tu–hu….


 




તું મને નિહાળે અને મને લાગે કે
હું સુંદર છું.
તુ મને સ્પર્શે અને મને લાગે કે
હું નાજુક છું.
તું મને વિચારે અને મને લાગે કે
હું વિશ્વાસ છું.
તું મને સાંભળે અને મને લાગે કે
હું સંગીત છું.
તું મને ચાહે અને મને લાગે કે
હું જીવંત છું.

બસ,રે……..
આમ જ તો તું મારી કવિતા છું.

સ્નેહા-અક્ષિતારક



માસૂમિયતના વરખ.


શ્રી ખોડલધામ સ્મ્રુતિ >  આચમન – ૪  >  જાન્યુઆરી-૨૦૧૨.

બાળપણ હંમેશા માસૂમ હોય છે અને એટલે જ સુંદર પણ હોય છે.દુનિયાના કોઇ પણ છેડે શ્વસતા ગોરા કે કાળા વર્ણના, ગરમીના કે ઠંડીના પ્રદેશના બાળકને લઇ લો, નિર્વિવાદપણે એનામાં આ માસૂમિયતનો ગુણ દેખાઇ આવશે. એ હંમેશા દિન-દુનિયાથી બેખબર પોતાની મસ્તીમાં જ જીવતું હોય છે.

જન્મતાંની સાથે જ એની સઘળીયે ઇન્દ્રીયો સતત આ દુનિયાની દરેક ગતિવિધીઓનું ઝીણવટપૂર્વક,ચપળતાથી અવલોકન કરતી હોય છે. બગીચામાં પવનની લહેરખી વાય ત્યારે ડાળીએ ઝુલતા,લચી પડેલા ફુલોના ઝુમખાં એ દિશામાં જે રીતે લળી પડે છે, જોઇને એના ગુલાબી કોમળ હોઠ પર નિર્દોષ હાસ્ય ફેલાઇ જાય છે. પક્ષીઓ સુંદર મજાનું ગાયન ગાય ત્યારે એના કાન સરવા કરી લે છે, અને આખેઆખો ગીતરસ એના કાનમાં સમાવી લે છે. નદી, ઝરણાં વગેરેના વહેણને પોતાની ગોળમટોળ કાળી કીકીઓમાં નકરુ કુતૂહલ ભરી નજરથી ‘ક્લીક’ કરી દે છે અને આ બધામાં છુપાયેલો ઇશ્વરનો ગર્ભિત સંદેશો આબેહૂબ પોતાના માનસપટ પર અંકિત કરવાનો પ્રયત્ન કરે છે, ‘વત્સ તું  મારો એક માનીતો અને વ્હાલુડો અંશ છું એટલી વાત બરાબર યાદ રાખજે. ભવિષ્યમાં ક્યારેય પોતાના અસ્તિત્વને ભૂલીને સમગ્રની- મારી -પ્રકૃતિની ઉપરવટ જવાની કોશિશ ના કરીશ.એ નિરર્થક પ્રયાસોમાં તું તારી એકઠી કરેલી બધી તાકાત,માસૂમિયત વેડફી કાઢીશ એનો મને ભય  છે. વળી એ વેડફ્યા પછી પણ તારે માથે કોઇ વિજયપતાકાઓ નથી લહેરાવાની. તારે મારા સમગ્ર અસ્તિત્વની શરણાગતિ સ્વીકાર્યા વગર કોઇ છૂટકો જ નથી. ભવિષ્યમાં પણ તારી શક્તિના સ્ત્રોત તો મર્યાદિત જ હશે, પણ મને એવા કોઇ જ બંધનો કે મર્યાદાઓ નથી નડવાના. ઢગલો મથામણોના અંતે પણ છેવટે પરાજ્ય પામીને મારી સામે વેદનાથી થાકી-હારીને ઝુકી જઈશ. એના કરતાં ‘સમય વર્તે સાવધાન’ રહીને રાજીખુશીથી મારી સાથે જીવતાં શીખજે. મારો વિરોધ કરીને મને પડકારવાના બદલે મારામાં વિશ્વાસ રાખીને પ્રેમ અને શ્રધ્ધાથી મને જીતવાના, સમજવાના પ્રયત્નો કરજે. આમ કરીશ તો છેવટે હારીને પણ તું જીતી જઇશ. અત્યારે તારું મન એકદમ કોરું અને કોઇ જ પક્ષપાતો વગરનું ચોખ્ખું ચણાક છે એટલે આ વાત તને સમજાવવાનો પ્રયત્ન કરું છું. બાકી એના પર પક્ષપાતોના,અભિપ્રાયોના વરખ લાગવા માંડશે પછી તો તું કોઇનું નથી સાંભળવાનો એ વાત મને ખ્યાલ છે’  અને બાળક ઇશ્વરની બધીયે વાતો મોઘમમાં સમજી જતું હોય એમ બિન્દાસ થઇને સહજતાથી જીવવા લાગે છે. પોતાની પૂરેપૂરી જાત એને સમર્પી દે છે. ‘હેય ને પેલો બેઠો જ છે ને હજાર હાથ વાળો. પછી મારે ક્યાં કોઇ ચિંતા છે. એ સંભાળી લેશે મને.’

પણ, વિધીની ખરી વક્રતા તો હવે ચાલુ થાય છે. બાળક અને ઇશ્વર વચ્ચેનો આ શુધ્ધ અને પ્રેમાળ સંવાદ બાળકની આજુબાજુ વસતી દુનિયા નથી સાંભળી શકતી કે નથી સમજી શકતી.

એના સંસારમાં વસતા એના મા-બાપ,વડીલો,શિક્ષકો વગેરે પોતપોતાની સમજ, અનુભવ અને પૂર્વગ્રહો યુકત શબ્દોથી, વર્તનથી બાળકના ભવિષ્યના લેખ લખવાનું – એના ભાગ્યવિધાતા જેવું  મહાન (!!) કામ કરતાં નજરે પડે છે.  પછી ચાલુ થાય છે બાળકની જીવન જીવવા માટેની મોટેરાંઓ દ્વારા નક્કી કરાયેલી માનસિક અને શારીરિક કવાયતો થી ભરપૂર જીવનપધ્ધતિ.

હંમેશા જોવામાં આવ્યું છે કે ‘ભૂલો ભલે બીજું બધું મા – બાપને ભુલશો નહીં’  જેવી પંકિતઓનો જેટલો સારો ઉપયોગ કરાય છે, એટલો જ આ બાળકોને ‘ઇમોશનલ બ્લેકમેઈલ’ કરવા પણ વપરાય છે. માતા અલગ વિચારો ધરાવતા ભજનો સંભળાવે તો, બાપા કોઇ અલગ જ ગણત્રીવાળો રસ્તો ચીંધે,  સ્કુલના શિક્ષકો  કોઇ બીજી જ સમજના પાઠ ભણાવે. એ કુમળા બાળમાનસમાં દરેક પોતપોતાની તાકાત અને સમજ અનુસાર પોતાના વિષ અને અમ્રુત રેડતું હોય દેખાય. હવે બાળકનું મન રહ્યું કોરી પાટી, એની પર જે ભાષાના જે એકડાં માંડવા  હોય એ માંડી શકાય છે, ઘૂંટાવી શકાય.

સમજદાર અને સંયમી મા-બાપ બાળકના મગજમાં સતત સારા સંસ્કારોનું અમ્રુત સીંચવાના પ્રયત્નો કરતા રહે છે. એનામાં ઇશ્વરની આસ્થા અકબંધ રાખવાના પ્રયાસો કરતા હોય છે. રાત દિવસ મહેનત કરી કરીને સંતાનોના સુખી ભાવિ માટે ઊભી કરેલી સુખ અને સગવડોથી ભરપૂર દુનિયામાં એમને વિપરીત દશામાં અને અભાવો વચ્ચે પણ કેમ જીવી શકાય એની સમજ પણ આપતા જાય છે. વાણી અને વર્તનનો યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યવહાર કરતાં શીખવવાનો પૂરો પ્રયત્ન કરે છે. ભગવાનના આશીર્વાદથી મળેલી તાકાતથી છકી ગયા વગર સાહસથી જીવનને  રોમાંચક બનાવીને તળિયા સુધી માણી લેવાની વાતો પણ શીખવતા જાય છે સાથે ‘બેલેન્સીંગ વર્તનના સ્વામી ભવઃ’ ના આશીર્વાદ સદા એના પર વરસાવતા જાય છે

તો કેટલાંક છીછરા ઘડા જેવા મા-બાપ પોતે જે વર્તન કરતાં હોય એ પોતાનું સંતાન ના જ કરે એવો દુરાગ્રહ રાખે. જેમ કે પોતે ખોટું બોલી શકે (એ તો આ દુનિયામાં જીવવા માટે જરુરી છે. સાચાનો જમાનો જ ક્યાં રહયો છે હવે.!) પણ બાળક સામે : ‘અરે ખોટું ના બોલાય બેટા, એવું કરીએ ને તો ભગવાન આપણી જીભમાં કાંટા ઊગાડે.’ પોતે ગુસ્સે થાય ને સંતાનને બે અડબોથ લગાવી દે, બે ચાર ગાળો બોલી કાઢે તો ચાલે, પણ દીકરાના શિરે તો ‘અપશબ્દો બોલે એવા મિત્રોની સામે પણ નહીં જોવાનું’ની વજનદાર જવાબદારી ઠપકારી દેવાની. પોતે સિગારેટ પીવે, શરાબ પીવે તો ચાલે (હાય રે ઢગલો કામકાજના, સામાજીક વ્યવહારના ટેન્શનો )  પણ દીકરો પોતાનું અનુકરણ કરીને પેન્સિલ મોઢામાં નાંખીને સિગારેટ પીવાનો ડોળ કરે તો પીત્તો જાય,  નાલા….. !! અને બે ધોલધપાટીની તડાતડી.. સાથે વિચારતા જાય કે આવું  કેમ ચલાવી લેવાય આપણે રહ્યાં  ‘ઈન્ડીયન બ્લડ’  આપણે આર્યપ્રજા, અનાડી જેવા થઈએ, એ કેમ પોસાય ?

પેલું ખબર છે ને કે, ‘નાઈન્ટીએઈટ ડીગ્રી ઈઝ ધી નોર્મલ ટેમ્પરેચર ’. ૧૦૦’ એ ‘એબોવ નોર્મલ’ .

એ જ રીતે  ‘એબોવ નોર્મલ’ વિચાર કરવા કે, ‘બીલો નોર્મલ’ વિચાર કરવા તે ય ‘ફીવર’ છે.

સગા-સંબંધીઓ જ્યારે આવા બાળકોને માથે હાથ ફેરવીને આશીર્વાદ આપે કે  “બેટા બાપથી યે સવાયો થજે” ત્યારે પેલું બાળક પણ આવા ‘વિચારોના ફીવર’માં સપડાય અને આ બધીયે ઘટનાઓનો પોતાની સમજણ મુજબ સરળ અર્થ કાઢે છે કે, ‘આનો મતલબ મારે સવાયું ખોટું બોલવાનું,  એ અડબોથ મારે છે તો મારે ગનથી ગોળીઓ ઝીંકવાની, એ બે ચાર ગાળો બોલે તો મારે ૨૦- ૨૨ સામી ચોપડાવી દેવાની..એ સિગારેટ પીવે તો મારે ચરસ ગાંજો…’

હવે આવા ‘વિચારોના તાવ’ આવે એમાં આવે એમાં બાળકનો શું વાંક? એને તો શ્રાવ્ય કરતાં દ્રશ્ય વધુ અસર કરે. મતલબ એને કહેવાયેલી વાત કરતાં  આંખોએ જોયેલી વાતો પ્રમાણમાં જલ્દી અસર કરે. એના માબાપ એને કહે એના કરતાં એ લોકો જે પ્રમાણે વર્તે એ  માનસપટ પર સ્પષ્ટપણે અને ઘાટી રેખાઓથી  રેખાંકીત થઈ ગયું હોય છે.

વળી અમુક મા – બાપ તો જાણે પોતાના અધૂરા અરમાન પોતાના સંતાનો એ પૂરા કરવા જ જોઇએ જેવું જક્કી વલણ ધરાવતા જોવા મળે છે.. એ લોકોનો તો જન્મ જ એના માટે થયો છે જેવું જક્કી વલણ ધરાવતા હોય. પેલા માસૂમની કોઇ જ ઇચ્છા કે લાગણીને ધ્યાનમાં નથી લેવામાં આવતું. તું કોણ મોટો તારી જાતે નિર્ણયો લેનારો. અમે હજુ જીવતા જાગતા બેઠા છીએ ને.. પોતે એમને જન્મ આપ્યો, મોટો કર્યો એટલે એના ભવિષ્યના રણીધણી…એના માલિક જ.

તારી સરળતા રાખ તારી પાસે,

જે તું સમજે છે રાખ તારી પાસે,

અમે તો પાણીને થીંગડા મારનારા,

સુગંધને પણ બાનમાં લેનારા,

અમારી ચીંધેલી કેડીએ જ ચાલ,

તારી પસંદ બધી રાખ તારી પાસે…

અને એ માસૂમ ફુલ એની વસંત આવતા પહેલાં જ પાનખરનો અનુભવ કરવા લાગે છે. જીવનના બાગમાં ખીલતા પહેલાં જ કરમાવા લાગે છે. ઝાકળના બદલે અશ્રુઓથી ચમકવા લાગે છે.

બસ, જીવન આમ જ ધીમે ધીમે આગળ વધે છે.

હવે બાળકને શીખવનારમાં એના પોતાના અનુભવો અને સમવયસ્ક, એના જેવી જ અધકચરી સમજ ધરાવનારા મિત્રોનો પણ ઊમેરો થાય છે. એના આધારે બાળક પોતાની એક અલાયદી વિચારશક્તિ ધરાવતું થાય છે. મા બાપ, શિક્ષકો સામે બળવો પોકારીને ખુલ્લે આમ, ક્યાં તો છુપાઈ છુપાઈને પણ એ પોતાની મરજી મુજબના થોડા શ્વાસ લેવા લાગે છે. દરેક વાતમાંથી પોતાની સમજણ, અનુકૂળતા મુજબના અર્થ કાઢતું થઈ જાય છે.એ અર્થના રસ્તે ચાલતા ચાલતા લપસે છે, પડે છે-આખડે છે અને એ બધી માનસિક,શારીરિક કસરતોમાંથી પસાર થઈ પોતાના અનુભવોનો કક્કો પોતાના હસ્તાક્ષરમાં પોતાની સમજ -પાટી પર માંડે છે. માણસને પોતાની દરેક ચીજ વ્હાલી જ લાગે છે.પછી એ એનો ગુસ્સો હોય, પ્રેમ હોય કે અનુભવમાંથી શીખેલા પાઠ..એ સંધુયે એને વ્હાલુ વ્હાલુ, સાચુકલું અને પોતીકું જ લાગે.

બસ આમ જ પોતાના અનુભવોના આધારે એ હવે પોતાનું અલગ વિશ્વ રચતો જાય છે, જાતજાતના તરંગો,વિચારો,સપનાઓને પોસવાના ચકકરમાં હવે એક ઓર વ્યક્તિનો ઉમેરો થાય છે !!!

આ એક્દમ અલગ વ્યક્તિ…વિજાતીય વ્યક્તિ…પોતાનાથી સામેના છેડાની વિચારધારા ધરાવનાર વ્યક્તિ.ઘણી બધી વાતોમાં પોતાનાથી અલગ પડનારી આ વ્યક્તિ દિલથી એકદમ નજીકની કેમ લાગે છે ? એનું આકર્ષણ આટલું તીવ્ર કેમ ? એ ‘દિવસને રાત’ કહેવાનું કહે તો એક વાર કુદરત જેવી કુદરતને  પણ ચેલેન્જ કરી દઈને રાત બનાવી દેવાનું ઝનૂન ચડી જાય એવું કેમ ? રાત દિવસ એના જ સપના, વિચારો દુનિયા જાણે એના પરિઘમાં જ ફરતી હોય..કેન્દ્રમાં એ એક વિજાતીય, દિલની ધડકન જેવી વ્યક્તિ. યેન કેન પ્રકારેણ..એને ખુશ રાખવાના ચકકરમાં જ રહેવા લાગે છે.

એ પછી  જીંદગીમાં આવે ગણત્રીઓનો તબક્કો, પૈસા કમાવાની ઘેલછાનો તબક્કો..સુખ-સગવડોનો માયાવી તબક્કો. એવા સમયે એને જીંદગીના સૌપ્રથમ ગુરુ એવા ઇશ્વરના શબ્દો ધ્યાનથી સાંભળ્યા હોય, સમજ્યા હોય અને એનામાં પહેલાં જેવી માસૂમ શ્રધ્ધા અકબંધ હોય તો એને આ ભવસાગર સુખેથી તરી જવામાં કોઇ જ તકલીફ નથી પડતી. સંતોષ અને સાચી સમજથી જીંદગીના દરેક વહેણને અનુરુપ થતો થતો રસ્તામાં આવતા ધૂળ-ઢેફાંઓને પણ પોતાની સાથે ઢસડી જાય છે અને સુખેથી જીવનના રસ્તે વહેતો રહે છે.

પણ યુવાનીની અમર્યાદીત શક્તિ, જોશ જો એની સમજ પર  હાવી થઈ ગઈ અને એના જોશમાં એ હોશ ખોઈ બેઠો તો પછી એ ગયો કામથી..!! ઇશ્વરનો અને એનો જીવનની શરુઆતના તબક્કાનો થયેલો સંવાદ ભુલી જાય અને આ રંગીન દુનિયામાં ચોમેર પથરાયેલી ઝાકમઝોળમાં ફસાઇ સુખ નામના હરણ પાછળ દોડવાનું ચાલુ કરે છે. ધીમે ધીમે એનામાંથી પેલો માસૂમ બાળક ખોવાતો જાય છે અને જન્મે છે એક  આક્રમક, સાહસી,દુનિયાની લેતી દેતીની ગણત્રીઓ શીખવા મથતો યુવાન. એ પોતાની ઇરછાનુસારની જીન્દગી જીવવા માટે હવે કુદરતને ચેલેન્જ કરતો થઈ જાય છે. એમાં એક જાતનું થ્રીલ અનુભવે છે. નસીબ સારા હોય અને પડકારમાં સફળતા મળે તો એની સાહસવૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે, હિંમતના ઝરણાં ફૂટી નીકળે છે. જે એને એ જ દિશામાં આગળ વધવાનું જોમ આપતું રહે છે અને એ આંખો બંધ કરીને એ લપસણા ઢાળ પર મુશ્કેટાટ મુઠ્ઠીઓ વાળીને દોટ મૂકે છે. આ રહી ગયું ને પેલું રહી ગયું..બધુંય મેળવી લેવું છે, સારી દુનિયા મારી મુઠ્ઠીમાં કરી લેવી છે. બસ આ જ ચકકરોમાં, કવાયતોમાં વર્ષો વીતતા જાય છે અને એની યુવાનીની રેત સરકતી જાય છે.

છેવટે એક એવી ગોઝારી પળ સામે આવીને ઊભી રહે છે કે જે કુદરતને પડકારીને, એની વિરુધ્ધ દિશામાં ચાલતા રહીને ગર્વ અનુભવ્યો હોય, જે કુદરતને પોતાના પગની જૂતીએ કચડી હોય, છેલ્લી આંગળીએ નચાવીને બેજોડ સાહસ અને અદ્ભુત રોમાંચ મેળવ્યો હોય એ જ કુદરતને પડકારવા જતા…સામે થતાં હવે એનું શરીર થાકીને શ્રમાન્તિત થઈ ચૂક્યું હોય છે. તન અને મનના એક એક જોડ દુઃખવા આવી ગયા હોય , કુદરતને હરાવવાની તીવ્ર ઇરછાઓને સાથ આપવામાં એનું શ્રમિત શરીર જવાબ દઈ દે છે.. એડીચોટીના જોર બધાંય નિષ્ફળ જાય છે. ‘બસ હવે ખમૈયા કરો બાપલા…જરા શાનમાં સમજતા હો તો.. ‘ કાનમાં ફૂંક મારી મારીને સમજાવતું જાય છે. આવી વિપરીત સ્થિતીનો સામનો કરવા ના ટેવાયેલો એ ગર્વિલો અંદરોઅંદર અકળાય છે, ક્રોધિત થાય છે પણ અંદરખાને લાચારી અને નબળા શરીર સામે એ હાર માની લે છે… જોકે એણે ‘હાર માનવી પડે છે ‘એમ કહેવું વધુ યોગ્ય રહે. કારણ, કુદરત આગળ કોનું ચાલ્યું છે તે એનું ચાલવાનું હતું. !! એની સામે ઝૂક્યા વગર એની પાસે કોઇ ‘ઓપ્શન’ જ નથી હોતું. ના ઝૂકે તો તૂટીને ચકનાચૂર થઈ જવા સિવાય બીજો કોઇ જ રસ્તો એની પાસે નથી બચતો. માનવીથી આ હાલત સહન નથી થતી… જોકે એને તકલીફ તો બહુ જ પડૅ છે એ સ્વીકારતાં. પણ તમાચો મારીને પણ ગાલ લાલ રાખવો પડે છે …!!!

એના ધ્યાન બહાર જ ધીમે પગલે બુઢાપાની અણગમતી પરિસ્થિતી  જીવનના દરવાજે ટકોરા માર્યા વગર હળ્વેકથી પગપેસારો કરી જાય છે . જીવનપર્યંત એ જે કંઇ શીખ્યો એ બધાંને હવે નિરાંતે બેસીને વાગોળે છે, મેળવેલા અનુભવો પર એક નજર નાંખે છે. શું મેળવ્યું,શું ગુમાવ્યું, કેટલી સિલક ખાતામાં બાકી રહી..આ બધી સિલક કોના હવાલે કરવાની હવે..કે પછી આમ જ અહીં મૂકીને એક દિવસ ભગવાનને શરણ..છાતીએ બાંધીને થોડા ત્યાં લઈ જવાય બધું..આ તો બહુ મોટો અન્યાય..અને એ આકાશમાં એક મીટ માંડે છે. ત્યાં તો સૂર્યના કોમળ કિરણોમાંથી કોઇ આશીર્વાદ વરસતો દેખાય છે..એ ‘આશીર્વાદ- કિરણો’માંથી એક ચહેરો રચાઇ જાય છે.  દિવ્યદર્શન..જીવનની સૌથી સુંદર પળ અને એના ખોળામાં આવી પડે છે એનો પોતાનો અંશ.પોતાનું બાળક.

ઇશ્વર એને એક ‘ઓર ચાન્સ’ આપે છે. પોતાના જીવનમાં કરેલી ભૂલોની સુધારેલી આવ્રુતિ એ બાળકને સુપેરે ભણાવવાની એક મોટી જવાબદારી એના શિરે નાંખે છે. અને ફરીથી એ જ ચકકરો ચાલુ..

એ જ માસૂમિયત પર અનુભવના ઢોળ ચડાવવાની ધમાલો. માણસ પોતે જીંદગીના સાગરમંથનમાંથી ઝેર પામ્યો હોય તો એ માસૂમના મૂળિયા ઝેર નાંખીને પોસે છે અને અમ્રુતના અનુભવો પામ્યો હશે તો અમ્રુતરસ સીંચે છે. ‘જેવું વાવ્યું એવું લણે’ એ તો.

-સ્નેહા પટેલ

સુંદરતા


વર્ષોથી એક વાત સાંભળતી આવી છું કે,

‘સુંદરતા જોનારની આંખોમાં હોય છે’,

પણ જ્યાં સુધી મારી સમજણ છે ત્યાં સુધી એમ લાગે છે કે,

‘સુંદરતા જોનારની આંખોમાં નહીં, એના દિલમાં હોય છે.’

‘तुण्डे तुण्डे सुंदरता भिन्नः’

-સ્નેહા પટેલ.