સુહાગન વિધવા

phoolchhab newspaper  > navash ni pal column > 17-12-2014
સાંવરિયો રે મારો સાંવરિયો,

હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો…

-રમેશ પારેખ.

 

‘મારુ, ફટાફટ મારી જમવાની ડીશ પીરસી દે તો ..આજે ઓફિસે જવાનું મોડું મોડું થઈ ગયું છે.’

ભગવાનની સમક્ષ દીવો પ્રગટાવીને અગરબત્તી સળગાવવા જતી મારુતિનો હાથ અદવચાળે જ અટકી ગયો. વર્ષોથી મારુના કાન અને એના પતિ ધીરજના અવાજને ઓટોમેટીક કનેક્શન હતું. ધીરજનો પડ્યો બોલ ઝીલવાની એની આદત હતી. એ ધીરજને હાથમાં ને હાથમાં રાખતી હતી. આજે પણ ધીરજના અવાજથી એનો હાથ અટકી ગયો અને ધ્યાન એના બોલ તરફ ડાયવર્ટ થઈ ગયું. જો કે એના ધ્યાન અને હાથમાં સળગતી દિવાસળીને કોઇ કનેક્શન નહતું. એ તો પોતાનું સળગવાનું કામ એક્ધારી નિષ્ઠાથી કર્યે જતી હતી અને પરિણામે મારુની કોમળ આંગળીને દઝાડતી ગઈ. પોતાની કાર્યનિષ્ઠા બીજાને તકલીફ આપે એમાં વાંક કોનો ? હશે, દિવાસળીને આવું બધું વિચારવા માટે મગજ નથી હોતું અને મારુના મોઢામાંથી એક આછી ચીસ નીકળી ગઈ અને દિવાસળી હાથમાંથી નીચે પડી ગઈ. તરત જ પોતે જ્યાં બેઠી છે ત્યાં જ, એ જ જગ્યાએ પાછી ફરી અને દિવાસળીનો સળગતો અંગારો બોક્સથી દબાવીને બંધ કરીને , પ્રાર્થના શરુ કરતા પહેલાં જ પૂરી કરી દેવી પડી એ બદલ ભગવાનની આંખોમા આંખ પૂરોવીને માફી માંગતીકને રીતસર રસોડામાં ભાગી. પાંચમી મીનિટે તો ધીરજની થાળીમાં ગરમાગરમ રસોઈ પીરસાઈને થાળી ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગઈ હતી.

‘મારુ, પેલી પીન્ક ફાઈલ મારી બેગમાં સાચવીને મૂકી દેજે અને મારી સિલ્વરબેલ્ટની ઘડિયાળ બગડી ગઈ છે તો પેલી કાળા ડાયલવાળી ઘડિયાળ કાઢી રાખજે. આજે એક જરુરી મીટીંગમાં જવાનું છે તો નવો સફેદરંગનો અને ભૂરી – લાલ લાઈનિંગવાળો હાથરુમાલ ઇસ્ત્રી કરીને મૂકી રાખજે…’

જમતાં જમતાં ધીરજના ઓર્ડરમાળા અસ્ખલિતરુપે ચાલુ જ રહી અને મારુ ચૂપચાપ એના ઓર્ડરોનું પાલન કરતી ગઈ. મનમાં એક વાર થયું કે, ‘આજે તમારી પસંદનું પાલક પનીરનું શાક થોડી અલગ રીતથી બનાવ્યું છે તો તમને ભાવ્યું ?’ એવું પૂછી લઉં. પણ એના બોલવાનું અને ધીરજનું સાંભળવાનું મૂર્હત હજુ નહતું નીકળ્યું. મન મારવાની આદત કોઠે પડી ગઈ હતી એટલે મારુને બહુ તકલીફ ના પડી.

બપોરે જમી પરવારીને મારુએ બાજુમાં રહેતી નવો નવો બ્યુટી પાર્લરનો કોર્સ કરતી ધીરાને વેક્સિંગ , આઇબ્રો અને હેરકટીંગના કોમ્બીનેશન કામ માટે ઘરે બોલાવી હતી.

‘ભાભી, આ પચાસ વર્ષની ઉંમરે પણ તમારા વાળ કેટલાં સુંવાળા, કાળા અને ભરાવદાર છે. આની પાછળ કોઇ સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરો છો કે શું ?’

‘ના રે બાપા, અહીં સમય જ કોને છે એવો બધો આ તો ભગવાનની કૃપા બસ.’ જન્મથી કાળાભમ્મર વાળનું વરદાન હતું અને સગા સંબંધીઓમાં એના વાળ કાયમ મીઠી – કડવી ઇર્ષ્યાનું કારણ બનતા.પોતાના વાળના વખાણ સાંભળીને મોટી થયેલ મારુ માટે આ પ્રસંશાના બે શબ્દો કોઇ નવા નહતા પણ દિલના એક ખૂણે છૂપા ભારેલ અગ્નિ પર જાણે છ..મ..મ કરીને પાણીનો છંટકાવ થયો હોય એવો અનુભવ થયો પણ વળતી જ પળે પોતાના રુપ રંગ, સાજ શણગાર – ગુણોની ધીરજને મન તો કોઇ વેલ્યુ જ નહતી. એના મોઢે કદી બે પ્રસંશાના શબ્દો સાંભળવા મળતા જ નથી એ વિચારે મન ખાટું થઈ ગયું અને પેલા અગ્નિમાં એના ખારા આંસુ હોમાયા.

આમ ને આમ મારુ ને ધીરજનો સંસાર સુખરુપ ચાલતો હતો અને એક દિવસ અચાનક જ મારુને હાર્ટઅટેક આવ્યો અને ડોકટરો કશું જ કરી શકે એ પહેલાં તો કલાકના ટૂંકા ગાળામાં મારુનું અવસાન થઈ ગયું. ધીરજ વિધુર થઈ ગયો.

એકલા પડ્યા પછીની જિંદગી ધીરજ માટે અતિ કપરી હતી. એ મારુને અનહદ પ્રેમ કરતો હતો. મારુ વિના એક ડગલું પણ ચાલવું એના માટે દોહ્યલું હતું. ભગવાને એના નસીબમાં જ કેમ આવી મુસીબત લખી દીધી ? મારુ તો કેટલી નાની અને તંદુરસ્ત હતી. રોજ મારુના કાળા ભમ્મર , લીસા વાળમાં હાથ ફેરવતા ફેરવતા એની આંખ ઘેનમાં સરી જતી. આટલા વર્ષો પછી જ પણ એની ત્વચા અને રંગરુપ જાણે કોઇ પચીસ વર્ષની યુવતીને પણ શરમાવે એવા ગુલાબી અને તંદુરસ્ત હતાં.ભગવાનની દેન હતી નહિંતો મારુએ એની પાસે કદી બ્યુટી પાર્લરના ખર્ચા માટે ક્યાં હાથ લાંબો કરેલો હતો ? એની ટૂંકી આવકમાં એ દસ ચોપડી જ માંડ ભણેલી મારુ ઘરના ઉપરાંત સામાજિક ખર્ચાઓ કેવી સરળતાથી પૂરા કરતી હતી અને વળી આસ્ચ્ર્યજનક રીતે ખાસી એવી બચત પણ ભેગી કરતી જતી હતી. મારુ તો મારુ જ હતી સાચે. એના વગર પોતાનું જીવનગાડું કેમનું ચાલશે અને ધીરજની આંખમાં બે મોટા આંસુ તગતગી ઉઠ્યાં.પેન્ટના ખીસામાં હાથ નાંખીને હાથરુમાલ કાઢવાનો યત્ન ખોખલો નીવડ્યો.એના ખીસામાં નિયમિતપણે સ્વચ્છ રુમાલ મૂકનારી મારુ તો ક્યાં હયાત હતી ? ખીસામાં રહેલ થોડાં પરચૂરણ સાથે હાથ અથડાયો અને ધીરજના મગજને ઝાટકો વાગ્યો. ઝાટકા સાથે એક વિચાર ધીરજના મગજમાં જન્મ્યો.

‘એના જીવનમાં આટલું મહત્વનું સ્થાન ધરાવતી પત્નીના બધા ગુણ પોતાને એના મરણ પછી જ કેમ દેખાયા ? એના રુપ – રંગ-સ્વભાવને લઈને પોતે તો કદી પણ બે શબ્દ પ્રસંશાના મારુને કહ્યા નથી , કદી કોઇ કદર કરી નથી, રગસિયા ગાડાની જેમ જ જીવન જીવતો આવ્યો છે. શું આ જ કારણથી ભગવાને એને પોતાની પાસે બોલાવી લીધી કે ? હા એવું જ લાગે છે…સમયસર યોગ્ય વાતની કદર ના થાય એનો શું મતલબ ? પોતે તો આજે વિધુર થયેલો પણ મારુ તો કોણ જાણે કેટલાંય વખતથી એક મશીન જેવા માનવીમાં હેત અને કાળજીના ઉંજણ પૂરીને, કોઇ જ રીસપોન્સ મેળવ્યા વિના ઉચાટ જીવે જ જીવતી હતી. ઉફ્ફ..એ સુહાગન તો એના પતિના જીવતેજીવ વિધવા થઈ ગયેલી.’

પારાવાર અફસોસના દરિયામાં ડૂબકી માર્યા સિવાય ધીરજથી બીજું કશું થઈ શકે એમ નહતું.

અનબીટેબલ : જેની કદર ના કરી શકો એ તમારી પાસેથી ધીમે ધીમે દૂર થતું જાય છે અને એક દિવસ ગુમ !

સ્નેહા પટેલ

2 comments on “સુહાગન વિધવા

  1. ચોટ્દાર લેખ અને ખાસ તો કવિશ્રી રમેશ પારેખ નિ યાદ બદલ ધન્યવાદ
    🙂

    Liked by 1 person

  2. એક સુંદર પણ કરૂણ વાર્તા…..ભલે વાર્તા હોય, પણ આપણે બધાં આવી સત્યકથાઓ પણ સમાજમાં દરરોજ જોતાંજ હોઈએ છીએ….

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s