મરશિયાં

શબ્દસર-ઓગસ્ટ, ૨૦૧૯
“””””””””””””””””””””””””””””””””
મરશિયાં, કરુણપ્રશસ્તિ અને મૃત્યુ વિષયક કાવ્યો  /અરવિંદ બારોટ
~~~~~~~~~~~~~~~~~
કોઈ પણ બહાને લોકસમાજે જીવનને રસમય બનાવવાની  મથામણ કરી છે.સામાજિક કે ધાર્મિક અવસરને શણગારવા માટે ગીત અને નૃત્ય તો કંઠવગાં અને અંગવગાં જ હોય છે.જન્મથી મરણ સુધી, હાલરડાંથી મરશિયાં સુધી,ગળથૂથીથી ગંગજળ સુધી સૂર અને શબ્દના આધારે આનંદ અને આઘાતને ઝીરવ્યા છે.
જીવનમાં ભલે અવનવા રંગો ઊઘડતા હોય; પણ, લોકસમાજે મૃત્યુના કાળા રંગને પણ સ્વીકાર્યો છે..એમાંથી જ સ્વજનના મૃત્યુ વખતના રુદન સાથે વિલાપના સૂર પ્રગટ્યા. પ્રિયજનના વિરહના તીવ્ર સંવેદનો વ્યક્ત કરવા સહજ શબ્દો કંઠે ચડ્યા, અને કલ્પાંતના ઘેરા પ્રલંબ સૂર સાથે ઘૂંટાયાં, એ મરશિયાં…
અચાનક કોઇ ઘરમાંથી પ્રાણપોક મૂકાય… 
ધડાપીટ બોલે અને આખી શેરીને ધ્રાસકો પડે. કોઇના કંધોતરની અણધારી વિદાયથી આખા ગામમાં સૂનકાર ફરી વળે. કોઇનો પતિ, કોઇનો દીકરો, કોઇનો ભાઇ,કોઇનો પિતા….ખોળિયું છોડીને, પત્ની, બાળકો, મા-બાપ,ભાઇ-બહેન, ઘર-બાર ..બધું છોડીને ,આ જગ છોડીને જાય છે..ને સર્જાય છે એક ખાલીપો. આઘાત અને વલોપાતમાંથી નિપજે છે આંસુ, હીબકાં અને ધ્રૂસકાં.. વેદના ઘૂંટાય છે..છાતી ફાટે છે…અને રૂદનના પ્રલંબ સૂરમાં વેણ ભળે છે… મરનારને સંભારી-સંભારીને મરશિયાં ગવાય છે.
એ…ઘરનો મોભ ખડેડ્યો..
એ…અમે ઉઘાડાં થઇ ગ્યાં…
એ…મારા ચૂડલાનો શણગાર નંદવાઇ ગ્યો…
એ…મારા સેંથો ને ચાંદલો રોળાઇ ગ્યા…
એ… અમને નોધારાં ને નિમાણાં મેલીને હાલી નીકળ્યા..
એ..અમને ઓશિયાળાં ને અણોહરાં કીધાં…
એ…તમે અણધાર્યા પરિયાણ કર્યા..
એ…અમને છેતરીને છેટાં કીધાં…
એ…કૂણી કાતળિયે ઘા પડ્યા..
જેમજેમ દુઃખ વલોવાતું જાય એમ આ વિલાપગાન વધુ વેધક થતું જાય છે. ચોધાર વહેતા આંસુથી ઘૂમટો પલળી જાય છે.પથ્થર પણ પીગળી જાય એવી ઘેરી કરૂણતા સર્જાય છે.
માનવીના જીવનમાં પ્રથમ સૂર હાલરડાનો અને અંતિમ સૂર મરશિયાનો હોય છે… અને આ બન્ને નારીના કંઠેથી નીતરે છે.
આ ‘મરશિયા’શબ્દ અરબી ભાષામાંથી આવ્યો છે.
અરબી ભાષામાં मरसी એટલે વિલાપ કરવો. मर्सिय: >मर्सिया > મરશિયાં  અર્થાત્ મરનાર માણસની પ્રશસ્તિ.(દૂરના ભૂતકાળમાં આરબો સાથેના વ્યપાપાર-વ્યવહારના કારણે અરબી ભાષાના ઘણા શબ્દો આપણી ભાષામાં ઉતર્યા છે)
સ્વજનના મૃત્યુ પછી દુઃખ અને આઘાતથી હૈયું વ્યાકુળ થાય છે, દ્રવિત થાય છે. મૃત સ્વજનના ગુણોનું સ્મરણ થાય છે. અંતરનો શોક શબ્દોમાં વ્યક્ત થાય છે.આ અભિવ્યક્તિ માટે  અંગ્રેજી સાહિત્યમાં (Elegy)એલેજી નામનો કાવ્યપ્રકાર છે.સોળમી સદીમાં ઈંગ્લેંડમાં મૃત્યુગીતો અને શોકગીતો તરીકે ‘એલેજી’નો પ્રયોગ શરૂ થયો. ગુજરાતીમાં ચિંતનમિશ્ર શોકગીતોનો પ્રયોગ પણ અંગ્રેજી સાહિત્યના સંપર્કને કારણે થયેલો જણાય છે.અંગ્રેજીમાં જેને ‘એલેજી’ કહે છે તે કાવ્યપ્રકાર માટે ઈ.સ. ૧૯૧૫માં આનંદશંકર ધ્રુવે ગુજરાતીમાં ‘મરણનિમિત્તક કરુણપ્રશસ્તિ’ અથવા ટૂંકમાં ‘ કરુણપ્રશસ્તિ’ એવું નામ આપ્યું હતું.એવું ધીરુભાઈ ઠાકરે ‘કરુણપ્રશસ્તિ કાવ્યો’ના ઉપોદ્ઘાતમાં નોંધ્યું છે.
મિલ્ટન અને ટેનિસનના મિત્રવિરહમાંથી નિપજેલા  ‘લિસિડાસ’ અને ‘ઇન મેમોરિયમ’ ઘણા વિખ્યાત છે.
દલપતરામનું ‘ફાર્બસવિરહ’ પણ આવી જ કરૂણપ્રશસ્તિ છે.ન્હાનાલાલનું ‘પિતૃતર્પણ’ અને  નરસિંહરાવનું ‘ સ્મરણસંહિતા’ ઉપરાંત ‘ઉશનસ્’નાં સોનેટ્સ કરૂણપ્રશસ્તિનાં ઉલ્લેખનીય ઉદાહરણો  છે. સુંદરજી બેટાઈ રચિત  ‘સદગત ચંદ્રશીલાને’ શોકપ્રશસ્તિની એક નોંધપાત્ર રચના છે.પત્નીના અવસાન પછી આ દીર્ઘ શોકપ્રશસ્તિ રચાયેલી(૧૯૫૯).
૩૬ વર્ષના દામ્પત્યજીવનની  કેટલીયે મધુર ક્ષણોનું ઘણી વિશદતાથી નિરૂપણ થયેલું છે. સપ્રમાણ નવનવ ભાગોમાં વિવિધ છંદો, સુઘડ ભાષાકર્મ, સૂક્ષ્મ અને તીવ્ર  ભાવાભિવ્યક્તિ અને સંયમિત આર્દ્રતાના કારણે ગુજરાતી સાહિત્યમાં ‘કરુણપ્રશસ્તિ’ની આ એક નોંધપાત્ર કૃતિ ગણાય છે.
ઝવેરચંદ મેઘાણીની જાણીતી કૃતિઓ ‘ કોઇનો લાડકવાયો’, સૂના સમદરની પાળે’, ‘ફૂલમાળ’ મૃત્યુની છાંયા અને ઘેરી કરૂણતાને લીધે હૃદયને સ્પર્શે છે. 
લોકપરંપરાનાં ‘રોણાં’માં-મરશિયામાં શીઘ્ર રચના થતી હોય છે. લાંબા ઢાળે ગવાતા ‘વેણ’ની લઢણ દુહાના સ્વરૂપની નજીક હોય છે.
મરશિયામાં એકલપંડ્યે ગવાતા શબ્દોના ઝૂમખાં કે પંક્તિઓ હોય છે. જ્યારે લાંબી-ટૂંકી સળંગ રચના એ રાજિયાનું સ્વરૂપ છે. મોટા ભાગે પૂર્વરચિત હોય છે.
ફળિયામાં, શેરીમાં કે ચોકમાં કુંડાળે વળીને છાતી કૂટતાં કૂટતાં ‘ છાજિયા’ લેવાય છે.એક સ્ત્રી ગાય છે અને બાકીની સ્ત્રીઓ ‘ હાય હાય… વૉય વૉય ‘ શબ્દોથી ઝીલે છે.
નાના બાળકનું મરશિયું-
અરેરે…ઊગ્યો એવો આથમ્યો…
અરેરે…છોડવો મોર્યો એવો કરમાણો..
૦૦
નાના બાળકના છાજિયા-
રત્નાકર ઘેર્યો રે, હાય ધાવણા હાય !
માંય રતન તણાતાં રે, હાય ધાવણા હાય !
ઘેર દોશીડો આવે રે, હાય ધાવણા હાય !
ઇ તો આંગલા-ટોપી લાવે રે, હાય ધાવણા હાય !
ઘેર સોનીડો આવે રે, હાય ધાવણા હાય !
ઇ તો કંદોરો લાવે રે, હાય ધાવણા હાય !
૦૦૦
બચરવાળ યુવતીનાં છાજિયા
હાય હાય રે, કૂવામાં ઢેલ વિંયાણી..
હાય હાય રે, ઢેલને ચાર બચળાં..
હાય હાય રે, બચળાં કોણ ધવરાવશે ?
૦૦૦૦
દીકરીનું મરશિયું
ખળખળિયું ખોવાઇ ગ્યું, મનનું માદળિયું;
આ શિર પર તે સરિયું, વળીયું વાદળિયું.
પ્રિયજનના મૃત્યુના શોકને વ્યક્ત કરવામાં ન આવે તો આઘાત અસહ્ય બની જાય છે. છાતીમાં ભરાયેલા ડૂમાને રૂદનથી-વિલાપના શબ્દોથી બહાર કાઢવો જરૂરી છે.
જૂના સમયમાં રાજપરિવારો અને ગિરાસદારોમાં મરણ પ્રસંગે ધંધાર્થી મરશિયાં ગાનારી મીરાણીઓ, લંઘણો કે ખવાસણોને ખાસ બોલાવવામાં આવતી. યુરોપમાં પણ આવી વ્યાવસાયિક ‘રૂદાલીઓ’ હતી એવું મેઘાણીભાઇએ નોંધ્યું છે.
૦૦૦
મરશિયાના કાળજું વીંધી નાખે એવા વેણ જ્યારે ઘૂંટાયેલા લાંબા સાદે ગવાય ત્યારે સાંભળનારને પણ મરવાનું મન થાય.પોતાનાં મરશિયાં સાંભળવાના કોડ થાય એવી લોકકથાઓ પણ આપણે ત્યાં છે.
દાયકાઓ કે સૈકાઓ પહેલાં થઇ ગયેલા કોઇ અજાણ્યા નરબંકાને યાદ કરીને નાનકડી કન્યાઓ વરસોવરસ મરશિયાં ગાતી હોય એવી એક દંતકથા છે દેદાની.
દેદો
લોકજીવનના રીત-રિવાજો, પ્રથાઓ અને પરંપરાઓ, માન્યતાઓ કે વરત-વરતોલાં નિરર્થક નથી હોતા. એમાં પ્રકૃતિ સાથેનો તાલમેલ અને સામાજિક અનુસંધાન અને  ગોઠવણ હોય છે. 
અષાઢ સુદ અગિયારસથી પૂનમ એટલે ગૌરીવ્રત-ગોર્ય-અલૂણાવ્રત એટલે કે મોળાકત. નાનકડી કન્યાઓનું વ્રત.પાંચ દિવસ મીઠા વગરનું મોળું ખાય. પૂનમની રાતનું  જાગરણ કરે..
જાગરણમાં કન્યાઓ  ‘દેદો’ કૂટે છે. દેદા નામના કોઇ શૂરવીરને યાદ કરીને દેદાના રાજિયા ગાય છે. છાજિયા કૂટે છે.
એકલે હાથે લડીને,પોતાના પ્રાણની આહૂતિ આપીને કુંવારા દેદાએ ચાલીસ કન્યાઓને મુસ્લિમ સુબાના સકંજામાંથી છોડાવેલી.એ ઋણ યાદ કરીને કન્યાઓ દેદાના મરશિયાં ગાય છે.
દેદાનો રાજિયો
દેદો પીઠી ભરેલો લાડડો રે,
દેદાને જમણે હાથે મીંઢોળ..
દેદો મરાણો લાઠીના ચોકમાં રે.
દેદાને માથે છે કેસરી પાઘડી રે,
દેદાને ખંભે ખંતીલો ખેસ..
દેદો મરાણો લાઠીના ચોકમાં રે.
દેદાને રોજી ઘોડી છે રાંગમાં રે,
દેદાને જમણે હાથે તલવાર..
દેદો મરાણો લાઠીના ચોકમાં રે.
૦૦
દેદાના છાજિયા
દેદો કૂટ્યો,     હાય હાય..
કોણે માર્યો,    હાય હાય..
લીળનો લાડો,હાય હાય..
મીંઢળબંધો,   હાય હાય..
દેદો કોણ હતો ? ક્યાંનો હતો એના ઐતિહાસિક તથ્યો  કરતાં વધારે મહત્વની વાત એ છે કે દૂરના ભૂતકાળમાં બનેલી ઘટનાનો તંતુ કેટલીયે પેઢીની કન્યાઓએ પકડી રાખ્યો છે.આ પરંપરાનું સામાજિક મૂલ્ય પણ છે.આપ્તજનના મૃત્યુ વખતે મરશિયા અને છાજિયા કૂટવાની નાની દીકરીઓને તાલીમ મળે છે.આ જ તો લોકજીવનની જીવંત પાઠશાળા છે.મોં વાળતાં શીખે છે. ‘લવો’ વાળતાં ( વિલાપના વેણ બોલતાં) શીખે છે. રૂદનની કળા શીખે છે.
મરશિયાની મોજ
કોઇ લગ્નગીત સારાં ગાતું હોય, કોઇ રાસડાની જમાવટ કરતું હોય, કોઇને ભજનની ફાવટ હોય, કોઈ ધોળ-કીર્તનમાં પાવરધું હોય, પણ નાગાજણ ગઢવીની ઘરવાળીને રોવાનો કસબ હાથ બેસી ગયેલો.એ જ્યારે કોઈના મરણ ટાણે મરશિયાં ગાય ત્યારે ઝાડવાં રોવરાવે..એવું એનું કલ્પાંત… એવાં એનાં વેણ…
ગામલોકો કાયમ નાગાજણને કહેતા કે નાગાજણ તું મરીશ ત્યારે તારી ઘરવાળી કાંઇ મણા નહીં રાખે..તે દી તો પાણા ફાટી પડશે..
અને નાગાજણને જીવતેજીવ પોતાનાં મરશિયાં સાંભળવાનું મન થયું. એ  માટે નાગાજણે પોતાના મરણના ખોટાં સમાચાર મોકલીને સંતાઇને મરશિયાંની મોજ માણી. અને તે દી વગર વરસાદે નેવાં નીતરેલાં.જડ-ચેતન રોયેલાં. પણ નાગાજણને એ મોજ બહુ મોંઘી પડેલી. 
“ચારણ ! મેં તારા મરશિયાં ગાયાં.તને મૂઓ ભણ્યો.. તું હવે મડું ગણાય…અને મડાનું મોઢું નો જોવાય..તું જતો રે’ ચારણ !” 
અને એ ચારણ્યે આખું આયખું પતિનું મોઢું ન જોયું.
( ‘મરશિયાની મોજ’, સૌરાષ્ટ્રની રસધાર ભાગ-૪, ઝવેરચંદ મેઘાણી)
પરંપરાગત મરશિયાં, રાજિયા અને છાજિયા લોકની વેદનાના  ઉદગાર છે.સ્વજનના મૃત્યુના આઘાતને ગાઈને હળવો કરનારા શોકોદ્ગાર છે.તો કોઇ સ્વજન , કોઇ વીર , કોઇ આત્મીય મિત્રના શોકમાં કે પછી વિરહમાં ઝૂરતાં પાત્રોના વલોપાતને લોકવિઓએ દુહા, ગીત કે છંદમાં ઉતાર્યા છે. અને લોકકંઠે એને ઝીલ્યા છે.
હમીરજી ગોહિલ
દરિયા જેવડી સેના લઈને ઝફરખાન  સોમનાથનું મંદિર તોડવા આવે છે એવા વાવડ મળતાં અરઠિલાના ભીમજી ગોહિલનો નાનેરો કુંવર હમીરજી  પોતાના બસો જેટલા લવરમૂછિયા ભેરુબંધોને લઇને સોમનાથની સખાતે ઉપડ્યો. રસ્તામાં ગીરની ઘાટી વનરાઇમાં રાતવાસો કર્યો. રાતના બીજા પહોરે કોઇ રૂદન સાથે ગાતું હોય એવું સંભળાયું. હમીરજીએ એ દિશામાં પગલાં માંડ્યાં. એક ઝૂંપડામાં એક ચારણ્ય આઈ પોતાના દિવંગત દીકરાને યાદ કરીને મરશિયાં ગાતાં હતાં.
” આઈ ! હું મરવા જાઉં છું. સોમનાથ દાદાને મારું શિર ધરવા જાઉં છું. મરતાં પહેલાં તમારા કંઠે મારાં મરશિયાં સાંભળવાની હોંશ છે… ગાશો ?
” અરે, દીકરા ! તું તો લીલો છોડવો…તારા જીવતાના મરશિયાં મારે કેમ ગાવાં ?”
” તો આઇ..! મારી અંતવેળાએ મને મરશિયાં સંભળાવશો ?”
” ભલે, દીકરા..!”
અને આઈએ વચન નિભાવેલું.
એ પ્રસંગના મરશિયા દુહા ઘણા પ્રચલિત છે.
૦૦
વન કાંટાળાં, વીર ! જીવીને જોવા રિયાં,
એવો આંબો અળવ, હમીર ! ભાંગ્યો મોરીને ભીમાઉત.
પાટણ આવ્યાં પૂર, ખળહળતા ખાંડા તણાં;
શેલ્યો માહીં તું શૂર, ભેંસાસૂર શો ભીમાઉત.
રતન ગિયું રોળ..
જેતપુરને પાદર વહેતી ભાદર નદીમાં માલધારી ચારણની પત્ની તણાઇ જાય છે. ચારણ્યના વિજોગમાં ચિત્તભ્રમ થયેલા ચારણનાં મરશિયાં સાંભળીને જેતપુરના રાજા પોરહા વાળાનું કાળજું ચિરાય છે. કોઇ લોકકવિએ રચેલા આ મરશિયા દુહા લોકસાહિત્યમાં નોખી ભાત પાડે છે.
૦૦
હુતું તે હરાવિયો, ખજીનો બેઠો ખોઇ;
કામણગારું કોઇ, પાદર તમાણું, પોરહા !
હતી કામણની કોર, છેડેથી છૂટી ગઇ;
મારું રતન ગિયું રોળ, પાદર તમાણે, પોરહા !
તરિયા ગઈ , તૃષ્ણા રહી, હૈયું હાલકલોલ;
રતન ગિયું રોળ, પાદર તારે પોરહા !
તરસ્યા જાઇં તળાવ, સરોવર સૂકે ગિયાં;
અગનિ કિં ઓલાય, પાણી વિનાની, પોરહા !
ચેલૈયો
અતિથિ થયેલા અઘોરી સાધુની હઠના કારણે વહાલસોયા દીકરાનું માથું ખાંડણિયામાં ખાંડવા માટે ચંગાવતી અને સગાળશા તૈયાર થયા છે. શણગાર સજીને, હસતા મુખે , હાલરડું ગાતાં-ગાતાં લાડકવાયાનું મસ્તક ખાંડે છે એટલે એ ‘ચેલૈયાનું હાલરડું’ કહેવાય છે. પણ છે તો વિલાપ અને આક્રંદનાં સૂર. એ રીતે આ ‘ચેલૈયાનું મરશિયું’ છે. ધર્મના નામે ચડેલી એક ઘાતકી ઘટનાનું આ ગીત એની કરૂણતાને કારણે ઘણું લોકપ્રિય છે.
૦૦
મેં તો માર્યો છે કળાયલ મોર, કુંવર ચેલૈયા !
ચેલૈયા રે, કુંવર ! ખમ્મા ખમ્મા તુંને
મારે હાલરડે પડી હડતાળ, કુંવર ચેલૈયા !
ચેલૈયા રે, કુંવર ! ખમ્મા ખમ્મા તુંને..
અમે જાણ્યું ચેલૈયાને પરણાવશું, અને જાડેરી જોડશું જાન;
ઓચિંતાના મરણ આવિયાં,એને સરગેથી ઊતર્યાં વેમાન- કુંવર ચેલૈયા…
વળી નમે તો ભલે નમે, તું કાં નમ્ય ઘરના મોભ ?
જેના કંધોતર ઊઠી ગિયા, એને જનમો-જનમના સોગ-કુંવર ચેલૈયા..
લોકગીતોમાં વિલાપના સૂર
લોકગીતોમાં હરખ પણ ગવાય છે, શોક પણ. હાલરડાં છે, લગ્નગીતો છે..તો મરશિયાં પણ છે. રાસડાની તાળી છે તો છાતીને લોહીલુહાણ કરતી -છાજિયા કૂટતી હથેળી પણ છે. આભલાં ભરેલો કમખો ને ચોખલિયાળી ચૂંદડી છે તો શોકનાં કાળાં મલીર પણ છે.
કવળાં સાસરિયાં, પાતળી પરમાર્ય, જળદેવતાને બલિદાન(માધાવાવ), હાજી કાસમની વીજળી , નગર સાસરે – જેવાં કેટલાંય ગીતોમાં મૃત્યુ પછીનું ક્રંદન છે. ગામડે-ગામડે રાવણહથ્થો વગાડતા ભરથરી-નાથબાવા અને તૂરીઓએ રચેલાં અને ગાયેલા અનેક કથાગીતો તેમજ બહારવટિયાઓની ‘કરૂણપ્રશસ્તિઓ’ આજે પણ ગવાય છે.
ઉત્તરા-અભિમન્યુ
પરંપરાગત મૃત્યુગીતોમાં પૌરાણિક કથાનકો પણ ગવાય છે .એમાં અભિમન્યુ અને ઉત્તરાની કથાના રાજિયા નોંધનીય છે.
મને મારીને રથડા ખેલ રે, બાળારાજા !
કે મેં તો ધાવતાં બાળ વછોડ્યાં રે, બાળારાજા !
કે મને તેનાં તે પ્રાછત લાગ્યાં રે, બાળારાજા
કે મેં તો છાણે છાણું ભાંગ્યું રે, બાળારાજા !
કે મને તેનાં તે પ્રાછત લાગ્યાં રે, બાળારાજા
કે મેં તો દીવે દીવો કીધો રે, બાળારાજા !
કે મને તેનાં તે પ્રાછત લાગ્યાં રે, બાળારાજા !
કે હું તો પગ રે પાનીએ ધોતી રે, બાળારાજા !
કે મને તેનાં તે પ્રાછત લાગ્યાં રે, બાળારાજા !
કે મેં તો વહેતી નીકે પગ દીધા રે, બાળારાજા !
કે મને તેનાં તે પ્રાછત લાગ્યાં રે, બાળારાજા !
૦૦
અભિમન્યુનો રાજિયો
અભેવન ચડ્યો રણવાટ રે, ઓતરાને તેડાં મોકલ્યાં :
ગયા દોશીડાને હાટ રે, ઘરચોળાં વસાવે મોંઘા મૂલનાં :
આપ્યાં ઓતરાને હાથ રે,ઓતરા હોંશીલીને પહેરવા:
પહેર્યાં છે વાર-તહેવાર રે, જેવાં પહેર્યાં તેવાં ઉતર્યાં:
લોકસાહિત્યના મોંઘેરા મોતી જેવા
મરશિયા દુહા
આંબેથી ઉડેલ, બાવળ મન બેસે નહીં;
ચંદનવન ચૂકેલ, વન કોઈ વિસામો નહીં.
લાગેલ હત જો લા’, આડા પડીને ઓલવત;
પણ દલડે લાગ્યો દા , હડેડ્યો ડુંગર હેમિયા.
ગર્ય સળગી ગજબ થિયો, સળગ્યાં સાતે વન;
લાખું બાળ્યાં લાકડાં, બથું ભરીને બાનરા.
કાપડ ફાટ્યું હોય તો, તાણો લઈને તૂણીએ;
કાળજ ફાટ્યું હોય, સાંધો ન મળે સુરના.
સિંદોર ચડાવે સગાં, દીવો ને નાળિયેર દોય;
લોડણ ચડાવે લોય, તારી ખાંભી માથે ખીમરા .
ભરદરિયે કોઇ વહાણ, ભેડાનું ભાંગી ગિયું;
પંડ્ય થિયાં પાખાણ, રસ ગ્યો, રેશમિયા !
મળશું મેળે-ખેળે, મળશું ગામ ગિયાં;
એ સજણ નહીં સાંપડે, જે ધરતી ઢંક થિયાં.
તારી કવિતા તણાં, જેણે પીધેલ હોય પાણી;
એને લાખું સરોવર લાગિયાં, મોળાં મેઘાણી.
(કવિ કાગ)
લેખક સઘળા લોકની, ટાંકું તોળાણી,
તે દી વધી તોલે વાણિયા, તારી લેખણ મેઘાણી.
(કવિ કાગ)
સંસ્કૃત સાહિત્ય અને મરશિયાં
સંસ્કૃત સાહિત્યમાં સ્વજનના મૃત્યુ પછીના  આવા શોકોદ્ગારો ‘વિલાપ’ નામથી ઓળખાય છે. કવિ કાલિદાસ કૃત ‘કુમારસંભવ’માં શિવના ત્રીજા નેત્રથી બળીને ભસ્મ થયેલા કામદેવ પાછળ રતિનો વિલાપ ઘણો જ હૃદયદ્રાવક છે.
રતિવિલાપ
” તમારી આવી દશા છતાં હું ફાટી પડતી નથી ! કેવી કઠોર હોય છે સ્ત્રીઓ..!”
न विदीर्ये कठिना: खलु स्त्रिय: |
(कुमारसंभव ४/५)
“મારું જીવન તમને સમર્પિત હતું, છતાં પળવારમાં બંધન તોડીને તમે અદૃશ્ય થઇ ગયા..?જળનો ધસમસતો પ્રવાહ કમળવેલીને તોડીને વહી જાય તેમ મને સાવ અનાથ કરી મૂકી ? મારો અપરાધ શું ?”
૦૦
અજવિલાપ
નગરના ઉપવનમાં રાજા અજ અને રાણી ઈન્દુમતી વિહાર કરી રહ્યાં છે. એ વખતે દેવર્ષિ નારદ આકાશમાર્ગે પસાર થયા. નારદની વીણાના અગ્રભાગે દૈવી પુષ્પોથી ગૂંથેલી માળા હતી તે પવનના વેગને કારણે  ઇન્દુમતીના વક્ષ:સ્થળ પર પડી. ઇન્દુમતીનું મૃત્યુ થયું. પ્રિયતમાના મૃત્યુના શોકથી રાજા અજ વિલાપ કરવા લાગ્યા.
‘ રાત્રિ પુનઃ ચન્દ્રને મળે છે. ચક્રવાકી ચક્રવાકને મળે છે. અને એટલે જ એ બે તો વિરહ ખમી શકે છે. પણ તું તો હમેશ માટે ચાલી ગઈ. આ મારાથી કેમ સહેવાશે ?
(રઘુવંશ ૮/૫૬)
गृहिणी सचिव: सखी मिथ: प्रियशिष्या ललिते कालविधौ |
करुणाविमुखेन मृत्युना हरता त्वां वद किं न मे हृतम ||
(रघुवंश ८/६७)
(તું મારી ગૃહિણી, મંત્રી, એકાંતમાં સખી, લલિત કલાવિધિમાં પ્રિય શિષ્યા હતી.ઘાતકી મૃત્યુએ તને એકલીને હરી નથી.તને હરીને, મારું કહે, શું શું નથી હરી લીધું ?)
૦૦૦
મંદોદરીવિલાપ
(તુલસીદાસ, રામચરિત માનસ, લંકાકાંડ)
तव बल नाथ डोल नित धरनी |
तेज हीन पावक ससि तरनी ||
सेष कमठ सही सकहीँ न भारा |
सा तनु भूमि परेउ भरी छारा ||३||
હે નાથ ! તમારા બળથી પૃથ્વી કાંપતી રહેતી. અગ્નિ, ચંદ્ર અને સૂર્ય તમારી સામે તેજવિહીન લાગતા. શેષ અને કચ્છપ પણ જેનો ભાર સહન ન કરી શકતા એ જ તમારું શરીર આજ ધૂળમાં પડ્યું છે.
૦૦૦૦
મદાલસા આખ્યાનમાં સતી મદાલસાના વિરહમાં રાજા ઋતુધ્વજનો વિલાપ પણ જાણીતો છે.
આધુનિક કવિતામાં મરશિયાં અને મૃત્યુ વિષયક સંવેદનો 
મડદું, મસાણ અને મરશિયાની નજીક જવામાં સહેજે ખચકાટ થાય  એટલે કદાચ આધુનિક સર્જકો દ્વારા મરશિયાં ઓછાં લખાયાં છે.પણ, જેટલાં લખાયાં છે  એમાં પરંપરાગત સ્વરૂપ નું પોત અને કાવ્યત્વ  સારી રીતે પ્રગટે છે.
મારા ધ્યાનમાં થોડાં આવ્યા છે.
રમેશ પારેખ
કાંધ રે દીધી ને દેન દીધાં રે, સોનલદે !
પોઢણાં દીધાં રે તમને રાખનાં હોજી.
આ  ઉપરાંત ‘રાણી સોનલદેનું મરશિયું’ ધ્યાનાહાર્ય છે. 
‘લાખા સરખી વારતા’  એ દીર્ઘકાવ્યનો એક અંશ જુઓ:
°
વીર કાચી રે કરચથી કપાણો, હાય હાય !
વીર ઊભી રે બજારમાં મરાણો, હાય હાય !
વીર વંશ રે પુરુષ કેરો બેટો, હાય હાય !
વીર હાથપગધડનો ત્રિભેટો, હાય હાય !
વીર કાગળ-પતરમાં લખાશે, હાય હાય !
વીર વારતામાં ફૂલડે ગૂંથાશે, હાય હાય !
°°
વીર અડધો મર્યો ને આખો પાળિયો ખોડાય.
વીર અડધો મર્યો ને આખી ચૂડિયું ફોડાય.
વીર અડધો મર્યો ને આખી છાતીયું કૂટાય.
વીર અડધો મર્યો ને આખી છાવણી રંડાય.
◆ 
માધવ રામાનુજ
હળવા તે હાથે ઉપાડજો, અમે કોમળ કોમળ
સાથરે ફૂલડાં ઢાળજો, અમે કોમળ કોમળ..
આયખાની આ કાંટયમાં રે અમે અડવાણે પગ,
રૂંવે રૂંવે કાંટા ઊગિયા રે, અમને રૂંધ્યા રગેરગ,
ઊનાં તે પાણીડે ઝારજો, અમે કોમળ કોમળ..
ખેપનો થાક ઉતારજો, અમે કોમળ કોમળ..
રાવજી પટેલ 
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો, વીરા ! શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
સંજુ વાળા
સૂમસામ સન્નાટો પહેરી લખલખવું ચોધાર: બલમજી
શ્વેત ધુમાડો ઓઢી ઊજવું ફળફળતો તહેવાર: બલમજી
ખરેડે ઘરના ટોડલા, ખરતાં મેડી-માઢ;
રે કડકડતી ટાઢ, ખમવી કિયા ખંતથી ?
પેલ્લી મારી રાતી ચટ્ટક ચૂંદલડી અંગાર: બલમજી
સેંથીમાં ખાલીપે ફૂટી તીક્ષ્ણ ચળકતી ધાર: બલમજી
અરવિંદ બારોટ 
મોભીનું  મરશિયું
ચાંદલે- ચૂડલે ચોર પડ્યા, હાય રામ ! 
મોટા ઘરના મોભ ખડ્યા , હાય રામ !
ઢળ્યા ઢોલિયે  ધાડ પડી, હાય રામ ! 
વાડી  માથે   વીજ  પડી, હાય રામ ! 
જોરાવર   જોધાર  પડ્યા, હાય રામ ! 
પલંગમાં   પોકાર  પડ્યા,  હાય રામ ! 
કૂણી કાતળિયે વાઢ પડ્યા,હાય રામ !
મેડીબંધા    માઢ    પડ્યા, હાય રામ ! 
તડકે  મેલી  તેલ  છાંટ્યાં, હાય રામ ! 
પાઘડિયાળાં ચીર  ફાટ્યાં, હાય રામ !
માથાં વાઢી ધડ રખડાવ્યાં, હાય રામ !
અંતરિયાળાં કાં રઝળાવ્યાં, હાચ રામ !
કૂવે  ઉતારી  વરત વાઢ્યાં, હાય રામ ! 
પગલે પગલે થોર ઉગાડ્યા,હાય રામ ! 
શગે  બળતા  દીવા  ઠાર્યા, હાય રામ !
ટહુકા  કરતા   મોર   માર્યા, હાય રામ !
પારૂલ ખખ્ખર
ગુલમહોરનું મરશિયું
ફટ રે મૂવા કાળ, અરે તે ઝાડને માર્યું !
ફટ રે કાયર , મારી મારી ને ઝાડને માર્યું !
હાય..રે મારી રંગભરી મોલાતને મારી,
હાય..રે મારા છાંયડાની સોગાતને મારી,
હાય..રે મારી રાત,
મારી વાત
મારી આખેઆખી જાતને મારી !
નેહા પુરોહિત
માતા કુંતાના મુખે અભિમન્યુનું મરશિયું
હાય રે, મારાં પેટ ! તું રણે હાય રોળાણો,
હાય રે, મારાં પેટ ! તું ખાંભી થઈ ખોડાણો.
હાય રે, મારા બાળ !તું મારી આંખનું રતન
રાખડી બાંધી  તોય ના થયું જીવનું જતન
હાય રે, તને હણનારા પર કાળ ઝળૂંબે,
હાય રે, એને જળનું ટીપું એક ન પૂગે. 
હાય રે, તારું શોણ પીધેલી ભોમકા લાજો !
હાય રે, એની કૂખ ભવોભવ વાંઝણી થાજો !
હાય રે, એનાં થાન વસૂકે આગ ભભૂકે,
હાય રે, એને આભ કદી વાદળ ન ઝૂકે.
રાહુલ તૂરી
પાનેતરનું થયું અચાનક મોત, 
કે માથે થોપી દીધો પોથ,
રહી ના કોઈ દિશાની ઓથ…
હુંશીલા હાય હાય…
મૂકી ચાલ્યા હાય નોઁધારા,
પૂગ્યા છેક તમે પરબારા,
આંખે આંસુડાંની ધારા,
ભરિયા સાત સમંદર ખારા..
ટાઢી થઇ ગઇ ઝળહળ જ્યોત…
છોગાળા હાય હાય..
તમ વિણ કેમ કરી રહેવાશે ?
મનખો કેમ કરીને જાશે..?
ઘરની દિવાલો પડઘાશે,
સઘળું મુજથી ના સહેવાશે..
જીવતર ફાટી ગ્યેલું પોત…
છબીલા હાય હાય…
મરશિયા, રાજિયા કે છાજિયામાં તો વિલાપ હોય, આક્રંદ હોય. પણ રાવજી પટેલે ચીલો ચાતરીને એક દંભી, લોભી,કુટિલ, લંપટ અને મિથ્યાભિમાની પાત્ર હુંશીલાલની ટીખળમાં મરશિયાના સ્વરૂપની રચના કરી છે. કરૂણ જ્યારે વિકૃત થાય ત્યારે હાસ્યમાં પરિણમે એ વાતનું આ સરસ ઉદાહરણ છે.
રાવજી પટેલ
સ્વ. હુંશીલાલની યાદમાં
છાજિયા
હાય હુંશીલાલ વટનો કટકો
હાય હુંશીલાલ નરદમ કડકો
હાય હુંશીલાલ ગામનો પાડો
હાય હુંશીલાલ આંખ ઉઘાડો
હાય હુંશીલાલ અમને વરતો
હાય હુંશીલાલ હમ્બો હમ્બો
લાગણી અને મમતાથી બંધાયેલા માનવીને આપ્તજનના મરણનું દુઃખ અસહ્ય લાગે છે. આઘાતના કારણ ચિત્તતંત્ર હચમચી જાય છે. હૈયા પર આકરો બોજ વરતાય છે. જીવવું વસમું થઇ પડે છે. ત્યારે રૂદન કરીને હૈયું ખાલી કરવું જરૂરી છે. મરશિયાના સૂર અને શબ્દોથી સંવેદના પ્રવાહિત થાય છે. ડૂમો ઓગળે છે.અને વાસ્તવિકતાના સ્વીકારની ભૂમિકા રચાય છે.
મરશિયા હવે લુપ્ત થવાના આરે છે. મમત્વ હોય એટલે પીડા હોય જ.
આવનારા સમયમાં વેદના અને વલોપાત હશે, પણ વહેવા માટે ‘વેણ’ નહીં હોય.
કલ્પાંત હશે, એની કલા નહીં હોય…
સંદર્ભ:
લોકસાહિત્યનું સમાલોચન -ઝવેરચંદ મેઘાણી
સૌરાષ્ટ્રની રસધાર,ભાગ ૪,૫ -ઝવેરચંદ મેઘાણી
રઢિયાળી રાત, ભાગ ૧,૨,૩- ઝવેરચંદ મેઘાણી
યુગવંદના-ઝવેરચંદ મેઘાણી
કાગવાણી ભાગ ૩-કવિ દુલા ભાયા કાગ
કરુણપ્રશસ્તિ કાવ્યો-સં: ધીરુભાઈ ઠાકર
પરબ – નવેમ્બર, ૨૦૧૬
कुमारसम्भव-कवि कालिदास
रघुवंश- कवि कालिदास
रामचरितमानस -तुलसीदास
उर्दू-हिंदी शब्दकोश-सं:डॉ.सच्चिदानंद शुक्ल/ ज़हिर हसन कुद्दूसी.

One comment on “મરશિયાં

  1. I do not even know how I finished up right here, but I thought this submit
    was great. I do not know who you are however certainly you are
    going to a well-known blogger in case you aren’t already 😉 Cheers!

    Liked by 1 person

Leave a comment