Ashavaad

Today’s article in phulchhab newspaper:

​આશાવાદઃ

પાંદડે પાંદડે રોજ હું ખીલતી,

વાયરા છે વસંતના બધાં મુજમાં.

-જીજ્ઞા મહેતા.

ઠંડી પૂરબહારમાં હતી પણ એક મધ્યમવર્ગી પરિવારના ડ્રોઈંગરુમમાં  ઘરના પાંચ સદસ્યો ના શ્વાસોછ્વાસ ની હરફરથી વાતાવરણ પ્રમાણમાં હુંફાળું હતું. હા, ઘરના બધા દરવાજા જે કાયમ ખુલ્લાં રહેવાની ટેવ ધરાવતા હતાં એ બધા સાવચેતીના પગલાંરુપે બંધ જરુર રખાયેલા અને એથી કાયમ ઘરમાં ફેલાઈને પડ્યા પાથર્યા રહેનારા  સૂરજદાદાનો તડકો  આ ઘરમાં પ્રવેશી નહતો શકતો. પણ ઘરના સદસ્ય પોતપોતાના કામમાં એટલા બીઝી હતાં કે આ તડકાંની ગેરહાજરીની જાણે કોઇ પરવા જ  નહતી.

એક ટીનેજર છોકરો પોતાના મિત્ર સાથે મોબાઇલ પર વાત કરી રહેલો, ‘ અરે યાર, શાહરુખને જોવા લોકોએ પડાપડી કરી અને એમાં કોઇનું મોત થયું તો એમાં શાહરુખને જવાબદાર કેવી રીતે ગણી શકાય? વળી હું તો પિકચર જોવા જવાનો જ. પિકચરમાં શાહરુખ ભલે ગુંડાના જીવનનું પાત્ર ભજવતો હોય ને એને હીરો બનાવી દેતો હોય મારે તો માત્ર ટાઇમપાસ તરીકે જ આ મૂવી જોવું છે. તને ખબર છે મેં તો ફૂલનદેવી પણ જોયેલી, એ લોકો કયા દૂધના ધોયેલા હતાં? એમને તો કોઇએ કશું ના કહ્યું, ઉલ્ટાનું એ મૂવીના તો ઢગલો વખાણ થયાં ને અનેકો અવોર્ડ પણ મળ્યાં. લોકો તો  ‘નોટબંધી’ વખતે બેંકની બહાર ભીડમાં થયેલ મ્રુત્યુ માટે પણ નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવે છે! એમના માટે  આ બધી  ઘડીના ટાઈમપાસની વાતો છે, આપણે મૂવીમાંથી શું શીખવું ને શું વિચારવું એની બાગડોર તો આપણાં જ હાથમાં છે. ‘

સામે પક્ષેથી શું જવાબ આવ્યો એ તો ખબર નહીં પણ એ ટીનેજરના મુખ પર થોડા નિરાશા અને ગુસ્સાના ભાવ છવાઈ ગયા અને અવાજ થોડો મોટો થઈ ગયો,

‘તમારા જેવા મૂર્ખાઓથી જ આ દુનિયા ભરેલી છે. તારે ના આવવું હોય તો કંઇ નહીં હું એકલો જ જઈશ પણ આ મૂવી તો હું જોઇશ જ.બાય’ અને એણે ફોનમાં લાલ બટન પર આંગળી મૂકીને દબાવી અને ફોન કાપી નાંખ્યો.

ઘરના બીજા ખૂણામાં સોફા પર બેસીને એક પિસ્તાલીસ વર્ષનો પુરુષ, જે મોટાભાગે એ ટીનેજરના પપ્પાં જ હશે – તેઓ કડકડતી ઠંડીમાં પોતાના ‘હિમાલયના પ્રવાસો’ નોંધેલી ડાયરી વાંચી રહ્યાં હતાં. એમની બાજુમાં એમની પત્ની શાકની થાળી અને ચપ્પુ લઈને બેઠી હતી જે મનોમન સામે પડેલ ટીપોઇ પરની ચા ફટાફટ પતાવીને રસોડાના કામે વળગવાની અને સમયસર ઘરના સદસ્યોનું ટિફિન બનાવવાની અને હજુ પથારીમાં પડેલા ઘરડાં સાસુ – સસરાના નાસ્તાનો સમય સાચવી લેવાની પેરવીમાં પડેલી હતી. પણ સામે બેઠેલ પતિદેવ તો ડાયરી વાંચતા વાંચતા એમના ભવ્ય ભૂતકાળને માણવામાં પડેલાં.

‘કહું છું, આ સવાર સવારમાં શું આમ વાંચવાનું લઈને બેસી જાઓ છો ? ઓફિસે જવાનું મોડું થશે. વળી મારે રાતની ઉંઘ સરખી પૂરી નથી થઈ, તો વહેલાંસર પરવારીને થોડું સૂઇ જવું છે.ચાલો ને જલ્દી ચા નો કપ હાથમાં પક્ડોને..’

‘કેમ શું થયું ? રાતે ઉંઘ કેમ પૂરી નથી થઈ ?’

‘મૂઇ આ ઠંડી, અડધી રાતે રજાઈ ખસી ગયેલી તો બહુ ઠંડી લાગતી હતી અને એમાં ઉંઘ ઉડી ગઈ એ પછી ઉંઘ જ ના આવી. હવે પહેલાંની જેમ  ઠંડી સહન નથી થતી. આમાં વળી શરદી હેરાન કરે છે. બળી, પહેલાં જેવી માપસરની ઋતુઓ પણ ક્યાં રહી છે! વરસાદની સિઝનમાં ઢગલો વરસાદ પડશે, તો ગરમીમાં પારો પચાસ ડીગ્રીએ પહોંચી જશે..કંટાળ્યાં આ બધા ચક્કરોથી હવે. પહેલાં હું એમ કહેતી હતી કે , ‘હું લગભગ એંસી વર્ષ સુધી તો ચોકક્સ જીવીશ પણ હવેની સ્થિતી જોતાં મને લાગે છે કે આપણી ગાડી સાઈઠનું સ્ટેશન પાર કરે તો ય ભયો ભયો..’

‘અરે આ શું પાગલ જેવી વાતો કરે છે ? આમ સાઈઠ વર્ષમાં ટ્રેન છોડી દેવાની નિરાશાજનક વાતો થોડી કરાય? એના કરતાં એમ વિચારને કે પહેલાં ગરમીમાં આપણે શેકાઇ જતાં હતાં જ્યારે આજે આપણી પાસે દરેક રુમમાં એસી અને એ એસીનું બિલ ભરવા પૂરતાં પૈસા છે.  વરસાદમાં બચવા માટે ટેકરી પરનું ઘર કે જ્યાં કદી પાણી જ નથી ભરાતું એવું સલામત ઘર છે અને જરુર પડે જ તો એ વરસાદમાં ઘરની બહાર નીકળવા સ્કુટરના બદલે ગાડી છે . વળી તું હિટર કેમ ચાલુ નથી કરતી ? હિટરથી રુમ ખાસો એવો ‘વોર્મ’ રહે છે. લગભગ પાંચ વાગ્યા સુધીનો સમય તો નીકળી જ જશે.’

‘આ બધું તો ઘડી બે ઘડી જ ને, કુદરતી વાતાવરણ એ તો કુદરતી જ ને.’

‘હા, એ તો છે પણ જ્યારે આપણી પાસે કોઇ વાતનો ઇલાજ જ ના હોય તો આપણે એ પરિસ્થિતીમાં શક્ય એટલા આશાવાદી રહીએ તો એ સ્થિતી આરામથી અને ઝડપથી પસાર કરી શકીએ છીએ યો’હા, તમારી વાત તો સાચી છે. હકારાત્મક વિચારો જીવનમાં ઘણો મોટો ભાગ ભજવે છે. હું ચોકકસ એ રીતે જીવવાનો પ્રયત્ન કરીશ. ચાલો હવે હું રસોડા ભેગી થઉં નહીંતો તમારે રોટલા વિના દિવસ કાઢવો પડશે.’ અને મુક્ત હાસ્ય વેરતાં ઘરની ગ્રુહિણી રસોઇઘર તરફ વળી.

ગેલેરીના બંધ બારણાંની નીચેની તિરાડમાંથી સૂર્યદેવતા એમના કિરણો સમેત ઘરમાં પ્રવેશીને પોતાના વિજય પર હૂંફાળું મરકી રહેલાં.

અનબીટેબલઃ યોગ્ય આશાવાદ તંદુરસ્ત, સુખી જીવનની ચાવી છે.

સ્નેહા પટેલ.

One comment on “Ashavaad

  1. “આશાવાદ” નામ પ્રમાણે જ હકારાત્મક અને આશાવાદી લેખ…લેખની શરૂઆતમાં જીજ્ઞા મહેતાનો સરસ શેર, “પાંદડે પાંદડે રોજ હું ખીલતી, વાયરા છે વસંતના બધાં મુજમાં.” જેમા આશાનો સંચાર પ્રગટે છે…દરેક બાબતની ખુબ જ બારીક અને સરળ રજુઆત…પતિ-પત્ની, બા-બાપુજી અને ટીનએજ પુત્રની વાત…પણ આ વાર્તામાં કોઈ પાત્રના નામ નથી આપ્યાં…Line of the article : “અનબીટેબલ : યોગ્ય આશાવાદ તંદુરસ્ત, સુખી જીવનની ચાવી છે.” અને આ અનબીટેબલમાં જ લેખનો સાર આવી જાય છે…

    Like

Leave a comment