાર ..બધું છોડીને ,આ જગ છોડીને જાય છે..ને સર્જાય છે એક ખાલીપો. આઘાત અને વલોપાતમાંથી નિપજે છે આંસુ, હીબકાં અને ધ્રૂસકાં.. વેદના ઘૂંટાય છે..છાતી ફાટે છે…અને રૂદનના પ્રલંબ સૂરમાં વેણ ભળે છે… મરનારને સંભારી-સંભારીને મરશિયાં ગવાય છે.
એ…ઘરનો મોભ ખડેડ્યો..
એ…અમે ઉઘાડાં થઇ ગ્યાં…
એ…મારા ચૂડલાનો શણગાર નંદવાઇ ગ્યો…
એ…મારા સેંથો ને ચાંદલો રોળાઇ ગ્યા…
એ… અમને નોધારાં ને નિમાણાં મેલીને હાલી નીકળ્યા..
એ..અમને ઓશિયાળાં ને અણોહરાં કીધાં…
એ…તમે અણધાર્યા પરિયાણ કર્યા..
એ…અમને છેતરીને છેટાં કીધાં…
એ…કૂણી કાતળિયે ઘા પડ્યા..
જેમજેમ દુઃખ વલોવાતું જાય એમ આ વિલાપગાન વધુ વેધક થતું જાય છે. ચોધાર વહેતા આંસુથી ઘૂમટો પલળી જાય છે.પથ્થર પણ પીગળી જાય એવી ઘેરી કરૂણતા સર્જાય છે.
માનવીના જીવનમાં પ્રથમ સૂર હાલરડાનો અને અંતિમ સૂર મરશિયાનો હોય છે… અને આ બન્ને નારીના કંઠેથી નીતરે છે.
આ ‘મરશિયા’શબ્દ અરબી ભાષામાંથી આવ્યો છે.
અરબી ભાષામાં मरसी એટલે વિલાપ કરવો. मर्सिय: >मर्सिया > મરશિયાં  અર્થાત્ મરનાર માણસની પ્રશસ્તિ.(દૂરના ભૂતકાળમાં આરબો સાથેના વ્યપાપાર-વ્યવહારના કારણે અરબી ભાષાના ઘણા શબ્દો આપણી ભાષામાં ઉતર્યા છે)
સ્વજનના મૃત્યુ પછી દુઃખ અને આઘાતથી હૈયું વ્યાકુળ થાય છે, દ્રવિત થાય છે. મૃત સ્વજનના ગુણોનું સ્મરણ થાય છે. અંતરનો શોક શબ્દોમાં વ્યક્ત થાય છે.આ અભિવ્યક્તિ માટે  અંગ્રેજી સાહિત્યમાં (Elegy)એલેજી નામનો કાવ્યપ્રકાર છે.સોળમી સદીમાં ઈંગ્લેંડમાં મૃત્યુગીતો અને શોકગીતો તરીકે ‘એલેજી’નો પ્રયોગ શરૂ થયો. ગુજરાતીમાં ચિંતનમિશ્ર શોકગીતોનો પ્રયોગ પણ અંગ્રેજી સાહિત્યના સંપર્કને કારણે થયેલો જણાય છે.અંગ્રેજીમાં જેને ‘એલેજી’ કહે છે તે કાવ્યપ્રકાર માટે ઈ.સ. ૧૯૧૫માં આનંદશંકર ધ્રુવે ગુજરાતીમાં ‘મરણનિમિત્તક કરુણપ્રશસ્તિ’ અથવા ટૂંકમાં ‘ કરુણપ્રશસ્તિ’ એવું નામ આપ્યું હતું.એવું ધીરુભાઈ ઠાકરે ‘કરુણપ્રશસ્તિ કાવ્યો’ના ઉપોદ્ઘાતમાં નોંધ્યું છે.
મિલ્ટન અને ટેનિસનના મિત્રવિરહમાંથી નિપજેલા  ‘લિસિડાસ’ અને ‘ઇન મેમોરિયમ’ ઘણા વિખ્યાત છે.
દલપતરામનું ‘ફાર્બસવિરહ’ પણ આવી જ કરૂણપ્રશસ્તિ છે.ન્હાનાલાલનું ‘પિતૃતર્પણ’ અને  નરસિંહરાવનું ‘ સ્મરણસંહિતા’ ઉપરાંત ‘ઉશનસ્’નાં સોનેટ્સ કરૂણપ્રશસ્તિનાં ઉલ્લેખનીય ઉદાહરણો  છે. સુંદરજી બેટાઈ રચિત  ‘સદગત ચંદ્રશીલાને’ શોકપ્રશસ્તિની એક નોંધપાત્ર રચના છે.પત્નીના અવસાન પછી આ દીર્ઘ શોકપ્રશસ્તિ રચાયેલી(૧૯૫૯).
૩૬ વર્ષના દામ્પત્યજીવનની  કેટલીયે મધુર ક્ષણોનું ઘણી વિશદતાથી નિરૂપણ થયેલું છે. સપ્રમાણ નવનવ ભાગોમાં વિવિધ છંદો, સુઘડ ભાષાકર્મ, સૂક્ષ્મ અને તીવ્ર  ભાવાભિવ્યક્તિ અને સંયમિત આર્દ્રતાના કારણે ગુજરાતી સાહિત્યમાં ‘કરુણપ્રશસ્તિ’ની આ એક નોંધપાત્ર કૃતિ ગણાય છે.
ઝવેરચંદ મેઘાણીની જાણીતી કૃતિઓ ‘ કોઇનો લાડકવાયો’, સૂના સમદરની પાળે’, ‘ફૂલમાળ’ મૃત્યુની છાંયા અને ઘેરી કરૂણતાને લીધે હૃદયને સ્પર્શે છે. 
લોકપરંપરાનાં ‘રોણાં’માં-મરશિયામાં શીઘ્ર રચના થતી હોય છે. લાંબા ઢાળે ગવાતા ‘વેણ’ની લઢણ દુહાના સ્વરૂપની નજીક હોય છે.
મરશિયામાં એકલપંડ્યે ગવાતા શબ્દોના ઝૂમખાં કે પંક્તિઓ હોય છે. જ્યારે લાંબી-ટૂંકી સળંગ રચના એ રાજિયાનું સ્વરૂપ છે. મોટા ભાગે પૂર્વરચિત હોય છે.
ફળિયામાં, શેરીમાં કે ચોકમાં કુંડાળે વળીને છાતી કૂટતાં કૂટતાં ‘ છાજિયા’ લેવાય છે.એક સ્ત્રી ગાય છે અને બાકીની સ્ત્રીઓ ‘ હાય હાય… વૉય વૉય ‘ શબ્દોથી ઝીલે છે.
નાના બાળકનું મરશિયું-
અરેરે…ઊગ્યો એવો આથમ્યો…
અરેરે…છોડવો મોર્યો એવો કરમાણો..
૦૦
નાના બાળકના છાજિયા-
રત્નાકર ઘેર્યો રે, હાય ધાવણા હાય !
માંય રતન તણાતાં રે, હાય ધાવણા હાય !
ઘેર દોશીડો આવે રે, હાય ધાવણા હાય !
ઇ તો આંગલા-ટોપી લાવે રે, હાય ધાવણા હાય !
ઘેર સોનીડો આવે રે, હાય ધાવણા હાય !
ઇ તો કંદોરો લાવે રે, હાય ધાવણા હાય !
૦૦૦
બચરવાળ યુવતીનાં છાજિયા
હાય હાય રે, કૂવામાં ઢેલ વિંયાણી..
હાય હાય રે, ઢેલને ચાર બચળાં..
હાય હાય રે, બચળાં કોણ ધવરાવશે ?
૦૦૦૦
દીકરીનું મરશિયું
ખળખળિયું ખોવાઇ ગ્યું, મનનું માદળિયું;
આ શિર પર તે સરિયું, વળીયું વાદળિયું.
પ્રિયજનના મૃત્યુના શોકને વ્યક્ત કરવામાં ન આવે તો આઘાત અસહ્ય બની જાય છે. છાતીમાં ભરાયેલા ડૂમાને રૂદનથી-વિલાપના શબ્દોથી બહાર કાઢવો જરૂરી છે.
જૂના સમયમાં રાજપરિવારો અને ગિરાસદારોમાં મરણ પ્રસંગે ધંધાર્થી મરશિયાં ગાનારી મીરાણીઓ, લંઘણો કે ખવાસણોને ખાસ બોલાવવામાં આવતી. યુરોપમાં પણ આવી વ્યાવસાયિક ‘રૂદાલીઓ’ હતી એવું મેઘાણીભાઇએ નોંધ્યું છે.
૦૦૦
મરશિયાના કાળજું વીંધી નાખે એવા વેણ જ્યારે ઘૂંટાયેલા લાંબા સાદે ગવાય ત્યારે સાંભળનારને પણ મરવાનું મન થાય.પોતાનાં મરશિયાં સાંભળવાના કોડ થાય એવી લોકકથાઓ પણ આપણે ત્યાં છે.
દાયકાઓ કે સૈકાઓ પહેલાં થઇ ગયેલા કોઇ અજાણ્યા નરબંકાને યાદ કરીને નાનકડી કન્યાઓ વરસોવરસ મરશિયાં ગાતી હોય એવી એક દંતકથા છે દેદાની.
દેદો
લોકજીવનના રીત-રિવાજો, પ્રથાઓ અને પરંપરાઓ, માન્યતાઓ કે વરત-વરતોલાં નિરર્થક નથી હોતા. એમાં પ્રકૃતિ સાથેનો તાલમેલ અને સામાજિક અનુસંધાન અને  ગોઠવણ હોય છે. 
અષાઢ સુદ અગિયારસથી પૂનમ એટલે ગૌરીવ્રત-ગોર્ય-અલૂણાવ્રત એટલે કે મોળાકત. નાનકડી કન્યાઓનું વ્રત.પાંચ દિવસ મીઠા વગરનું મોળું ખાય. પૂનમની રાતનું  જાગરણ કરે..
જાગરણમાં કન્યાઓ  ‘દેદો’ કૂટે છે. દેદા નામના કોઇ શૂરવીરને યાદ કરીને દેદાના રાજિયા ગાય છે. છાજિયા કૂટે છે.
એકલે હાથે લડીને,પોતાના પ્રાણની આહૂતિ આપીને કુંવારા દેદાએ ચાલીસ કન્યાઓને મુસ્લિમ સુબાના સકંજામાંથી છોડાવેલી.એ ઋણ યાદ કરીને કન્યાઓ દેદાના મરશિયાં ગાય છે.
દેદાનો રાજિયો
દેદો પીઠી ભરેલો લાડડો રે,
દેદાને જમણે હાથે મીંઢોળ..
દેદો મરાણો લાઠીના ચોકમાં રે.
દેદાને માથે છે કેસરી પાઘડી રે,
દેદાને ખંભે ખંતીલો ખેસ..
દેદો મરાણો લાઠીના ચોકમાં રે.
દેદાને રોજી ઘોડી છે રાંગમાં રે,
દેદાને જમણે હાથે તલવાર..
દેદો મરાણો લાઠીના ચોકમાં રે.
૦૦
દેદાના છાજિયા
દેદો કૂટ્યો,     હાય હાય..
કોણે માર્યો,    હાય હાય..
લીળનો લાડો,હાય હાય..
મીંઢળબંધો,   હાય હાય..
દેદો કોણ હતો ? ક્યાંનો હતો એના ઐતિહાસિક તથ્યો  કરતાં વધારે મહત્વની વાત એ છે કે દૂરના ભૂતકાળમાં બનેલી ઘટનાનો તંતુ કેટલીયે પેઢીની કન્યાઓએ પકડી રાખ્યો છે.આ પરંપરાનું સામાજિક મૂલ્ય પણ છે.આપ્તજનના મૃત્યુ વખતે મરશિયા અને છાજિયા કૂટવાની નાની દીકરીઓને તાલીમ મળે છે.આ જ તો લોકજીવનની જીવંત પાઠશાળા છે.મોં વાળતાં શીખે છે. ‘લવો’ વાળતાં ( વિલાપના વેણ બોલતાં) શીખે છે. રૂદનની કળા શીખે છે.
મરશિયાની મોજ
કોઇ લગ્નગીત સારાં ગાતું હોય, કોઇ રાસડાની જમાવટ કરતું હોય, કોઇને ભજનની ફાવટ હોય, કોઈ ધોળ-કીર્તનમાં પાવરધું હોય, પણ નાગાજણ ગઢવીની ઘરવાળીને રોવાનો કસબ હાથ બેસી ગયેલો.એ જ્યારે કોઈના મરણ ટાણે મરશિયાં ગાય ત્યારે ઝાડવાં રોવરાવે..એવું એનું કલ્પાંત… એવાં એનાં વેણ…
ગામલોકો કાયમ નાગાજણને કહેતા કે નાગાજણ તું મરીશ ત્યારે તારી ઘરવાળી કાંઇ મણા નહીં રાખે..તે દી તો પાણા ફાટી પડશે..
અને નાગાજણને જીવતેજીવ પોતાનાં મરશિયાં સાંભળવાનું મન થયું. એ  માટે નાગાજણે પોતાના મરણના ખોટાં સમાચાર મોકલીને સંતાઇને મરશિયાંની મોજ માણી. અને તે દી વગર વરસાદે નેવાં નીતરેલાં.જડ-ચેતન રોયેલાં. પણ નાગાજણને એ મોજ બહુ મોંઘી પડેલી. 
“ચારણ ! મેં તારા મરશિયાં ગાયાં.તને મૂઓ ભણ્યો.. તું હવે મડું ગણાય…અને મડાનું મોઢું નો જોવાય..તું જતો રે’ ચારણ !” 
અને એ ચારણ્યે આખું આયખું પતિનું મોઢું ન જોયું.
( ‘મરશિયાની મોજ’, સૌરાષ્ટ્રની રસધાર ભાગ-૪, ઝવેરચંદ મેઘાણી)
પરંપરાગત મરશિયાં, રાજિયા અને છાજિયા લોકની વેદનાના  ઉદગાર છે.સ્વજનના મૃત્યુના આઘાતને ગાઈને હળવો કરનારા શોકોદ્ગાર છે.તો કોઇ સ્વજન , કોઇ વીર , કોઇ આત્મીય મિત્રના શોકમાં કે પછી વિરહમાં ઝૂરતાં પાત્રોના વલોપાતને લોકવિઓએ દુહા, ગીત કે છંદમાં ઉતાર્યા છે. અને લોકકંઠે એને ઝીલ્યા છે.
હમીરજી ગોહિલ
દરિયા જેવડી સેના લઈને ઝફરખાન  સોમનાથનું મંદિર તોડવા આવે છે એવા વાવડ મળતાં અરઠિલાના ભીમજી ગોહિલનો નાનેરો કુંવર હમીરજી  પોતાના બસો જેટલા લવરમૂછિયા ભેરુબંધોને લઇને સોમનાથની સખાતે ઉપડ્યો. રસ્તામાં ગીરની ઘાટી વનરાઇમાં રાતવાસો કર્યો. રાતના બીજા પહોરે કોઇ રૂદન સાથે ગાતું હોય એવું સંભળાયું. હમીરજીએ એ દિશામાં પગલાં માંડ્યાં. એક ઝૂંપડામાં એક ચારણ્ય આઈ પોતાના દિવંગત દીકરાને યાદ કરીને મરશિયાં ગાતાં હતાં.
” આઈ ! હું મરવા જાઉં છું. સોમનાથ દાદાને મારું શિર ધરવા જાઉં છું. મરતાં પહેલાં તમારા કંઠે મારાં મરશિયાં સાંભળવાની હોંશ છે… ગાશો ?
” અરે, દીકરા ! તું તો લીલો છોડવો…તારા જીવતાના મરશિયાં મારે કેમ ગાવાં ?”
” તો આઇ..! મારી અંતવેળાએ મને મરશિયાં સંભળાવશો ?”
” ભલે, દીકરા..!”
અને આઈએ વચન નિભાવેલું.
એ પ્રસંગના મરશિયા દુહા ઘણા પ્રચલિત છે.
૦૦
વન કાંટાળાં, વીર ! જીવીને જોવા રિયાં,
એવો આંબો અળવ, હમીર ! ભાંગ્યો મોરીને ભીમાઉત.
પાટણ આવ્યાં પૂર, ખળહળતા ખાંડા તણાં;
શેલ્યો માહીં તું શૂર, ભેંસાસૂર શો ભીમાઉત.
રતન ગિયું રોળ..
જેતપુરને પાદર વહેતી ભાદર નદીમાં માલધારી ચારણની પત્ની તણાઇ જાય છે. ચારણ્યના વિજોગમાં ચિત્તભ્રમ થયેલા ચારણનાં મરશિયાં સાંભળીને જેતપુરના રાજા પોરહા વાળાનું કાળજું ચિરાય છે. કોઇ લોકકવિએ રચેલા આ મરશિયા દુહા લોકસાહિત્યમાં નોખી ભાત પાડે છે.
૦૦
હુતું તે હરાવિયો, ખજીનો બેઠો ખોઇ;
કામણગારું કોઇ, પાદર તમાણું, પોરહા !
હતી કામણની કોર, છેડેથી છૂટી ગઇ;
મારું રતન ગિયું રોળ, પાદર તમાણે, પોરહા !
તરિયા ગઈ , તૃષ્ણા રહી, હૈયું હાલકલોલ;
રતન ગિયું રોળ, પાદર તારે પોરહા !
તરસ્યા જાઇં તળાવ, સરોવર સૂકે ગિયાં;
અગનિ કિં ઓલાય, પાણી વિનાની, પોરહા !
ચેલૈયો
અતિથિ થયેલા અઘોરી સાધુની હઠના કારણે વહાલસોયા દીકરાનું માથું ખાંડણિયામાં ખાંડવા માટે ચંગાવતી અને સગાળશા તૈયાર થયા છે. શણગાર સજીને, હસતા મુખે , હાલરડું ગાતાં-ગાતાં લાડકવાયાનું મસ્તક ખાંડે છે એટલે એ ‘ચેલૈયાનું હાલરડું’ કહેવાય છે. પણ છે તો વિલાપ અને આક્રંદનાં સૂર. એ રીતે આ ‘ચેલૈયાનું મરશિયું’ છે. ધર્મના નામે ચડેલી એક ઘાતકી ઘટનાનું આ ગીત એની કરૂણતાને કારણે ઘણું લોકપ્રિય છે.
૦૦
મેં તો માર્યો છે કળાયલ મોર, કુંવર ચેલૈયા !
ચેલૈયા રે, કુંવર ! ખમ્મા ખમ્મા તુંને
મારે હાલરડે પડી હડતાળ, કુંવર ચેલૈયા !
ચેલૈયા રે, કુંવર ! ખમ્મા ખમ્મા તુંને..
અમે જાણ્યું ચેલૈયાને પરણાવશું, અને જાડેરી જોડશું જાન;
ઓચિંતાના મરણ આવિયાં,એને સરગેથી ઊતર્યાં વેમાન- કુંવર ચેલૈયા…
વળી નમે તો ભલે નમે, તું કાં નમ્ય ઘરના મોભ ?
જેના કંધોતર ઊઠી ગિયા, એને જનમો-જનમના સોગ-કુંવર ચેલૈયા..
લોકગીતોમાં વિલાપના સૂર
લોકગીતોમાં હરખ પણ ગવાય છે, શોક પણ. હાલરડાં છે, લગ્નગીતો છે..તો મરશિયાં પણ છે. રાસડાની તાળી છે તો છાતીને લોહીલુહાણ કરતી -છાજિયા કૂટતી હથેળી પણ છે. આભલાં ભરેલો કમખો ને ચોખલિયાળી ચૂંદડી છે તો શોકનાં કાળાં મલીર પણ છે.
કવળાં સાસરિયાં, પાતળી પરમાર્ય, જળદેવતાને બલિદાન(માધાવાવ), હાજી કાસમની વીજળી , નગર સાસરે – જેવાં કેટલાંય ગીતોમાં મૃત્યુ પછીનું ક્રંદન છે. ગામડે-ગામડે રાવણહથ્થો વગાડતા ભરથરી-નાથબાવા અને તૂરીઓએ રચેલાં અને ગાયેલા અનેક કથાગીતો તેમજ બહારવટિયાઓની ‘કરૂણપ્રશસ્તિઓ’ આજે પણ ગવાય છે.
ઉત્તરા-અભિમન્યુ
પરંપરાગત મૃત્યુગીતોમાં પૌરાણિક કથાનકો પણ ગવાય છે .એમાં અભિમન્યુ અને ઉત્તરાની કથાના રાજિયા નોંધનીય છે.
મને મારીને રથડા ખેલ રે, બાળારાજા !
કે મેં તો ધાવતાં બાળ વછોડ્યાં રે, બાળારાજા !
કે મને તેનાં તે પ્રાછત લાગ્યાં રે, બાળારાજા
કે મેં તો છાણે છાણું ભાંગ્યું રે, બાળારાજા !
કે મને તેનાં તે પ્રાછત લાગ્યાં રે, બાળારાજા
કે મેં તો દીવે દીવો કીધો રે, બાળારાજા !
કે મને તેનાં તે પ્રાછત લાગ્યાં રે, બાળારાજા !
કે હું તો પગ રે પાનીએ ધોતી રે, બાળારાજા !
કે મને તેનાં તે પ્રાછત લાગ્યાં રે, બાળારાજા !
કે મેં તો વહેતી નીકે પગ દીધા રે, બાળારાજા !
કે મને તેનાં તે પ્રાછત લાગ્યાં રે, બાળારાજા !
૦૦
અભિમન્યુનો રાજિયો
અભેવન ચડ્યો રણવાટ રે, ઓતરાને તેડાં મોકલ્યાં :
ગયા દોશીડાને હાટ રે, ઘરચોળાં વસાવે મોંઘા મૂલનાં :
આપ્યાં ઓતરાને હાથ રે,ઓતરા હોંશીલીને પહેરવા:
પહેર્યાં છે વાર-તહેવાર રે, જેવાં પહેર્યાં તેવાં ઉતર્યાં:
લોકસાહિત્યના મોંઘેરા મોતી જેવા
મરશિયા દુહા
આંબેથી ઉડેલ, બાવળ મન બેસે નહીં;
ચંદનવન ચૂકેલ, વન કોઈ વિસામો નહીં.
લાગેલ હત જો લા’, આડા પડીને ઓલવત;
પણ દલડે લાગ્યો દા , હડેડ્યો ડુંગર હેમિયા.
ગર્ય સળગી ગજબ થિયો, સળગ્યાં સાતે વન;
લાખું બાળ્યાં લાકડાં, બથું ભરીને બાનરા.
કાપડ ફાટ્યું હોય તો, તાણો લઈને તૂણીએ;
કાળજ ફાટ્યું હોય, સાંધો ન મળે સુરના.
સિંદોર ચડાવે સગાં, દીવો ને નાળિયેર દોય;
લોડણ ચડાવે લોય, તારી ખાંભી માથે ખીમરા .
ભરદરિયે કોઇ વહાણ, ભેડાનું ભાંગી ગિયું;
પંડ્ય થિયાં પાખાણ, રસ ગ્યો, રેશમિયા !
મળશું મેળે-ખેળે, મળશું ગામ ગિયાં;
એ સજણ નહીં સાંપડે, જે ધરતી ઢંક થિયાં.
તારી કવિતા તણાં, જેણે પીધેલ હોય પાણી;
એને લાખું સરોવર લાગિયાં, મોળાં મેઘાણી.
(કવિ કાગ)
લેખક સઘળા લોકની, ટાંકું તોળાણી,
તે દી વધી તોલે વાણિયા, તારી લેખણ મેઘાણી.
(કવિ કાગ)
સંસ્કૃત સાહિત્ય અને મરશિયાં
સંસ્કૃત સાહિત્યમાં સ્વજનના મૃત્યુ પછીના  આવા શોકોદ્ગારો ‘વિલાપ’ નામથી ઓળખાય છે. કવિ કાલિદાસ કૃત ‘કુમારસંભવ’માં શિવના ત્રીજા નેત્રથી બળીને ભસ્મ થયેલા કામદેવ પાછળ રતિનો વિલાપ ઘણો જ હૃદયદ્રાવક છે.
રતિવિલાપ
” તમારી આવી દશા છતાં હું ફાટી પડતી નથી ! કેવી કઠોર હોય છે સ્ત્રીઓ..!”
न विदीर्ये कठिना: खलु स्त्रिय: |
(कुमारसंभव ४/५)
“મારું જીવન તમને સમર્પિત હતું, છતાં પળવારમાં બંધન તોડીને તમે અદૃશ્ય થઇ ગયા..?જળનો ધસમસતો પ્રવાહ કમળવેલીને તોડીને વહી જાય તેમ મને સાવ અનાથ કરી મૂકી ? મારો અપરાધ શું ?”
૦૦
અજવિલાપ
નગરના ઉપવનમાં રાજા અજ અને રાણી ઈન્દુમતી વિહાર કરી રહ્યાં છે. એ વખતે દેવર્ષિ નારદ આકાશમાર્ગે પસાર થયા. નારદની વીણાના અગ્રભાગે દૈવી પુષ્પોથી ગૂંથેલી માળા હતી તે પવનના વેગને કારણે  ઇન્દુમતીના વક્ષ:સ્થળ પર પડી. ઇન્દુમતીનું મૃત્યુ થયું. પ્રિયતમાના મૃત્યુના શોકથી રાજા અજ વિલાપ કરવા લાગ્યા.
‘ રાત્રિ પુનઃ ચન્દ્રને મળે છે. ચક્રવાકી ચક્રવાકને મળે છે. અને એટલે જ એ બે તો વિરહ ખમી શકે છે. પણ તું તો હમેશ માટે ચાલી ગઈ. આ મારાથી કેમ સહેવાશે ?
(રઘુવંશ ૮/૫૬)
गृहिणी सचिव: सखी मिथ: प्रियशिष्या ललिते कालविधौ |
करुणाविमुखेन मृत्युना हरता त्वां वद किं न मे हृतम ||
(रघुवंश ८/६७)
(તું મારી ગૃહિણી, મંત્રી, એકાંતમાં સખી, લલિત કલાવિધિમાં પ્રિય શિષ્યા હતી.ઘાતકી મૃત્યુએ તને એકલીને હરી નથી.તને હરીને, મારું કહે, શું શું નથી હરી લીધું ?)
૦૦૦
મંદોદરીવિલાપ
(તુલસીદાસ, રામચરિત માનસ, લંકાકાંડ)
तव बल नाथ डोल नित धरनी |
तेज हीन पावक ससि तरनी ||
सेष कमठ सही सकहीँ न भारा |
सा तनु भूमि परेउ भरी छारा ||३||
હે નાથ ! તમારા બળથી પૃથ્વી કાંપતી રહેતી. અગ્નિ, ચંદ્ર અને સૂર્ય તમારી સામે તેજવિહીન લાગતા. શેષ અને કચ્છપ પણ જેનો ભાર સહન ન કરી શકતા એ જ તમારું શરીર આજ ધૂળમાં પડ્યું છે.
૦૦૦૦
મદાલસા આખ્યાનમાં સતી મદાલસાના વિરહમાં રાજા ઋતુધ્વજનો વિલાપ પણ જાણીતો છે.
આધુનિક કવિતામાં મરશિયાં અને મૃત્યુ વિષયક સંવેદનો 
મડદું, મસાણ અને મરશિયાની નજીક જવામાં સહેજે ખચકાટ થાય  એટલે કદાચ આધુનિક સર્જકો દ્વારા મરશિયાં ઓછાં લખાયાં છે.પણ, જેટલાં લખાયાં છે  એમાં પરંપરાગત સ્વરૂપ નું પોત અને કાવ્યત્વ  સારી રીતે પ્રગટે છે.
મારા ધ્યાનમાં થોડાં આવ્યા છે.
રમેશ પારેખ
કાંધ રે દીધી ને દેન દીધાં રે, સોનલદે !
પોઢણાં દીધાં રે તમને રાખનાં હોજી.
આ  ઉપરાંત ‘રાણી સોનલદેનું મરશિયું’ ધ્યાનાહાર્ય છે. 
‘લાખા સરખી વારતા’  એ દીર્ઘકાવ્યનો એક અંશ જુઓ:
°
વીર કાચી રે કરચથી કપાણો, હાય હાય !
વીર ઊભી રે બજારમાં મરાણો, હાય હાય !
વીર વંશ રે પુરુષ કેરો બેટો, હાય હાય !
વીર હાથપગધડનો ત્રિભેટો, હાય હાય !
વીર કાગળ-પતરમાં લખાશે, હાય હાય !
વીર વારતામાં ફૂલડે ગૂંથાશે, હાય હાય !
°°
વીર અડધો મર્યો ને આખો પાળિયો ખોડાય.
વીર અડધો મર્યો ને આખી ચૂડિયું ફોડાય.
વીર અડધો મર્યો ને આખી છાતીયું કૂટાય.
વીર અડધો મર્યો ને આખી છાવણી રંડાય.
◆ 
માધવ રામાનુજ
હળવા તે હાથે ઉપાડજો, અમે કોમળ કોમળ
સાથરે ફૂલડાં ઢાળજો, અમે કોમળ કોમળ..
આયખાની આ કાંટયમાં રે અમે અડવાણે પગ,
રૂંવે રૂંવે કાંટા ઊગિયા રે, અમને રૂંધ્યા રગેરગ,
ઊનાં તે પાણીડે ઝારજો, અમે કોમળ કોમળ..
ખેપનો થાક ઉતારજો, અમે કોમળ કોમળ..
રાવજી પટેલ 
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો, વીરા ! શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
સંજુ વાળા
સૂમસામ સન્નાટો પહેરી લખલખવું ચોધાર: બલમજી
શ્વેત ધુમાડો ઓઢી ઊજવું ફળફળતો તહેવાર: બલમજી
ખરેડે ઘરના ટોડલા, ખરતાં મેડી-માઢ;
રે કડકડતી ટાઢ, ખમવી કિયા ખંતથી ?
પેલ્લી મારી રાતી ચટ્ટક ચૂંદલડી અંગાર: બલમજી
સેંથીમાં ખાલીપે ફૂટી તીક્ષ્ણ ચળકતી ધાર: બલમજી
અરવિંદ બારોટ 
મોભીનું  મરશિયું
ચાંદલે- ચૂડલે ચોર પડ્યા, હાય રામ ! 
મોટા ઘરના મોભ ખડ્યા , હાય રામ !
ઢળ્યા ઢોલિયે  ધાડ પડી, હાય રામ ! 
વાડી  માથે   વીજ  પડી, હાય રામ ! 
જોરાવર   જોધાર  પડ્યા, હાય રામ ! 
પલંગમાં   પોકાર  પડ્યા,  હાય રામ ! 
કૂણી કાતળિયે વાઢ પડ્યા,હાય રામ !
મેડીબંધા    માઢ    પડ્યા, હાય રામ ! 
તડકે  મેલી  તેલ  છાંટ્યાં, હાય રામ ! 
પાઘડિયાળાં ચીર  ફાટ્યાં, હાય રામ !
માથાં વાઢી ધડ રખડાવ્યાં, હાય રામ !
અંતરિયાળાં કાં રઝળાવ્યાં, હાચ રામ !
કૂવે  ઉતારી  વરત વાઢ્યાં, હાય રામ ! 
પગલે પગલે થોર ઉગાડ્યા,હાય રામ ! 
શગે  બળતા  દીવા  ઠાર્યા, હાય રામ !
ટહુકા  કરતા   મોર   માર્યા, હાય રામ !
પારૂલ ખખ્ખર
ગુલમહોરનું મરશિયું
ફટ રે મૂવા કાળ, અરે તે ઝાડને માર્યું !
ફટ રે કાયર , મારી મારી ને ઝાડને માર્યું !
હાય..રે મારી રંગભરી મોલાતને મારી,
હાય..રે મારા છાંયડાની સોગાતને મારી,
હાય..રે મારી રાત,
મારી વાત
મારી આખેઆખી જાતને મારી !
નેહા પુરોહિત
માતા કુંતાના મુખે અભિમન્યુનું મરશિયું
હાય રે, મારાં પેટ ! તું રણે હાય રોળાણો,
હાય રે, મારાં પેટ ! તું ખાંભી થઈ ખોડાણો.
હાય રે, મારા બાળ !તું મારી આંખનું રતન
રાખડી બાંધી  તોય ના થયું જીવનું જતન
હાય રે, તને હણનારા પર કાળ ઝળૂંબે,
હાય રે, એને જળનું ટીપું એક ન પૂગે. 
હાય રે, તારું શોણ પીધેલી ભોમકા લાજો !
હાય રે, એની કૂખ ભવોભવ વાંઝણી થાજો !
હાય રે, એનાં થાન વસૂકે આગ ભભૂકે,
હાય રે, એને આભ કદી વાદળ ન ઝૂકે.
રાહુલ તૂરી
પાનેતરનું થયું અચાનક મોત, 
કે માથે થોપી દીધો પોથ,
રહી ના કોઈ દિશાની ઓથ…
હુંશીલા હાય હાય…
મૂકી ચાલ્યા હાય નોઁધારા,
પૂગ્યા છેક તમે પરબારા,
આંખે આંસુડાંની ધારા,
ભરિયા સાત સમંદર ખારા..
ટાઢી થઇ ગઇ ઝળહળ જ્યોત…
છોગાળા હાય હાય..
તમ વિણ કેમ કરી રહેવાશે ?
મનખો કેમ કરીને જાશે..?
ઘરની દિવાલો પડઘાશે,
સઘળું મુજથી ના સહેવાશે..
જીવતર ફાટી ગ્યેલું પોત…
છબીલા હાય હાય…
મરશિયા, રાજિયા કે છાજિયામાં તો વિલાપ હોય, આક્રંદ હોય. પણ રાવજી પટેલે ચીલો ચાતરીને એક દંભી, લોભી,કુટિલ, લંપટ અને મિથ્યાભિમાની પાત્ર હુંશીલાલની ટીખળમાં મરશિયાના સ્વરૂપની રચના કરી છે. કરૂણ જ્યારે વિકૃત થાય ત્યારે હાસ્યમાં પરિણમે એ વાતનું આ સરસ ઉદાહરણ છે.
રાવજી પટેલ
સ્વ. હુંશીલાલની યાદમાં
છાજિયા
હાય હુંશીલાલ વટનો કટકો
હાય હુંશીલાલ નરદમ કડકો
હાય હુંશીલાલ ગામનો પાડો
હાય હુંશીલાલ આંખ ઉઘાડો
હાય હુંશીલાલ અમને વરતો
હાય હુંશીલાલ હમ્બો હમ્બો
લાગણી અને મમતાથી બંધાયેલા માનવીને આપ્તજનના મરણનું દુઃખ અસહ્ય લાગે છે. આઘાતના કારણ ચિત્તતંત્ર હચમચી જાય છે. હૈયા પર આકરો બોજ વરતાય છે. જીવવું વસમું થઇ પડે છે. ત્યારે રૂદન કરીને હૈયું ખાલી કરવું જરૂરી છે. મરશિયાના સૂર અને શબ્દોથી સંવેદના પ્રવાહિત થાય છે. ડૂમો ઓગળે છે.અને વાસ્તવિકતાના સ્વીકારની ભૂમિકા રચાય છે.
મરશિયા હવે લુપ્ત થવાના આરે છે. મમત્વ હોય એટલે પીડા હોય જ.
આવનારા સમયમાં વેદના અને વલોપાત હશે, પણ વહેવા માટે ‘વેણ’ નહીં હોય.
કલ્પાંત હશે, એની કલા નહીં હોય…
સંદર્ભ:
લોકસાહિત્યનું સમાલોચન -ઝવેરચંદ મેઘાણી
સૌરાષ્ટ્રની રસધાર,ભાગ ૪,૫ -ઝવેરચંદ મેઘાણી
રઢિયાળી રાત, ભાગ ૧,૨,૩- ઝવેરચંદ મેઘાણી
યુગવંદના-ઝવેરચંદ મેઘાણી
કાગવાણી ભાગ ૩-કવિ દુલા ભાયા કાગ
કરુણપ્રશસ્તિ કાવ્યો-સં: ધીરુભાઈ ઠાકર
પરબ – નવેમ્બર, ૨૦૧૬
कुमारसम्भव-कवि कालिदास
रघुवंश- कवि कालिदास
रामचरितमानस -तुलसीदास
उर्दू-हिंदी शब्दकोश-सं:डॉ.सच्चिदानंद शुक्ल/ ज़हिर हसन कुद्दूसी.

દીલનો ટુકડો


ફરી ફરીને

પાછી ત્યાં જ વળું છું-

નક્કી,

એ તરફ જ

મારા દિલનો

કોઈ ટુકડો પડી ગયો હશે !

-સ્નેહા પટેલ

તમે મારી ભીતર પધારી જુઓ !


તમે મારી ભીતર પધારી જુઓ,
વિચારું છું હું એ વિચારી જુઓ.

ઉકેલી જુઓ મારા મનની લિપિ,
એ વાંચી જુઓ અથવા ધારી જુઓ.

નથી આપણાં હાથની વાત એ,
કદી સ્વપ્નને તો મઠારી જુઓ !

પ્રવેશ્યા વગર કોઈના ક્ષેત્રમાં,
તમારી જ હદને વધારી જુઓ.

હશે એમાં મોતી, કવિતા હશે,
તમે આંસુ ભીતર ઉતારી જુઓ.

-સ્નેહા પટેલ.

Man nathi thatu !


અહીં એક શ્વાસમાં ઉચ્છવાસ ગૂંથાઈ ગયો એવો,
છે ઉલઝન એવી કે સુલઝાવવાનું મન નથી થાતું.

સીધા સાદા સવાલોના ઉત્તર હું દઉં, કિન્તુ,
સરળ રીતે જ સમજાઈ જવાનું મન નથી થાતું.

હું કોને ચાહું છું, એ વાત મારી સાવ અંગત છે,
ને એના નામને ઉચ્ચારવાનું મન નથી થાતું.

તમે બોલો ને પ્રત્યુતર માં હું મલકી ઉઠું કેવળ,
હતી એ હા અને હા, બોલવાનું મન નથી થતું !

અહીં આ બે અને બે ચાર નહિ પણ એક લાગે છે,
અને તે કેમ ? એ સમજાવવા નું મન નથી થતું !
-સ્નેહા પટેલ.

Namaskar gujarat – june’18


ઓસ્ટ્રેલિયાથી પ્રકાશિત પેપર ‘નમસ્કાર ગુજરાત’ ની રેગ્યુલર કૉલમ’અક્ષિતારક’નો મારો આ માહિનાનો લેખ.

Mummy


મમ્મી,

તું બહુ યાદ આવે.

હજુ જાણે કાલની વાત જ લાગે છે કે

હું તારા ખોળામાં માથું મૂકીને સુઈ જતી

અને તું વહાલથી મારા વાળમાં હાથ ફેરવતી.

હું તને ભીંડાનું શાક અને દાળ ભાત બનાવવા માટે કહેતી.

‘મને અને તારા દોહિત્રને બહુ ભાવે છે’

આવું સાંભળતા જ તારું મોઢું ગર્વથી છલકાઈ ઊઠતું,

નેે તું સામેથી, ‘સાંજના દૂધીના મુઠીયા બનાવીશ..જમીને જ જજો’ નો મીઠો પ્રસ્તાવ મૂકી દેતી.

મા ને પોતાના છોકરાઓની રગ રગની માહિતી હોય ને !

તારી કાળજીની, મમતાની આવી તો કેટકેટલી વાતો છે મમ્મી..

આખું આભ ભરાઈ જાય તો ય નાનું પડે !

તને યાદ કરતા કરતા આજે એ સઘળી રગ રગ તૂટી જાય છે.

વળી છેલ્લા કેટલાક સમયથી એક નવું કૌતુક – નવી વાત સાંભળવા મળે છે,

‘સ્નેહા, તારો ચહેરો તો અદ્દલ તારી મમ્મી જેવો થતો જાય છે!’

– સ્નેહા પટેલ.

6-5-2018

shabd-sabha


રોજ શબ્દોની સભા ભરીને હું બેસું છું,
હું જ રાજા
હું જ પ્રજા.
તો ય આખી દુનિયા પર શાસન કરી લીધાનો ભાવ જન્મે છે.
જોકે..દિલમાં કોઈ રાજપાટ ની આશા ક્યારેય નથી જન્મી,
પણ એક સિંહાસનના માલિકની લાગણી તીવ્રપણે અનુભવાય છે.
કોઈ તલવાર..મુગટ..બખ્તરની મને જરૂર નથી લાગતી,
હું તો મારા વિચારોથી, શબ્દોથી જ સંરક્ષાયેલી છું !
-સ્નેહા પટેલ.
16-11-2017 , બપોરનાં 1.25 મિનિટ

meeting with shree tushar shukla


બહુ સારી ફોટોગ્રાફર નથી, કદાચ આ વિડીઓ મોબાઈલ આડો રાખીને લીઘો હોત તો વધુ સારું રહેત, પણ યાદગીરીની મહેંક તો સરખી જ.

લખીને અભિવ્યક્ત થવું એ આજથી લગભગ આઠ -દસ વર્ષ પહેલાં મારામાં પ્રવેશી ગયેલી દૈવી શક્તિ જેવી અદભુત ઘટના છે. મેં ક્યારેય સભાનપણે એ પથ પર ચાલવાનો યત્ન નથી કર્યો કે નથી મારા ફેમિલીમાં કોઇ જ જાતનું સાહિત્યનું વાતાવરણ!  સાચુ શું ને ખોટું શું એની સમજ આવે એ પહેલાં તો આ જાદુઈ નેટદુનિયાએ બ્લોગ,ફેસબુક પર મને વાહ વાહ મેળવતી કરી દીધી હતી. જો કે હું ક્યારેય આ વાહવાહીની દુનિયાથી છકી નથી જતી. બે ઘડી આ બધું આનંદ આપે અને પછીની પળોમાં હું એનાથી દૂર થઈ શકુ છું. લખાણમાં તીવ્ર આલોચનાનો સામનો હજી સુધી નથી થયો પણ જીવનના જીવાયેલ અનુભવો પરથી એટલું વિચારી શકુ છું કે એ પણ આમ જ પચાવી શકીશ.વિચારેલું બધુ  સાચુ નથી પડતું પણ મારો પ્રયત્ન તો દરેક વાતને એક  પોઝિટીવ એન્ડ આપવાનો રહે છે એ તો તમે લોકો મારી  કોલમ, લેખો વાંચીને  સમજી જ ચૂક્યાં છો.

જોકે આજે વાત કરવાની છે મારા કવિતાના વિશ્વ – મારા પુસ્તક અક્ષિતારકની યાત્રાની.

આજથી લગભગ પાંચ વર્ષ પહેલાં મેં મારા જીવનનો એક યાદગાર અનુભવ મેળવ્યો અને એ હતો ડીડી ગિરનારના ‘કવિ કહે છે’ કાર્યક્રમમાં કાવ્ય પઠન કરવાનો. પ્રથમ વખત કવિતા પઠન અને એ પણ સામે ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી તુષાર શુકલના સંચાલન હેઠળ! જોકે સાથે કવિ મિત્રો બધા જાણીતા હતાં એટલે આમ મજાનો પ્રસંગ હતો. અત્યાર સુધી મેં મારી કોઇ જ કવિતા ક્યારેય કોઇ જાણકારને બતાવી નહતી. બસ મને જે ઠીક લાગી એ જ પસંદ કરેલી. કોન્ફીડન્સ બધો બહાર બહારથી છલકતો હતો અંદરખાને કોઇ ગભરુ વૃતિ કામ કરતી હતી. ધડકનની તેજ ગતિ એની સાક્ષી હતી. પ્રોગ્રામ સારો જ રહ્યો પણ એ કાર્યક્રમ દરમિયાન એક અલગ ઘટના બની.

તુષારભાઈએ એમના સંચાલનમાં જે રીતે મારા જેવી નવી નિશાળિયણની કવિતાને વધાવી એ જોઇને એક જ પળમાં દિમાગમાં સ્પાર્ક થયો કે, ‘ક્યાં આ કવિ કે જે મારી કલમમાંથી આપોઆપ સરી પડેલી કવિતા (જે સાચા અર્થમાં કવિતા છે એ પણ બહુ બધા જાણકાર મિત્રોએ વખાણી ત્યારે ખબર પડી હતી ) વિશે, મારા ત્રણ લાઈનના કાવ્ય,

‘નદી જેવું બિન્દાસ વહુ છું,

હા એટલું ખરું કે

વળાંકોને અનુરુપ થઈ જાઉં છું’

આના વિશે ઊંડાણથી ચર્ચા કરી અને ક્યાં હું? સરખામણી નહીં- મને સરખામણીથી સખત નફરત છે. પણ આ એક જાતની આત્મપરીક્ષણની ઘડી આપોઆપ આવી ચડેલી ને મેં એની પર યોગ્ય મથામણ કરવાની મહેનત કરી. એમણે જે સહજતાથી બે જ સેકંડમાં મારી કવિતાનું મર્મસ્થાન પકડીને અફલાતૂન રીતે વર્ણવ્યું એનાથી હું બે  ઘડી ચૂપ થઈ ગઈ કે મારું લખેલું હતું પણ એની પાછ્ળ આટલી ઉંડી વિચારશક્તિ કદાચ મારી પણ નહતી. એ પછી મેં કવિતા વિશે વાંચવાનું ચાલુ કર્યું. કવિતા એટલે પાઠ્યપુસ્તકની દુનિયાના કાવ્યથી વધીને કોઇ જ જ્ઞાન નહીં. ઉપરની કવિતાની આ પંકતિમાં કવિ શું કહેવા માંગે છે. આ પંક્તિઓનો અર્થ સમજાવો, આ પંક્તિ પૂર્ણ કરો’થી વિશેષ કશું જ નહીં.’ એ પછી નેટ ફંફોસતા ખ્યાલ આવ્યો કે હું જે લખું એ ગઝલ તો ના જ કહેવાય પણ ‘છંદમાં ના લખીએ એ અછાંદસ ‘ એ પ્રકાર પણ નહીં. હા અમુક તીવ્ર સંવેદનો કલમમાંથી સરી પડે અને એમાં અમુક પ્રકારનું કાવ્યતત્વ હોય એટલે લોકોના હ્રદયને સ્પર્શી જાય પણ એ ખરી કવિતા ના જ કહેવાય. જીવનમાં જ્યાં છીએ એનાથી એક કદમ આગળ વધતાં શીખવું એ મારો સ્વભાવ કાં તો એક શોખ પણ કહી શકો. બસ એ ઘડી પછી મેં મહેનત કરીને છંદ શીખવાનો યત્ન ચાલુ કર્યો. શરુઆતમાં ગાલગાના ચકકરોમાં જબરદસ્ત ફસાઈ, લંડન રહેતાં દિલીપભાઈ બિચારા કલાક કલાક ફોન કરીને મને સમજાવે પણ આપણે ઠેરના ઠેર. ક્યાંક અટવાઇ જ્વાય પછી એમાંથી નીક્ળતા મને પહેલેથી વાર લાગે છે. આ મારી એક નબળાઈ છે. જોકે એમાંથી નીકળી ગઈ અને લગભગ બે વર્ષના ગાળામાં મેં ૫૦ એક ગઝલ ભેગી કરી લીધી. એ પછી બ્લોગ,નોટબુક , ફેસબુક બધેથી મારું લખાણ શોધવાનું ચાલુ કર્યુ અને એમાંથી કવિતા જેવું લાગે એ ભેગું કર્યું. છેલ્લે વારો આવ્યો પુસ્તક પબ્લીશ કરવાનો. એમાં પણ જાતે પ્રકાશિત કરીને જાતે વેચવાનો અને સફળ થવાનો સુંદર અનુભવ મેળવ્યો. મારા વાંચકોએ મને ભરપૂર પ્રેમ આપ્યો છે અને એમના પ્રેમે મારી લેખનશક્તિને કાયમ સુંદર સપોર્ટ આપ્યો છે.

આ બધી વાત ઉપરાંત આજે એક બીજી વાત કરવાની કે આજથી ૭-૮ વર્ષ પહેલાં હું સાચે જ બિન્દાસ હતી પણ એ બિન્દાસપણામાં થોડી નાસમજી, થોડું અજ્ઞાન અને થોડી લાપરવાહી હતી.  એ પછી છંદ શીખવા તરફ વળી ને સમજણમાં પણ અનેક વળાંકો આવ્યા. ‘ગુજરાતી સાહિત્યએ મને શું હેલ્પ કરી છે, જે છે એ મેં મારી રીતે, મારી આવડતથી ડેવલપ કર્યું છે. હા, આભાર માનવો હોય તો ભગવાનનો માની શકું પણ સાહિત્યકારોનો નહીં. કારણ મેં કદી કોઇને કંઇ જ પૂછ્યું નથી અને કદી કોઇની મદદ લીધી નથી’ જેવી ભાવના તુષારભાઈ જેવા કવિએ સાવ નવી સવી કવિને આટલો આદર આપ્યો એ ઉપરાંત ગુજરાતી લખાણના કારણે જ દેશવિદેશ દરેક જગ્યાએ અનેક સાહિત્યકારોએ મને સાથ આપ્યો, જેમાં દિલીપ ગજજરે મને સતત આગળ વધવામાં મદદ કરી, મોટા ગજાના કવિ શ્રી અદમભાઈએ કોઇ જ આનાકાની કે કોઇ જ વાત કર્યા વિના ૭ દિવસમાં આખા પુસ્તકના સારરુપી પ્રસ્તાવના લખી આપી, લતા હિરાણી દીદી- નીલેશ પટેલજી એ પણ સરળતાથી પ્રસ્તાવના લખી આપી. ગુજરાતી અને ઉર્દુભાષામાં કવિતા લખતાં કવિ શ્રી હર્ષ બ્રહભટ્ટજી એ મારા પુસ્તકનું વિમોચન કર્યુ અને ઉષાબેને મારા પુસ્તક વિશે સુંદર વિવેચન. આ કોઇ જ મને જાણતાં નહતાં એ લોકોએ મને મદદ કરી તો ફકત શબ્દની સાધનારુપે, ગુજરાતી ભાષાના ઊગતા સર્જકને પ્રોત્સાહન આપવા માટે જ! આ સિવાય ઘણાં બધા ભાવક મિત્રોનો પણ આ પુસ્તક પાછળ પરોક્ષ રીતે ફાળો છે અને આ બધું મારા પુસ્તકને ફકત ગુજરાતી ભાષાના જીવની જેમ રખોપાં કરતાં આદરણીય લોકો તરફથી. કોઇ જ કચ કચ નહીં કે કોઇ જ ઇગો નહીં. આ બધા મને નિસ્વાર્થપણે મદદ કરીને મારું પુસ્તક જોઇને મારા કરતાં ય વધુ ખુશ થયાં છે. તો આ છે ગુજરાતી સાહિત્યનો મારા વિકાસમાં ખરો ફાળો. એ કોઇ જીવંત વ્યક્તિ નથી પણ એનો પ્રભાવ આવો જીવંત ને પ્રેરણાદાયી છે. એ ઘડીથી હું પણ મારી ગુજરાતી ભાષાને સમજણ સાથે વધુ ચાહતી થઇ ગઈ.

આ છે મારું ‘વળાંકોને અનુરુપ થઈ જાઉં છું.’ આજે મારી જે સમજણ, વર્તન છે એ કાયમ સાચું ને યથાવત જ રહેશે એવી ભાવનાને મારું બિન્દાસપણું ઠોકર મારીને ફગાવી દે છે,    દુનિયા  શું   કહેશે ની  ચિંતા ક્યારેય  નહિ , માંહ્યલો કહે  એ જ સાચું !  આ વળાંક  અંદરના ઇગોને સતત કંટ્રોલમાં રાખે છે, પરિવર્તનશીલ રાખે છે. મને આવા વિકાસના પથ  પર લઈ જતાં વળાંકો બહુ જ્ પ્રિય છે. હા, વળાંકની  પસંદગી બહુ સાચવીને કરુ છું કારણ કે  બધા વળાંક પર વળવા જેવું નથી હોતુ. એ સાથે હું આવા મહાનુભાવો પાસેથી એ પણ શીખું છું કે મારી પણ એ નૈતિક ફરજ બને છે કે મને જેમ આ લોકો તરફથી મદદ મળી છે એ જ રીતે નવા નવા સ્પાર્ક ધરાવતા  સર્જકોને  મારે પણ એ વી જ મદદ પૂરી પાડવી રહી.

તો મિત્રો આ છે મારું એકલવ્યપણું ને આ બધા છે મારા ગુરુ!

લગભગ એક વર્ષ થઈ ગયું પણ હું ‘અક્ષિતારક’ થોડી આળસ, થોડી બેજવાબદારી, થોડી વ્યસ્તતા હેઠળ તુષારભાઈ સુધી પહોંચાડી નહતી શકી પણ કાલે તો આ કામ કરવાનું જ છે વિચારીને એમનો સમય લઈને એમને મળી અને મારા જીવનની એક સુંદર ઘડીનું નિર્માણ થઈ ગયું. હું સમય કરતાં થોડી મોડી પહોંચીને તુષારભાઈ એમના નિત્યક્રમ હેઠળ એકસરસાઈઝ કરવા નીકળી ગયેલાં. જોકે એક જ બિલ્ડીંગ હતું એટલે એમને સંદેશો  મળી ગયો અને તેઓ પાંચ મીનીટમાં તો આવી પહોંચ્યાં. એ સમયે એમનું ગ્રે ટી શર્ટ પરસેવાથી રેબઝેબ હતું અને સામે પક્ષે હું સ્વેટર પહેરીને બેઠેલી હતી એ જોઇને બે મીનીટ માટે મને હસવું આવી ગયું અને તુષારભાઈની સ્વાસ્થ્ય માટેની આટલી કાળજી જોઇને બહુ જ મજા! અડધો કલાકની એ મીટીંગમાં ફરીથી એ જ ‘ડાઉન ટુ અર્થ’ સર્જકની પ્રતિતી થઈ. સહેજ પણ આડંબર નહી, એકદમ સરળ અને સહજ વ્યક્તિત્વના માલિક એવા તુષારભાઈની ડ્રેસિંગ સેન્સ જોરદાર. એક વખત મેં એમને કહેલું પણ ખરું કે,’ સર, તમને જોઇને મને નરેન્દ્ર મોદીની યાદ આવે છે.’

આ મુલાકાતની એક સુંદર મેમરી બની રહે એટલે મેં એમને મારા પુસ્તકને શુભેચ્છા  આપતો નાનકડો વીડીઓ ઉતારવાની એમની પરમીશન  માંગી જે એમણે એક પણ પળના વિલંબ વિના સ્વીકારી લીધી. આ વીડીઓ આપની સાથે  પણ શેર કરુ છું મિત્રો.

આ ઉપરાંત મને એમના તરફથી એમના પુસ્તક ‘તારી હથેલીને’ ની સરપ્રાઈઝ ગિફટ પણ મળીimg_20170122_124511706 ને આપણે તો રાજીના રેડ !

સ્નેહા પટેલ.

રબને બના દી જોડી !


રબને બના દી જોડી !

એને બંધ બારી ઉપર પડદાવાળો રુમ પસંદ છે
મને ખુલ્લી ઓસરીવાળો – મઘમઘતા ફૂલની વેલ લટકતી હોય એવો !
એને કઢી-ભાત પસંદ છે,
મને દાળભાત !
એને બીયરનું ટીન લઈને સિગરેટ પીવાનું પસંદ છે,
મને ફ્રેસ ફ્રુટ જયુસ સાથે સલાડ !
એનું દિમાગ વધારે ચાલે,
મારું દિલ !
એને મોટા મોટા સાહસથી જ એક થ્રીલ મળે છે
મોટી મોટી ખુશીઓનો માણસ,
મને તો કળીમાંથી ફૂલ બને અને એની સુગંધ શ્વાસમાં ભરાઈ જાય તો ય ન્યાલ,
સાવ નાની નાની ખુશીઓની માણસ !
એ મશીનો સાથે માથા ફોડે,
હું શબ્દોના અર્થમાં ડૂબી જઉં !
એ સાવ જ એકાંતપ્રિય,
મને માણસો- માણસો પસંદ !
એને સેન્ડવીચ વધુ પસંદ,
મને ઢોંસા !
કેટલાં વિરોધાભાસ કહું હવે….
માણસમાં પણ
એને હું સૌથી વધુ પસંદ
અને
મને એ !
સ્નેહા પટેલ.
૩૧-૫-૨૦૧૬

કંઈક એટલે કે…


અંદર
કોઇક નાજુક ખૂણામાં
કંઇક બહુ જ મજબૂત મજબૂત છુપાયેલું છે.
વિચારોના યુધ્ધમાં સમજણની પ્રત્યંચા પરથી શક્યતા – અશક્યતાના બાણ વછૂટયાં.
આ કંઇક શું હશે ?
દુનિયા બહુ ઉદાર છે.
અમુક લોકો મતલબથી ઉદાર છે
અમુક દિલથી !
હોય હવે..જેવી જેની જરુરિયાત.
એમણે શું અને કેમ કરવું એ એમની માનસિકતા
પણ મારે શું કરવું એ તો મારી સમજણ છે ને!
સમજણના ચક્કર ગોળ ગોળ ફેરવવાના ચાલુ કરુ છું.
ફ્લેશબેક – વર્તમાન – ફાસ્ટ ફોરવર્ડ –
ચક્કરોમાં અમુક જગ્યા સાવ કટાઈ ગઈ છે.
કિચૂડાટ –
કદાચ એ તો મેં ક્યારેય વાપરી જ નથી,
કાં તો બીજાની સમજણનું પાણી ચડી ગયું છે,
ઓરીજીનલ ચળકાટ ક્યાંય નથી દેખાતો !
થોડી વિચારમાં પડી ગઈ…
આ..આવી સ્થિતી કેટલાં વર્ષોથી નિર્માઈ હશે ?
કેટલાં વખતથી હું આમ જ
મારી માની લીધેલી અને લોકોએ એ મનાવી લીધેલી સીમાના વાડાઓમાં
ગૂંચળું બનીને પડી રહી છું ?
ચમક તો મારામાં છે જ…
એના સ્પાર્ક મેં કેટલીય વખત અનુભવ્યાં જ છે.
એ ચમક પાછી કોઇના પ્રતિબીંબ જેવી નથી કે
કાચ જેવી આભાસી પણ નથી
એ તો વીજળીના લિસોટા જેવી ઝંઝાવાતી છે.
જે વરસી પણ જાણે ને ગરજી પણ જાણે છે.
હું બધું જ જાણું છું..સમજુ છું..
કદાચ હવે એ જાણવા, સમજવાથી વાત આગળ વધારીને
બીજા લોકો એ જાણે,માને ત્યાં, સ્વીકારે ત્યાં સુધી મારે જવાનું છે.
જોકે, એ માટે તો સૌપ્રથમ મારે મારી જાતને માનવાની છે.
આ કામ મારે જ કરવું પડશે
કોઇ ઓપ્શન જ નથી.
બીજાઓ બહુ બહુ તો બહારથી ટેકો આપી શકશે
અંદરથી તો મારે જ વિકસવાનું – મજબૂત થવાનું છે.
રસ્તો અજાણ્યો છે, પણ પાંખોમાં ભરપૂર સમજણ ભરી છે,
વળી મંઝિલની પણ જાણ છે,
નીકળવાની શરુઆત તો કરવા દે,
જ્યાં છું એ સ્થાનથી આગળ
ક્યાંક તો પહોંચીશ જ ને..
મારી સમજશક્તિ ક્યાંય ખોટી જગ્યાએ ભટકવા તો નહીં જ દે
એમ તો જાત પર પૂરો વિશ્વાસ છે.
ચાલ જીવ…હામ ભીડ ત્યારે
બીજા તારામાં વિશ્વાસ મૂકી શકે ત્યાં સુધીની સફર ખેડવા !
પેલું કંઈક એટલે શું –
હવે મને પૂરેપૂરું સમજાય છે.
સ્નેહા પટેલ.

કવિતાનું પુસ્તક તો વેચાય જ ક્યાં…


કવિતાનું પુસ્તક તો વેચાય જ ક્યાં…

આ એક વાક્ય મેં જ્યારથી કવિતાઓ લખવાનું ચાલુ કર્યું ત્યારથી માંડીને આજે કવિતાનું પુસ્તક ‘અક્ષિતારક’ મારા હાથમાં આવ્યું ત્યાં સુધી સાંભળતી આવી છું. જો કે સાંભળવાનું અને અનુભવવાનું બે અલગ વાત છે ને હું વર્ષોથી મને જે ગમે એવા પ્રયોગો કરીને સફળ થવાની એક કુટેવ પડી છે. વળી પ્રયોગોમાં સફળતા હાથ આવે છે એથી કુટેવને વધુ ખાતર મળી રહે છે. આ પુસ્તકમાં ધાર્યા કરતાં વધુ સફળતા મળી રહી છે.
કોઇ મિત્રને ફોન કરીને એડ્રેસ પૂછું છું તો એ હકથી એની કોપી માંગે છે અને ધીરે રહીને ઉમેરે છે,’સ્નેહા, બીજી પાંચ, પચીસ, બે કોપી પણ બિલ સાથે મોકલજે. મારે તારી બુક પરચેઝ કરવી છે.’ અને આ સાંભળીને મારી નવાઈનો પાર નથી રહેતો. આ ઓછું હોય એમ મને અહીં મેસેજીસ, ઇમેઇલમાં તો આ બુકની સાથે સાથે મારી આગળની ટૂંકી વાર્તાઓની છપાઈ ગયેલી ‘વાત સીરીઝ’ની બુકનો આખો સેટ પણ માંગે છે. ચાર બુક અને સાથે પોસ્ટેજ ખર્ચ પણ અમે જ ભોગવીશું નો આગ્રહ રાખે છે. (આ પોસ્ટેજ ખર્ચ સાથે પુસ્તક ખરીદવામાં ફકત ગુજરાત, ઇન્ડીઆ જ નહીં યુકે, યુ.એસ., કેનેડા, ઓસ્ટ્રેલિયા..જ્યાં જ્યાંથી મારો બ્લોગ વંચાય છે ત્યાંના મિત્રો સામેલ છે. ૧૬૦ રુપિયાના પુસ્તકના એ લોકો ૪૦૦ રુપિયા સુધી ખર્ચે છે.) !!!

હવે તમે જ કહો મિત્રો, આ બધાની પાછળ શું કારણ હોઇ શકે ?

વિચારવાની ટેવ હોવાથી મને એક જ કારણ દેખાય છે અને આખી ઘટનાનો સાર હું કંઈક આમ કાઢી શકી કે ,
હું કોઇ મોટી કવિ નથી બની ગઈ કે મારા નામથી કવિતાની બુક્સ વેચાઈ જાય. પણ આ એક નવા સર્જકને પ્રમોટ કરવાની વાત માત્ર છે. ઠાલા શબ્દોથી નહીં પણ નક્કર વર્તનથી લોકો પ્રોત્સાહન આપવાનો ઉત્સાહ બતાવે છે. કદાચ હવે સમય આવી ગયો છે કે આપણે પણ બીજા સર્જકોની બુક પૈસા આપીને એની પાસેથી સાદર ખરીદતા શીખીએ અને
‘ગુજરાતી બુક્સ,કવિતાની બુક્સ તો ખાસ ખરીદે છે જ કોણ? ‘નું ગ્રહણ દૂર કરીએ
.
આ માટે આપણે મિત્રો સિવાય લોકોને આપણું પુસ્તક ફ્રીમાં આપવાની ટેવ પણ દૂર કરવા જેવી ખરી. સાવ ફ્રી હોય એની કિંમત બહુ ઓછા લોકો જ કરી જાણે છે. આપણે આપણા સર્જનને સાવ એવું સસ્તુ તો ના જ બનાવીએ દોસ્તો !

જોકે, આ મારો સાવ જ અંગત મત છે અને હું પહેલેથી છાપું હોય કે મેગેઝિન..ક્યારેય એક પણ શબ્દ પૈસા વગર નથી લખતી એ બધા મિત્રો બહુ જ સારી રીતે જાણે છે.

જે લોકો મને પ્રોત્સાહન આપે છે એ બધા મિત્રોની હું કાયમથી આભારી રહી છું અને આજે પણ એ જ …..આભાર મારા મિત્રો.
-સ્નેહા પટેલ.