ઓમ સવાલદેવતાય નમઃ.

http://gujaratguardian.in/E-Paper/03-24-2013Suppliment/index.html

Gujarat guardian paper > Take it easy column > 24-03-2013 > article no: 35

Snap1

સવાલો પૂછવા એ માનવીની સમજશક્તિની પારાશીશી છે. જન્મથી માંડીને મરણ સુધી દરેક માનવીના મગજમાં હજારો પ્રશ્નો ઉદભવતા હોય છે. સવાલોના બહુ બધા પ્રકારો હોય છે. ઘણા લોકો ખાલી ખાલી પોતાની હાજરી પૂરાવવા માટે કોઇ મહત્વની ચર્ચા ચાલતી હોય ને કોઇ પણ  પ્રશ્ન પૂછી કાઢે જે એની ચૂપચાપ હાજરી કરતા વધુ ભયાવહ હોય છે, પરિણામે એ સવાલનો માલિક લોકોની નજરમાં તુચ્છ અને મહત્વની ચર્ચામાં મોટામસ ‘બમ્પર’ જેવો થઈને ઉભો રહે છે જેને ત્યાં બેઠેલા દરેક જણ ઇચ્છતું હોય કે આને કોઇ ‘ડમ્પર’ આવીને વહેલાસર ઉપાડી જાય તો સારું. ઘણા લોકોના પ્રશ્નો ઉચ્ચકક્ષાના હોય, ગુણવત્તાસભર હોય છે પણ એના જવાબો જે વ્યક્તિ પાસે મંગાય છે એ વ્યક્તિ એ સવાલને ન્યાય આપવાને લાયક નથી હોતું એથી આવા સવાલનું કસમયે મોત થઈ જાય છે. એ જીવ બહુ ઉત્સુક અને ઉત્સાહી હોય તો પોતાના પ્રશ્નો પૂછવા બીજા વ્યક્તિને શોધી લે છે કાં તો વિચારે કે જવા દે ને- બીજો કોઇ સવાલ શોધી કાઢીશ..સવાલ શોધવામાં વળી શું મહાન કામ કરવાનું છે..ઘરની જ ખેતી છે ને..! ઘણા સવાલો નિર્દોષ હોય તો ઘણા ટાઈમપાસના હેતુથી સભર, ઘણા સહેતુક અને સ્વાર્થી હોય છે જેના જવાબો થકી પોતાના મતલબની માહિતી સામેવાળા પાસેથી કઢાવી લેવાનો મહાન ઉદ્દેશ હોય છે. અમુક સવાલો પંચાતીયા હોય છે – અમારા ઘરમાં – જીવનમાં જ આવું ચાલે છે કે આખી દુનિયા આવી બધી સ્થિતીઓના સકંજામાં સપડાયેલી છે જેવો એક સર્વેનો હેતુ લઈને આવા પંચાતીયા સવાલો પૂછાતા હોય છે. અમુક સવાલો જીવનના ભાવિ માટે અતિજરુરી હોય છે – જેમ કે કોઇ છોકરો – છોકરી પરણવાના હોય અને પહેલવહેલી મુલાકાતમાં એના વિશેની જાણકારી માટે પૂછે એ આ કેટેગરીમાં આવી શકે. અમુક સવાલોના જવાબ મળે પછી એનો રી-સવાલ ઉભો જ હોય.

સવાલોની આ પિષ્ટપિંજણના વિચારોમાં મેઁ નાનપણમાં સાંભળેલી વાર્તામાં થોડું મોડીફીકેશન કર્યું.

વહેલી સવારે નદીકિનારે પોતાના પિતા સાથે ફરવા નીકળેલ એક છોકરાના મનમાં પ્રશ્નોનું , ઉત્સુકતાનું ઘોડાપૂર ઉઠે છે :

‘પપ્પા, આ માછલીઓ પાણીમાં ગુંગળાઇ કેમ નથી જતી ?’

પિતાશ્રી એમની આગળ જોગિંગ કરી રહેલી કન્યાની ‘બોડી રીધમ’ જોવામાં મશગુલ હતા અને આવો પ્રશ્ન માથે ઠોકાયો. ધ્યાનભંગ થતા થોડા અકળાઇ ગયા અને દીકરાનો કર્ણપટલ સુધી પહોંચવામાં નિષ્ફળ રહેલા પ્રશ્નનો જવાબ અપાયો,

‘ખબર નહીં’

બાળક નાનું હતું .. આ મહાન ડીસ્ટર્બનશની વાતથી અજાણ, એણે બીજો પ્રશ્ન ફેંક્યો,

‘તે હેં પપ્પા, આ વાદળોમાં આટઆટલું પાણી ભરાય છે એના થકી એ કેટલા બધા વજનદાર થઈ જાય છે તો એમાં પૂર ના આવે..એ વાદળા તૂટીને જમીન પર કેમ વેરાઈ નથી જતાં ? એવું થાય તો કેવી મજા આવે એ વાદળોના ટુકડા ભેગા કરીને હું મારા ખિસ્સામાં ભરી લઉં અને ઘરે જઈને આપણા ઘરની છત પર એને મારી ‘ઝીગ શૉ પઝલ’ ના ટુકડાની જેમ બનાવીને ચોંટાડી દઉં..’

‘હ..મ..મ..હેં..શું કહ્યું…હા..હા…એ તો…એ તો…મને નથી ખબર કે કેમ આવું ના થાય ?’

મનમાં પેલી છોકરીની ગુલાબી ટીશર્ટ ઉપર ઝુલતી એની લાંબી પૉની ટેઈલથી બનતા વાદળા જોવામાં મશગુલ પિતાશ્રીએ જવાબ વાળ્યો.

બાળકને તો જવાબ સાથે બહુ લેવા દેવા નહતી. એ પ્રામાણિકપણે પોતાનું ‘સવાલ પૂછવાનું’ કર્મ કરે જતું હતું.

‘ પપ્પા, આ દરિયાકિનારાની રેતી આટલી ઠંડી અને લીસી કેમ હોય ?’

થોડો ઘણો પ્રશ્ન કાને અથડાયેલો અને બેધ્યાનીમાં જ પપ્પાએ ઉત્તર વાળ્યો,

‘ એ તો આપણે લપસી ના જઈએ ને દીકરા એટલે ! ‘

અને આગળ જતી છોકરીની રેતીમાં પગલા પાડતી લીસી પાની જોઇને એમના મોઢામાંથી એક ઠંડો આહ નીકળી ગઈ.

સવાલનો જવાબ તો મળ્યો. ભલે એ ના સમજાણો પણ પિતાશ્રી એને જવાબ આપવા યોગ્ય ગણ્યો જાણીને દીકરાનો આતમસંતોષ વધી ગયો.

‘પપ્પા, તમે કદી ઓસ્ટ્રીચ જોયું છે  ? પેલો મીત મને કહેતો હતો કે એની આંખો એના મગજ કરતાં મોટી હોય છે.શું  આ સાચું છે ?  આપણા મગજ અને આંખોની શું હાલત છે?’ – એકસાથે બે પ્રશ્નો  !

‘બેટા, આંખો તો આંખો હોય છે મોટી હોય કે નાની શું ફરક પડે છે એનાથી આપણે જે જોઇએ છીએ એ દુનિયા થોડી બદલાઈ જવાની !’

પોતાનું ઓસ્ટ્રીચ અંગેનું અજ્ઞાન છતું ના થઈ જાય એનુ ધ્યાન રાખીને પિતાએ જવાબ આપ્યો. મગજ વિચારે ચડી ગયું કે કાશ, ભગવાને માનવજાતિને પીઠ તરફથી જોઇ શકાતી વ્યક્તિનો ચહેરો આસાનીથી જોઇ શકે એવી આંખો આપી હોત તો ! મુખદર્શન એક નિર્દોષ – હાનીકારક પ્રક્રિયા જ છે ને અને દરેક માનવીનો કર્મસિધ્ધ હક છે.

ત્યાં તો દરિયાની એક લહેર આવી અને બાળકના શરીરને એના છાંટાથી ભીનો કરી ગઈ. બાળકને પાણીની આ ગલીપચીથી બહુ મજા આવી.  આવી ગલીપચી તો વરસાદમાં નહાતી વેળાએ થાય અને મુખની તોપમાંથી પ્રશ્નનો ગોળીબાર થયો.

‘પપ્પા, આ ઉનાળાની ઋતુમાં વરસાદ પડે તો એને ચોમાસું કહેવાય કે ઉનાળો ?’

એ જ સમયે પેલી ગુલાબી ટીશર્ટવાળી યુવતી જોગિંગ કરતા કરતા થાકીને વિરામ લેવાના હેતુ સાથે રેતી પર બેસી ગઈ અને પિતાજીની મનોકામના પૂર્ણ થઈ ગઈ.

પાછળથી સુંદર મજાના વળાંકોવાળી કાયા ધરાવતી માનુનીનો ચહેરો જોતા જ પિતાજીને હાર્ટએટેક આવતા આવતા રહી ગયો. આ તો.. આ તો..આ તો એમના સાસુમા હતાં. એ વળી અમેરિકાથી ક્યારે પાછા આવ્યાં? વળી એ ભારે ભરખમ કાયા આવી નાજુક નમણી પદમણી નાર જેવા શૅઇપમાં કેવી રીતે આવી ગઈ ? સારું હતું કે પોતે આગળ વધીને એ પદમણી નારને જોવાના હેતુથી કોઇ જ સારી – નરસી ચેષ્ટા નહતી કરી નહીં તો…

‘અરે પપ્પા, જવાબ આપો ને..એને ચોમાસુ કહેવાય કે ઉનાળો ?’

કલ્પનામાં પોતાના ગાલ પર ચાર લાલ લાલ સોળ ઉઠેલી નિશાની દેખાઈ અને પપ્પાથી બોલાઈ ગયું,

‘બેટા એને ધોધમાર વરસેલું માવઠું કહેવાય..’

‘હેં…એ વળી શું..?’

પોતાની સમજશકિતના કોર્સ બહારનો જવાબ મળતા પુત્રની સવાલ પૂછવાની ઇચ્છા ઓ મરી પરવારી.

થોડા સમય પહેલાં જ મારી નજરે રસદાયક  રાજનૈતિક સવાલોના સમાચાર ચડેલા –

આપણે ત્યાં નેતાનું જોર વધારે ચાલે કે પ્રજાનું – આપણી લોકશાહી કહેવાય કે રાજાશાહી ?  દરેક નાના મોટા નેતાની મોટીમસ તોતિંગ ગાડીઓ આગળ પાછળ ચાર – પાંચ ગાડીઓ અમથી અમથી શું કામ ફરતી હશે?  આ નેતાઓ કોઇ પણ જાતના દેખીતા કાર્ય કર્યા વગર જ આટલી વૈભવશાળી જીંદગી જીવવા માટે પૈસા કેવી રીતે મેળવતા હશે? નેતાઓના દીકરાઓ પરણે ને હેલિકોપ્ટરોના ધાડેધાડા ઉતરી આવે ત્યારે એ બધો ખર્ચો કોની કેડ પર આવતો હશે?પક્ષબદલનાર નેતાઓને બીજા પક્ષમાં જોડાઇને પોતાના ભૂતપૂર્વ પક્ષને ભાંડતા કોઇ જાતનો શરમ સંકોચ કેમ નહી નડતો હોય ? નેતાઓ એ કોસ્મેટીક જેવા હોય છે કે શું..કાયમ એમની મૂળકિંમત કરતાં પ્રચારખર્ચ વધારે જ હોય છે !

થોડા આધ્યાત્મિક સવાલો જે મને ક્યારેય નથી સમજાતા કે જેના જવાબો મળવાની ભવિષ્યમાં કોઇ વકી પણ નથી..

‘સત્ય એટલે શું ? હું ખરેખર કોણ છું ? કાવ્યમય ઉપનિષદની તો શરુઆત જ કંઇક આવા સવાલથી થાય છે કે માણસ મરી જાય ત્યારે એ ખરેખર મરી જાય છે – કારણ ઘણા લોકો કહે છે કે ‘ ના આ મૃત્યુ નથી. આત્મા અજર અમર છે’ અને ઘણા કહે છે કે ‘હા આ તો નિર્વિવાદપણે મોત છે’ આધ્યાત્મ – દર્શન  દરેક શાસ્ત્ર આની ચર્ચાઓથી ભરચક છે. શું દરેક વસ્તુનું અંતિમ મોત જ છે..શું મોત એ સત્ય છે..ગોળ ગોળ ફરીને એકના એક સવાલો પૂછાયે જ રાખે અને ચર્ચાઓ ચાલે જ રાખે.

‘ઓમ સવાલદેવતાય નમઃ.’

ભૂતકાળ અને ભવિષ્ય જેવું કંઈ નથી જે છે એ વર્તમાન જ છે એને માણો અને મજાની લાઈફ જીવો – આની પાછળ વળી એક નવો સવાલ ઉભો થાય કે ભૂતકાળ એટલે આપણા વડીલો અને ભવિષ્ય એટલે આપણા સંતાનો જેવું કંઈ આ દુનિયામાં છે જ નહીં ..વર્તમાન ફકત આપણે અને આપણે જ છીએ એમ માનીને સ્વાર્થી બનીને જીવવાનું..?

મિત્રો, હવે હું વિરમું. કારણ આ સવાલોની વણઝાર આમ જ ચાલી તો કદાચ  આ રવિવારની આખેઆખી પૂર્તિ મારા ધ્યાનમાં આવેલા સવાલોથી ભરચક્ક હશે. સવાલોના જવાબ ચોક્કસ હશે પણ અંત કદી નથી હોતો.

આ લખતી હતી અને મોબાઈલમાં એક મિત્રનો મેસેજ આવ્યો,

‘રાધાએ કૃષ્ણને સવાલ પૂછ્યો, ‘ તમારામાં જ્યાં હું વાસ ના કરતી હોઉં એવી એક જગ્યા બતાવો.. ‘

શ્રીકૃષ્ણ તો સવાલો ઉભા કરવામાં ઉસ્તાદ. એમને આવા સવાલો ના કનડે. ફટ દઈને ભાવવિભોર સ્વરે રાધાની આંખોમાં આંખ પૂરોવીને આર્દસ્વરે બોલ્યાં,

‘મારા નસીબમાં પ્રિયે !’

-સ્નેહા પટેલ.

One comment on “ઓમ સવાલદેવતાય નમઃ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s