Achraj – sakhaiyo

દેશ પરદેશ મેગેઝીન, અમેરિકા, નિયમિત કોલમ ‘સખૈયો’, એપ્રિલ 2022.

અચરજ

अहं सर्वस्य प्रभवो मत्तः सर्वं प्रवर्तते ।

इति मत्वा भजन्ते मां बुधा भाव समन्विता ॥

– श्रीमद्‍ भगवद्‍गीता, १०-८

‘હું સમગ્ર સૃષ્ટિનું જન્મસ્થાન છું. સમગ્ર જગત મારા થકી જ પ્રવૃતિમય છે. આ વાત સમજીને શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત થઈને ભાવુક ભક્તજનો મારી, પરમેશ્વરની જ નિત્ય ઉપાસના કરે છે.’

શુભ સવાર સખૈયા,

રોજ સવારે મારી નજરે અનેકો નવા ચહેરા અથડાય છે. નાનપણથી આ નિત્યક્રમ અચૂકપણે જળવાતો આવ્યો છે. લગભગ ચાલીસ વર્ષની મારી જિંદગી (હા હવે,બહુ હસ મા. અમે કાળા માથાના માનવી તો સામાન્ય વાતો જ કરીએ ને ? અમારું જીવન વર્ષોમાં જ ગણાય તારી જેમ યુગોમાં નહીં , વળી અમે તારી જેમ વટથી એમ ના કહી શકીએ કે ‘ જ્યારે ધરતી પર પાપનો ફેલાવો વધી જાય ત્યારે હું ફરીથી અવતરીશ’. અમારે ભાગે તો જ્યારે જે સમય આવે એને માન આપવું પડે, એ રીતે જ ચાલવું પડે ને ! ) હા, તો હું શું કહેતી હતી કે, ‘મારી ચાલીસ વર્ષની જિંદગીમાં રોજ સવારે રસ્તા પર નજર દોડાવતા કાયમ નવા ચહેરા દેખાય, દેખાય ને દેખાય જ’. હવે ચાલીસ વર્ષ એટલે ૩૬૫ ગુણ્યાં ચાલીસ એટલે લગભગ ૧૪,૬૦૦ દિવસ. એમાં આપણે ધારી લઈએ કે મેં રોજના કમ સે કમ ૧૦૦ નવા ચહેરા જોયા હોય તો આજે એની સંખ્યા કેટલી થવા જાય! 

હવે તું ગણ, થોડી તસ્દી લે અને ગણતરી માંડ. આ તો ફકત હું માણસોની જ વાત કરું છું. પશુ, પંખી, ફૂલો એ બધાંની તો કોઇ ગણત્રી જ નથી કરતી. તે હેં સખૈયા, આ મારી આજુબાજુની નાની શી જિંદગીમાં હું રોજેરોજ આ નવા નવા ચહેરાઓના દર્શન કરી શકુ છું, આટલું નાવીન્ય અનુભવી શકું છું એ એક અદભુત વાત નથી ? 

આ પ્રશ્ન કદાચ હું કોઇ કાળા માથાના માનવીને પૂછીશ તો એને હું પાગલ લાગીશ. હકીકતે અજ્ઞાનતાના સમંદરમાં ગોથા લગાવી લગાવીને જીવતા સામાન્ય દ્રષ્ટિવાળા લોકોને પોતાની અજ્ઞાનતા સમજવા, સ્વીકારવાનો સમય જ નથી મળતો. એ તો બસ ડૂબી ના જવાય એના પ્રયાસોમાં તર્યા કરવાના શ્રમમાં જ રચ્યા પચ્યા રહે છે. 

જ્યારે હું રહી સ્વશોધક ! 

માસ્ટરવર્ક ! ડૂબીને ય તરી જવાનું આવડે છે મને!  આ સ્વશોધની પ્રક્રિયામાં થોડી જીદ્દી બની ગઈ છું એવું લોકોને લાગે છે પણ હકીકત તો તું જાણે છે ને ? 

અગ્નિ, જળ, વાયુ,આકાશ અને પૃથ્વીતત્વના ગુણો ધરાવતો વ્યક્તિ મને મળી જાય તો હું તરત એને મારો ગુરુ માની લઉં. પણ ભીતરમાં સતત દીવો પ્રજવલ્લિત રાખી શકે, સતત અમીનીતરતી આંખોથી જ નિહાળે..જેની ચેતના ક્યાંય ના બંધાતી હવા સાથે જોડાયેલી હોય, આકાશની જેમ અફાટ, અસીમ હોય અને ગમે એટલી ઉંચાઈએ પહોંચીને પણ ફકત વિકસવાને જ મૂળકાર્ય સમજીને પણ પોતાના મૂળ તો જમીનમાં જ ખોડી રાખતો હોય એવો ગુરુ મળવો મુશ્કેલ છે અને એથી જ હું કોઇની વાત આસાનીથી માની નથી શકતી કે જે પણ વિચારું એ બધું કોઇને કહી નથી શક્તી. મારે તો હું  ભલી ને મારો સખૈયો તું ભલો. મને તો તું કાયમ મારી આસપાસ સંપૂર્ણપણે ચેતનવંતો જ લાગે છે. તારી એ ચેતનાને કારણે જ આજે હું તને આ પ્રશ્ન પૂછી શકી છું કે, ‘રોજ રોજ નવા નવા ચહેરા દેખાય એ અદભુત વાત નથી ?’

અને પછી આંખો મીંચીને તારા ઉત્તરની રાહ જોવું છું. મને ખબર છે તું મારી વાત પર પહેલાં કાયમની જેમ હસીશ જ પણ પછી મ્રુદુ હાસ્યના ફૂલો વેરીને તું મને ઉત્તર પાઠવીશ જ. તારી પાસે મારી વાત માન્યા સિવાય કોઇ રસ્તો જ ક્યાં છોડું છું હું ! તને બાંધવા માટે મારી પાસે ‘લાગણીપાશ’નું એક અદભુત શસ્ત્ર જે છે .. હા, તો હવે તું શું કહે છે એ સાંભળવામાં ચિત્તને લગાવું છું.

હવાના ઝાંઝર પહેરીને રણઝણ ચાલે તું મારી પાસે આવે છે હું સાંભળી શકું છું. સૂર્યકિરણોની ગરમીમાંથી તારા નેહ-અમી પસાર થઈને આકાશના ફલક પર સતરંગી મેઘધનુ બનાવી દે છે અને એની પાછળથી તારી દિવ્યવાણીના સૂર રેલાય છે. તું પણ પાછો મોટો કલાકાર, તારી વાણીમાંથી મને એક જ જવાબ સંભળાય છે કે,

‘ આ બધી કડાકૂટ રહેવા દે ને સખી, બધી વાતોનો મર્મ જાણી લેવામાં કોઇ જ મજા નથી. જે જેમ છે એને એમ જ સ્વીકારીને શાંતિથી અચરજથી ભરપૂર જિંદગી જીવ ને ! શું કામ દરેક પ્રશ્નોના ઉત્તર શોધવાની પળોજણમાં પડવાનું !’

હા, હવે હું બરાબર સમજી ગઈ, આ સૃષ્ટીના અચરજને દિલ ખોલીને માણીશ અને ફકત માણીશ જ. એના રહસ્યોના તાગ મેળવવાનો પુરુષાર્થ કરીને એની સુંદરતા નહી મારી કાઢું !  

સ્નેહા પટેલ.

One comment on “Achraj – sakhaiyo

  1. Abhinandan…..

    C.T.Prajapati,KarliG. ManagerDEWSHREE NETWORK PVT. LTD.Mo. – +91 98256 00064

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s